કરારકોશ મંદિરમાં લાવ્યા
1 પછી સુલેમાને ઇઝરાયલના સર્વ વડીલો તથા કુળોના સર્વ મુખ્ય માણસોને એટલે ઇઝરાયલના લોકોના કુટુંબોના સર્વ આગેવાનોને યરુશાલેમમાં તેની સમક્ષ એકત્ર કર્યા. જેથી તેઓ દાઉદના સિયોન નગરમાંથી ઈશ્વરનો કરારકોશ લાવે. 2 ઇઝરાયલીઓ બધા એથાનિમ માસ એટલે કે સાતમા માસમાં પર્વના સમયે રાજા સુલેમાન સમક્ષ ભેગા થયા.
3 ઇઝરાયલના બધા જ વડીલો આવ્યા અને યાજકોએ કરારકોશ ઊંચક્યો. 4 યાજકો અને લેવીઓ ઈશ્વરનો કરારકોશ, મુલાકાતમંડપ તથા તંબુમાંનાં બધાં પવિત્ર પાત્રો લઈ આવ્યા. 5 રાજા સુલેમાન અને ઇઝરાયલના ભેગા થયેલા તમામ લોકો કરારકોશની સમક્ષ ઉપસ્થિત થયા અને તેઓએ અસંખ્ય ઘેટાં અને બળદોનાં અર્પણો ચઢાવ્યાં.
6 યાજકો ઈશ્વરના કરારકોશને તેની જગ્યાએ એટલે સભાસ્થાનની અંદરના ખંડમાં, પરમ પવિત્રસ્થાનમાં કરુબોની પાંખો નીચે લાવ્યા. 7 કેમ કે કરારકોશની જગ્યા પર કરુબોની પાંખો ફેલાયેલી હતી. કરારકોશ પર અને તેના દાંડા પર કરુબોએ આચ્છાદન કરેલું હતું. 8 તે દાંડાઓ એટલા લાંબા હતા કે તેમને પરમ ઈશ્વરવાણી આગળના પવિત્ર સ્થાનમાંથી જોઈ શકાતા હતા, પરંતુ તે બહાર દેખાતા નહોતા અને આજ સુધી તે ત્યાં છે.
9 ઇઝરાયલી લોકો મિસરમાંથી બહાર આવ્યા તે વખતે ઈશ્વરે તેઓની સાથે કરાર કર્યો ત્યારે હોરેબમાં મૂસાએ જે બે શિલાપાટીઓ કરારકોશમાં મૂકી હતી તે સિવાય તેમાં બીજું કંઈ જ નહોતું. 10 જયારે યાજકો પવિત્રસ્થાનમાંથી બહાર આવ્યા ત્યારે એમ બન્યું કે ઈશ્વરનું ભક્તિસ્થાન વાદળથી ભરાઈ ગયું. 11 તે વાદળના કારણે યાજકો સેવા કરવા ઊભા રહી શક્યા નહિ કેમ કે આખું ભક્તિસ્થાન ઈશ્વરના ગૌરવથી ભરાઈ ગયું હતું.