Arca da aliança
A Arca da Aliança era o símbolo mais sagrado de Israel — representava a presença de Deus no meio do seu povo. Sobre ela brilhava a glória do Senhor entre os querubins.
કરારકોશ
બાવળના લાકડાનો અઢી હાથ લાંબો, દોઢ હાથ પહોળો અને દોઢ હાથ ઊંચો એક પવિત્રકરારકોશ બનાવવો. તેને અંદરથી તથા બહારથી ચોખ્ખા સોનાથી મઢવો અને તેની ફરતે સોનાની પટ્ટી જડવી.
પછી તેને ઊંચકવા માટે સોનાનાં ચાર કડાં બનાવવાં અને તેમને તેના ચાર ખૂણે જડી દેવાં; એક બાજુએ બે કડાં અને બીજી બાજુએ બે કડાં. બાવળના દાંડા બનાવીને પછી તું તેમને સોનાથી મઢજે. અને કરારકોશને ઉપાડવા માટે એ દાંડા દરેક બાજુના કડામાં ભરવી દેવા.
દાંડા કરારકોશનાં કડામાં રહેવા દેવા, બહાર કાઢવા નહિ. અને હું તને કરારકોશના ચિહ્ન તરીકે જે બે પાટીઓ આપું તે તું તેમાં મૂકજે. વળી ચોખ્ખા સોનાનું અઢી હાથ લાંબું અને દોઢ હાથ પહોળું દયાસન તમારે બનાવવું. અને તમારે સોનાના બે કરુબો ટીપેલા સોનામાંથી ઘડીને દયાસનના બે છેડા માટે બનાવવા.
અને એક કરુબ એક છેડા પર અને બીજો દયાસનના બીજા છેડા પર બેસાડવો, એ કરુબ દયાસનની સાથે એવી રીતે જોડી દેવા કે દયાસન અને કરુબો એક થઈ જાય. એ કરુબોની પાંખો ઊંચે આકાશ તરફ ફેલાયેલી રાખવી. તેઓનાં મુખ એકબીજાની સામે હોય અને દયાસન તરફ વળેલાં હોય. એ દયાસન ઉપર મૂકવું અને કરારકોશમાં હું તને આપું તે કરારની બે પાટીઓ મૂકવી.
અને ત્યાં હું તને મળીશ. ઇઝરાયલી લોકો માટે જે આજ્ઞાઓ હું તને આપીશ તે સર્વ વિષે, કરારલેખના કરારકોશ પરના દયાસન ઉપરથી તથા બે કરુબોની વચમાંથી, હું તારી સાથે વાત કરીશ.
પવિત્રકોશનું નિર્માણ
બસાલેલે બાવળના લાકડામાંથી કરારકોશ બનાવ્યો. જેની લંબાઈ અઢી હાથ, પહોળાઈ દોઢ હાથ તથા ઊંચાઈ દોઢ હાથ હતી.
મુલાકાતમંડપની પ્રતિષ્ઠા વિધિ
પછી યહોવાહે મૂસાને કહ્યું, "પ્રથમ માસના પ્રથમ દિવસે તું મુલાકાતમંડપ ઊભો કરજે.
તેની અંદર દશ આજ્ઞાઓ મૂકેલી છે, તે કરારકોશ મંડપમાં મૂકજે; અને કરારકોશને પડદાથી ઢાંકી દેજે.
તેણે સાક્ષ્યલેખ લઈને કરારકોશમાં મૂક્યો અને કોશ પર દાંડા ગોઠવ્યા અને કોશ પર દયાસન મૂક્યું.
કરારકોશને મૂસાએ પવિત્રમંડપમાં લાવ્યો અને યહોવાહની આજ્ઞા અનુસાર તેને ઢાંકવા પડદો લટકાવ્યો.
જ્યારે મુલાકાતમંડપમાં મૂસા યહોવાહની સાથે બોલવા ગયો ત્યારે ઈશ્વરની વાણી તેની સાથે વાત કરતી તેણે સાંભળી. બે કરુબો મધ્યેથી કરારકોશ પરના દયાસન ઉપરથી ઈશ્વર તેની સાથે બોલતા હતા. યહોવાહ તેની સાથે બોલ્યા.
લોકો ચાલી નીકળ્યા
અને તેઓએ યહોવાહના પર્વતથી નીકળી ત્રણ દિવસ યાત્રા કરી. તે ત્રણે દિવસ દરમ્યાન યહોવાહનો કરારકોશ તેમને માટે વિશ્રામસ્થાનની જગ્યા શોધવા તેઓની આગળ ચાલ્યો. અને દિવસે તેઓ છાવણીમાંથી ચાલી નીકળતા. ત્યારે યહોવાહનો મેઘસ્તંભ તેઓના ઉપર રહેતો.
અને જ્યારે કરારકોશ ચાલી નીકળતો ત્યારે એમ થતું કે, મૂસા કહેતો, "હે યહોવાહ, તમે ઊઠો અને તમારા શત્રુઓને વેરવિખેર કરી નાખો, અને તમારો તિરસ્કાર કરનારને દૂર કરો." અને જ્યારે કરારકોશ થોભતો ત્યારે મૂસા કહેતો કે, હે યહોવાહ, ઇઝરાયલના કરોડો પાસે તમે પાછા આવો."
હારુનની લાકડી ફૂટી
યહોવાહ મૂસા સાથે બોલ્યા. તેમણે કહ્યું કે, "તું ઇઝરાયલી લોકોને કહે કે તેઓની પાસેથી એટલે તેઓના પૂર્વજોના કુળદીઠ એક તે મુજબ લાકડીઓ લેવી એટલે તેઓના સર્વ આગેવાનો પાસેથી તેઓના પિતાઓનાં ઘર મુજબ બાર લાકડી લે અને દરેક માણસનું નામ તેની લાકડી પર લખ.
લેવીની લાકડી પર તું હારુનનું નામ લખ; કેમ કે તેઓના પૂર્વજોના કુળના દરેક આગેવાનને માટે એકેક લાકડી હોય. કરારની સામેના મુલાકાતમંડપમાં કે જ્યાં હું તને મળું છું ત્યાં તારે આ લાકડીઓ મૂકવી. અને એવું થશે કે જે માણસને હું પસંદ કરીશ તેની લાકડીને અંકુર ફૂટી નીકળશે. આ રીતે હું ઇઝરાયલી લોકો જે તારી વિરુદ્ધ બોલે છે તેઓની ફરિયાદોને બંધ કરીશ."
તેથી મૂસાએ બધા ઇઝરાયલી લોકોને કહ્યું. બધા કુળના આગેવાનોએ પોતાની લાકડી તેને આપી, દરેક આગેવાન પાસેથી એક લાકડી, તેમનાં પિતૃઓના કુળો પ્રમાણે એકેક લાકડી, એમ કુલ બાર લાકડી. હારુનની લાકડી પણ તેઓની લાકડીઓ વચ્ચે હતી. પછી મૂસાએ લાકડીઓ મુલાકાતમંડપની અંદરના સાક્ષ્યમંડપમાં યહોવાહની સમક્ષ મૂકી.
બીજે દિવસે મૂસા સાક્ષ્યમંડપમાં ગયો ત્યારે જુઓ, હારુનની લાકડી જે લેવીના કુળને માટે હતી તે ફૂટી નીકળી હતી. તેને અંકુર ફૂટ્યા હતા, ફૂલો ખીલ્યાં હતા અને પાકી બદામો પણ લાગી હતી. મૂસા યહોવાહની સમક્ષતામાંથી બધી લાકડીઓ ઇઝરાયલી પાસે બહાર લાવ્યો. દરેક માણસે પોતાની લાકડી શોધી અને લઈ લીધી.
યહોવાહે મૂસાને કહ્યું, "હારુનની લાકડી સાક્ષ્યમંડપની સમક્ષ મૂક. બળવો કરનારા લોકો વિરુદ્ધ ચિહ્ન તરીકે મૂક, જેથી મારી વિરુદ્ધ તેમની આ ફરિયાદોનો અંત આવે અને તેમને મરવું પડે નહિ." યહોવાહે જેમ આજ્ઞા આપી હતી તે પ્રમાણે મૂસાએ કર્યુ.
તેથી જયારે લોકો યર્દન પાર કરવાને નીકળ્યા ત્યારે કરારકોશને ઊંચકનારા યાજકો લોકોની આગળ ચાલતા હતા. કરાર કોશને ઊંચકનારા યાજકો જયારે યર્દન પાસે આવ્યા અને તેઓના પગ પાણીમાં પડ્યા યર્દન કાપણીની પૂરી ઋતુ દરમિયાન તેના બન્ને કિનારે છલકાતી હતી ત્યારે ઉપલી તરફથી વહેનાર પાણી ઠરી ગયું અને ઘણે દૂર સુધી, એટલે સારેથાન પાસેના આદમ નગર સુધી, ઢગલો થઈ ગયું. અને અરાબાના સમુદ્ર એટલે ખારા સમુદ્રની તરફ જે વહેતું હતું તે વહી ગયું અને લોક યરીખોની સામે પેલે પાર ઊતર્યા. ઇઝરાયલના સઘળાં લોકો કોરી જમીન પર ચાલીને પાર ઊતર્યા ત્યાં સુધી યહોવાહનો કરારકોશ ઊંચકનારા યાજકો યર્દનની મધ્યમાં કોરી જમીન પર ઊભા રહ્યા.
યાજકો યહોવાહનાં કરારકોશને ઊંચકીને યર્દનમાંથી બહાર આવ્યા. યાજકોના પગ કોરી જમીન પર પડ્યા ત્યાર પછી યર્દનનું પાણી તેની અસલ જગ્યાએ પાછું આવ્યું અને તે અગાઉની માફક કિનારે ભરપૂર થઈને વહેવા લાગ્યું.
યરીખોનું પતન
હવે ઇઝરાયલના સૈનિકોને કારણે યરીખોના બધા દરવાજા બંધ કરાયા હતા. કોઈ બહાર જઈ શકતું નહોતું અને કોઈ પણ અંદર આવી શકતું નહોતું. યહોવાહે યહોશુઆને કહ્યું, "જો, મેં યરીખોને, તેના રાજાને અને તેના શૂરવીર સૈનિકોને તારા હાથમાં સોંપ્યા છે.
તમારે નગરની ચોતરફ પ્રદક્ષિણા કરવી, સર્વ યોધ્ધાઓએ દિવસમાં એકવાર નગરની પ્રદક્ષિણા કરવી. આમ છ દિવસ સુધી તમારે કરવું. સાત યાજકો કરારકોશ આગળ ઘેટાંના શિંગનાં બનાવેલા સાત રણશિંગડા ઊંચકે. સાતમા દિવસે, તમારે સાત વાર નગરની પ્રદક્ષિણા કરવી અને યાજકોએ મોટા અવાજે રણશિંગડાં વગાડ્યાં.
મોટા અવાજ સાથે શિંગ વગાડે અને જયારે તેનો અવાજ તમે સાંભળો ત્યારે સઘળાં લોકો મોટો અવાજ કરે. તેથી નગરનો કોટ તૂટી પડશે. ત્યારે દરેક વ્યક્તિએ સીધા નગરમાં ધસી જવું."
પછી નૂનના દીકરા, યહોશુઆએ યાજકોને બોલાવીને કહ્યું કે, "કરારકોશ ઊંચકો અને સાત યાજકો યહોવાહનાં કરારકોશની આગળ સાત રણશિંગડાં લઈને ચાલે. અને તેણે લોકોને કહ્યું, "આગળ જાઓ અને ચોતરફ નગરની પ્રદક્ષિણા કરો અને હથિયારબંધ પુરુષો યહોવાહનાં કરારકોશ આગળ જાય."
તેથી લોકોએ હોંકારો કર્યો અને યાજકોએ રણશિંગડાં વગાડયાં. જયારે લોકોને રણશિંગડાનો સાદ સંભળાયો ત્યારે તેઓએ મોટો અવાજ કર્યો અને કોટ તૂટી પડ્યો તેથી લોકોમાંનો દરેક પુરુષ સીધો નગરમાં દોડી ગયો અને તેઓએ નગરને પોતાને કબજે કર્યું.
પલિસ્તીઓએ ઇઝરાયલીઓ વિરુદ્ધ યુદ્ધ માટે વ્યૂહરચના કરી. જયારે યુદ્ધ થયું, ત્યારે પલિસ્તીઓની સામે ઇઝરાયલીઓ હારી ગયા, પલિસ્તીઓએ યુદ્ધના મેદાનમાં આશરે ચાર હજાર ઇઝરાયલીઓનો સંહાર કર્યો.
જયારે લોકો છાવણીમાં આવ્યા, ત્યારે ઇઝરાયલના વડીલોએ કહ્યું, "શા માટે આજે ઈશ્વરે પલિસ્તીઓની સામે આપણને હરાવ્યા? ચાલો આપણે શીલોમાંથી ઈશ્વરનો કરારકોશ પોતાની પાસે લાવીએ, કે તે આપણી સાથે અહીં રહે, જેથી આપણને આપણા શત્રુઓના હાથમાંથી બચાવે." જેથી લોકોએ શીલોમાં માણસો મોકલ્યા; તેઓએ ત્યાંથી સૈન્યના ઈશ્વર જે કરુબીમની વચ્ચે બિરાજમાન છે, તેમના કરારકોશને લાવ્યા. એલીના બે દીકરાઓ, હોફની તથા ફીનહાસ, ઈશ્વરના કરારકોશ સાથે ત્યાં આવ્યા હતા.
જયારે ઈશ્વરના કરારનો કોશ છાવણીમાં આવ્યો, ત્યારે સર્વ ઇઝરાયલીઓએ મોટેથી પોકાર કર્યો અને પૃથ્વીમાં તેના પડઘા પડ્યા. પલિસ્તીઓએ એ અવાજ સાંભળ્યો, ત્યારે તેઓએ કહ્યું, "હિબ્રૂઓની છાવણીમાંથી આવા મોટેથી પોકારો કેમ થાય છે?" તેઓ સમજ્યા કે ઈશ્વરનો કોશ તેઓની છાવણીમાં આવ્યો છે.
પલિસ્તીઓ ભયભીત થયા; તેઓએ કહ્યું, "ઈશ્વર છાવણીમાં આવ્યા છે." તેઓએ કહ્યું, "આપણને અફસોસ! પહેલાં ક્યારેય આવું બન્યું નથી! આપણને અફસોસ! આ પરાક્રમી ઈશ્વરના હાથમાંથી આપણને કોણ છોડાવશે? આ એ જ ઈશ્વર છે કે જેમણે અરણ્યમાં મિસરીઓને સર્વ પ્રકારની મરકીથી માર્યા હતા. ઓ પલિસ્તીઓ, તમે બળવાન થાઓ, હિંમત રાખો, જેમ હિબ્રૂઓ તમારા ગુલામ થયા હતા, તેમ તમે તેઓના ગુલામ ન થાઓ. હિંમત રાખીને લડો."
પલિસ્તીઓ લડયા, ઇઝરાયલીઓની હાર થઈ. પ્રત્યેક માણસ પોતપોતાના તંબુમાં નાસી ગયો અને ઘણો મોટો સંહાર થયો; કેમ કે ઇઝરાયલીઓમાંથી ત્રીસ હજાર સૈનિકો માર્યા ગયા. પલિસ્તીઓ ઈશ્વરનો કોશ લઈ ગયા તથા એલીના બે દીકરા, હોફની તથા ફીનહાસ, માર્યા ગયા.
ઈશ્વરનો હાથ આશ્દોદીઓ ઉપર ભારે હતો. તેમણે તેઓનો નાશ કર્યો, તેઓને એટલે આશ્દોદ તથા તેની સરહદમાં રહેનારાઓને ગાંઠના રોગથી માર્યા. જયારે આશ્દોદના માણસોએ જોયું કે આમ થયું છે ત્યારે તેઓએ કહ્યું, "ઇઝરાયલના ઈશ્વરનો કોશ આપણી વચ્ચે રખાય નહિ; કેમ કે તેમનો હાથ આપણા ઉપર આપણા દેવ દાગોન ઉપર સખત છે."
માટે તેઓએ માણસ મોકલીને પલિસ્તીઓના સર્વ અધિકારીઓને એકઠા કર્યા; તેઓએ તેમને કહ્યું, "ઇઝરાયલના ઈશ્વરના કોશનું અમારે શું કરવું?" તેઓએ ઉત્તર આપ્યો કે, ઇઝરાયલના ઈશ્વરનો કોશ અહીંથી ગાથમાં લઈ જાઓ, અને તેઓ ઇઝરાયલના ઈશ્વરનો કોશ ત્યાં લઈ ગયા. પણ તેઓ તેને ત્યાં લઈ ગયા પછી, ઈશ્વર તેઓના પર કોપાયમાન થયા. તેમણે તે નગરનાં નાનાં મોટાં માણસો પર કેર વર્તાવ્યો; તેઓનાં અંગ પર ગાંઠો ફૂટી નીકળી.
તેથી તેઓએ ઈશ્વરના કોશને એક્રોનમાં મોકલ્યો. પણ જયારે ઈશ્વરનો કોશ એક્રોનમાં આવ્યો ત્યારે એમ થયું કે, એક્રોનીઓએ રડીને, કહ્યું, "તેઓ અમારો તથા અમારા લોકોનો સંહાર કરવાને ઇઝરાયલના ઈશ્વરનો કોશ અમારી પાસે લાવ્યા છે." માટે તેઓએ માણસ મોકલીને પલિસ્તીઓના સર્વ અધિકારીઓને એકઠા કર્યા; તેઓએ તેમને કહ્યું, ઇઝરાયલના ઈશ્વરનો કોશ મોકલી દો, તેને પોતાની જગ્યાએ પાછો જવા દો, કે તે અમારો તથા અમારા લોકોનો સંહાર ન કરે." કેમ કે આખા નગરમાં ભયંકર સંહાર થયો હતો; ઈશ્વરનો હાથ ત્યાં ઘણો ભારે થયો હતો.
પલિસ્તીઓએ કરારકોશ પાછો મોકલ્યો
ઈશ્વરનો કોશ પલિસ્તીઓના દેશમાં સાત મહિના રહ્યો. પલિસ્તીઓએ યાજકોને તથા શુકન જોનારાઓને બોલાવીને; તેઓને કહ્યું કે, "ઈશ્વરના કોશનું અમે શું કરીએ? અમે તેને તેની જગ્યાએ કેવી રીતે મોકલીએ એ અમને જણાવો."
તેઓએ કહ્યું, "જો તમે ઇઝરાયલના ઈશ્વરનો કોશ પાછો મોકલો, તો તેને કશું અર્પણ કર્યા વિના મોકલશો નહિ; નિશ્ચે તેની સાથે દોષાર્થાર્પણ મોકલજો. તો જ તમે સાજા થશો, અને તમને સમજાશે કે તેમનો હાથ અત્યાર સુધી તમારા ઉપરથી કેમ દૂર થયો નથી."
તે માણસોએ તેમને જેમ કહ્યું હતું તેમ કર્યું; એટલે તેઓએ બે દુઝણી ગાયો લઈને, તેમને ગાડા સાથે જોડી અને તેમના વાછરડાને ઘરમાં બંધ રાખ્યા. તેઓએ ઈશ્વરના કોશને ગાડામાં મૂક્યો, સોનાના ઉંદરો તથા ગાંઠોની પ્રતિમા ડબ્બામાં રાખીને તેની સાથે ગાડામાં મૂક્યાં. ગાયો સીધી બેથ-શેમેશના રસ્તા તરફ ગઈ. તેઓ એક રાજમાર્ગે ચાલતી અને બૂમો પાડતી ગઈ અને તેઓ જમણી કે ડાબી ગમ વળી જ નહિ. અને પલિસ્તીઓના અધિકારીઓ તેઓની પાછળ બેથ-શેમેશની સીમા સુધી ગયા.
હવે બેથ-શેમેશના લોકો ખીણમાં ઘઉં કાપતા હતા. તેઓએ પોતાની આંખો ઊંચી કરીને કોશ જોયો અને તેઓ આનંદ પામ્યા. તે ગાડું બેથ-શેમેશીના નગરમાંથી યહોશુઆના ખેતરમાં આવ્યું અને ત્યાં થોભ્યું. એક મોટો પથ્થર ત્યાં હતો, તેઓએ ગાડામાં લાકડાં ચીરીને, ઈશ્વર આગળ તે ગાયોનું દહનીયાર્પણ કર્યું. લેવીઓએ ઈશ્વરના કોશને તથા તેની સાથેની દાગીનાની પેટીને જેને સોનાનો આકડો હતો, તેઓને મોટા પથ્થર પર તેને મૂક્યો. બેથ-શેમેશના માણસોએ તે જ દિવસે ઈશ્વરને દહનીયાર્પણો કર્યા તથા બલિદાનો ચઢાવ્યાં.
કિર્યાથ-યારીમના માણસો આવ્યા, તેઓ ઈશ્વરનો કોશ લઈ, પર્વત ઉપર અબીનાદાબના ઘરમાં લાવ્યા, તેઓએ તેના દીકરા એલાઝારને ઈશ્વરના કોશની સંભાળ રાખવાને અભિષિક્ત કર્યો. જે દિવસથી કોશ કિર્યાથ-યારીમમાં રહ્યો, ત્યાર પછી લાંબો સમય વીતી ગયો એટલે કે વીસ વર્ષ થઈ ગયાં. ઇઝરાયલના ઘરોનાં સઘળાંએ વિલાપ કર્યો અને ઈશ્વર તરફ પાછા ફરવાની ઇચ્છા રાખી.
હવે દાઉદ રાજાને સમાચાર મળ્યા કે, "ઈશ્વરના કોશને કારણે ગિત્તી ઓબેદ-અદોમના કુટુંબને તથા તેના સર્વસ્વને ઈશ્વરે આશીર્વાદ આપ્યો છે." તેથી દાઉદ જઈને ઈશ્વરના કોશને ઓબેદ-અદોમના ઘરમાંથી આનંદ સાથે દાઉદના નગરમાં લાવ્યો. ઈશ્વરનો કોશ ઊંચકીને ચાલનારાં માત્ર છ પગલાં ચાલ્યા, ત્યારે દાઉદે એક બળદ તથા એક પુષ્ટ પશુનું બલિદાન આપ્યું.
દાઉદ ઈશ્વરની આગળ પોતાના પૂરા બળથી નાચતો હતો; તેણે શણનો ઝભ્ભો પહેરેલો હતો. આ રીતે દાઉદ તથા ઇઝરાયલના સર્વ લોકો પોકાર કરતા તથા રણશિંગડાં વગાડતા ઈશ્વરનો કોશ લઈને ચાલતા હતા.
કરારકોશ મંદિરમાં લાવ્યા
પછી સુલેમાને ઇઝરાયલના સર્વ વડીલો તથા કુળોના સર્વ મુખ્ય માણસોને એટલે ઇઝરાયલના લોકોના કુટુંબોના સર્વ આગેવાનોને યરુશાલેમમાં તેની સમક્ષ એકત્ર કર્યા. જેથી તેઓ દાઉદના સિયોન નગરમાંથી ઈશ્વરનો કરારકોશ લાવે. ઇઝરાયલીઓ બધા એથાનિમ માસ એટલે કે સાતમા માસમાં પર્વના સમયે રાજા સુલેમાન સમક્ષ ભેગા થયા.
ઇઝરાયલના બધા જ વડીલો આવ્યા અને યાજકોએ કરારકોશ ઊંચક્યો. યાજકો અને લેવીઓ ઈશ્વરનો કરારકોશ, મુલાકાતમંડપ તથા તંબુમાંનાં બધાં પવિત્ર પાત્રો લઈ આવ્યા. રાજા સુલેમાન અને ઇઝરાયલના ભેગા થયેલા તમામ લોકો કરારકોશની સમક્ષ ઉપસ્થિત થયા અને તેઓએ અસંખ્ય ઘેટાં અને બળદોનાં અર્પણો ચઢાવ્યાં.
યાજકો ઈશ્વરના કરારકોશને તેની જગ્યાએ એટલે સભાસ્થાનની અંદરના ખંડમાં, પરમ પવિત્રસ્થાનમાં કરુબોની પાંખો નીચે લાવ્યા. કેમ કે કરારકોશની જગ્યા પર કરુબોની પાંખો ફેલાયેલી હતી. કરારકોશ પર અને તેના દાંડા પર કરુબોએ આચ્છાદન કરેલું હતું. તે દાંડાઓ એટલા લાંબા હતા કે તેમને પરમ ઈશ્વરવાણી આગળના પવિત્ર સ્થાનમાંથી જોઈ શકાતા હતા, પરંતુ તે બહાર દેખાતા નહોતા અને આજ સુધી તે ત્યાં છે.
ઇઝરાયલી લોકો મિસરમાંથી બહાર આવ્યા તે વખતે ઈશ્વરે તેઓની સાથે કરાર કર્યો ત્યારે હોરેબમાં મૂસાએ જે બે શિલાપાટીઓ કરારકોશમાં મૂકી હતી તે સિવાય તેમાં બીજું કંઈ જ નહોતું. જયારે યાજકો પવિત્રસ્થાનમાંથી બહાર આવ્યા ત્યારે એમ બન્યું કે ઈશ્વરનું ભક્તિસ્થાન વાદળથી ભરાઈ ગયું. તે વાદળના કારણે યાજકો સેવા કરવા ઊભા રહી શક્યા નહિ કેમ કે આખું ભક્તિસ્થાન ઈશ્વરના ગૌરવથી ભરાઈ ગયું હતું.
વળી યહોવાહ કહે છે કે હે, મારો ત્યાગ કરનાર દીકરાઓ પાછા આવો, કેમ કે હું તમારો માલિક છું. અને દરેક નગરમાંથી એકેક જણને અને દરેક કુટુંબમાંથી બબ્બેને ચૂંટીને તમને સિયોન પર પાછા લાવીશ. મારા મનગમતાં પાળકો હું તમને આપીશ; અને તેઓ ડહાપણ તથા બુદ્ધિથી તમારું પાલન કરશે.
વળી યહોવાહ કહે છે કે, ત્યારે દેશમાં તમારી સંખ્યા વધશે અને તમે આબાદ થશો. ત્યારે તે સમયે ‘યહોવાહના કરારકોશ’ વિષે તેઓ ફરી બોલશે નહિ. અને તે તેઓના મનમાં આવશે નહિ, તેનું સ્મરણ તેઓ કરશે નહિ, તથા તે જોવા જશે નહિ. અને ફરી એવું કંઈ કરશે નહિ.’"
પૃથ્વી પરની અને આકાશી આરાધના
હવે પહેલા કરારમાં પણ ભજનસેવાના વિધિઓ તથા જગિક પવિત્રસ્થાન પણ હતું ખરું. કેમ કે મંડપ તૈયાર કરાયેલો હતો, તેના આગળના ભાગમાં દીવી, મેજ તથા અર્પણ કરેલી રોટલી હતી, તે પવિત્રસ્થાન કહેવાતું હતું.
અને પડદાની પાછળ બીજો ભાગ હતો, તે પરમપવિત્રસ્થાન કહેવાતું હતું. તેમાં સોનાની ધૂપવેદી તથા ચારે તરફ સોનાથી મઢેલી કરારની પેટી હતી, એ પેટીમાં માન્નાથી ભરેલું સોનાનું પાત્ર તથા હારુનની કળી ફૂટેલી લાકડી તથા કરારના શિલાપટ હતા, અને તે પર ગૌરવી કરુબિમ હતા, તેઓની છાયા દયાસન પર પડતી હતી; હમણાં તેઓ સંબંધી અમારાથી વિગતવાર કહેવાય એમ નથી.
પછી સ્વર્ગમાં ઈશ્વરનું જે ભક્તિસ્થાન છે તે ઉઘાડવામાં આવ્યું. અને ભક્તિસ્થાનમાં તેમના કરારનો કોશ દેખાયો. અને વીજળીઓ, વાણીઓ, ગર્જનાઓ તથા ધરતીકંપ થયાં. અને પુષ્કળ કરા પડ્યા.