એલીના પુત્રો
12 હવે એલીના દીકરાઓ દુષ્ટ પુરુષો હતા. તેઓ ઈશ્વરને ઓળખતા નહોતા. 13 લોકો સાથે યાજકોનો રિવાજ એવો હતો કે જયારે કોઈ માણસ યજ્ઞાર્પણ કરતો અને જયારે માંસ બફાતું હોય ત્યારે યાજકનો ચાકર પોતાના હાથમાં ત્રણ અણીવાળું સાધન લઈને આવતો. 14 તેના ઉપયોગ દ્વારા તવા, કડાઈ, દેગ, ઘડામાંથી જેટલું માંસ બહાર આવતું તે બધું યાજક પોતાને સારુ લેતો. જયારે સર્વ ઇઝરાયલીઓ શીલોમાં આવતા ત્યારે તેઓ આ જ પ્રમાણે કરતા.
15 વળી તેઓ ચરબીનું દહન કરે તે અગાઉ, યાજકનો ચાકર ત્યાં આવતો અને જે માણસ યજ્ઞ કરતો હોય તેને કહેતો, "યાજકને માટે શેકવાનું માંસ આપ; કેમ કે તે તારી પાસેથી બાફેલું નહિ, પણ ફક્ત કાચું માંસ સ્વીકારશે." 16 જો તે માણસ તેને એવું કહે, "તેઓને પહેલાં ચરબીનું દહન કરી દેવા દે, પછી તારે જોઈએ તેટલું માંસ લઈ જજે." તો તે કહેતો કે, "ના, તું મને હમણાં જ આપ; જો નહિ આપે તો હું જબરદસ્તીથી લઈ લઈશ." 17 એ જુવાનોનું પાપ ઈશ્વર આગળ ઘણું મોટું હતું, કેમ કે તેઓ ઈશ્વરના અર્પણની અવગણના કરતા હતા.