સેનાપતિ નામાન શુદ્ધ બન્યો
1 અરામના રાજાનો સેનાપતિ નામાન તેના માલિકની આગળ મોટો અને આદરણીય માણસ હતો. કારણ કે, યહોવાહે તેની મારફતે અરામને વિજય અપાવ્યો હતો. તે બળવાન, હિંમતવાન માણસ હતો. પણ તેને કુષ્ઠ રોગની બીમારી હતી. 2 અરામીઓનું સૈન્ય ઇઝરાયલમાં થઈને પાછું ફરતું હતું ત્યારે તેઓ એક નાની છોકરીને પકડી લાવ્યા હતા. નામાને પોતાની પત્નીની દાસી તરીકે રાખી હતી.
3 તેણે પોતાની શેઠાણીને કહ્યું, "ઈશ્વર કરે ને મારા માલિક સમરુનમાં એક પ્રબોધક પાસે જાય તો કેવું સારું! ત્યારે તેઓ તેમનો રોગ મટાડી શકે તેમ છે." 4 નામાને ઇઝરાયલ દેશની નાની છોકરીએ જે કહ્યું હતું, તે વાત પોતાના રાજાને જણાવી.
5 તેથી અરામના રાજાએ કહ્યું, "હવે તું ઇઝરાયલ દેશમાં જા. હું ત્યાંના રાજા પર પત્ર લખી આપું છું." આથી નામાન દસ તોલા ચાંદી, છ હજાર સોનામહોર, દસ જોડ વસ્ત્રો લઈને ત્યાંથી ઇઝરાયલમાં આવ્યો. 6 તેણે એ પત્ર ઇઝરાયલના રાજાને આપીને કહ્યું, "હવે આ પત્ર જયારે તમારી પાસે લાવ્યો છું, ત્યારે તમારે જાણવું કે મેં મારા ચાકર નામાનને તમારી પાસે મોકલ્યો છે, કે જેથી તમે તેનો કુષ્ઠ રોગ મટાડો."
7 જયારે ઇઝરાયલના રાજાએ પત્ર વાંચ્યો, ત્યારે તેણે ગભરાઈને પોતાનાં વસ્ત્ર ફાડીને કહ્યું, "શું હું મારનાર કે જીવાડનાર ઈશ્વર છું કે, આ માણસ ઇચ્છે છે કે હું તેનો રોગ મટાડું? જુઓ તે કેવી રીતે મારી વિરુદ્ધ બહાનું શોધે છે?"
8 પણ જયારે ઈશ્વરભક્ત એલિશાએ સાંભળ્યું કે ઇઝરાયલના રાજાએ પોતાનાં વસ્ત્ર ફાડયાં છે, ત્યારે તેણે રાજાને સંદેશો મોકલ્યો, "તેં શા માટે પોતાનાં વસ્ત્ર ફાડ્યાં છે? કૃપા કરીને તેને મારી પાસે મોકલ, એટલે તે જાણશે કે અહીં ઇઝરાયલમાં પ્રબોધક છે." 9 તેથી નામાન પોતાના ઘોડા અને રથો સાથે એલિશા પ્રબોધકના ઘરના બારણા સામે આવીને ઊભો રહ્યો. 10 એલિશાએ તેની પાસે સંદેશાવાહક મોકલીને કહ્યું, "તું જઈને યર્દન નદીમાં સાત વખત ડૂબકી માર, એટલે તને નવું માંસ આવશે અને તું શુદ્ધ થઈશ."
11 પણ નામાને ગુસ્સે થઈને કહ્યું કે, "હું તો વિચારતો હતો કે, તે બહાર આવીને મારી પાસે ઊભો રહીને પોતાના ઈશ્વર યહોવાહને વિનંતી કરશે. અને મારા શરીર પર પોતાનો હાથ ફેરવશે અને મારો કુષ્ઠ રોગ મટી જશે. 12 શું દમસ્કસની નદીઓ અબાના અને ફાર્પાર ઇઝરાયલનાં બીજાં જળાશયો કરતાં વધારે સારી નથી? શું હું તેઓમાં સ્નાન કરીને શુદ્ધ ના થાઉં?" આમ તે ગુસ્સામાં પાછો ચાલવા લાગ્યો.
13 ત્યારે નામાનના ચાકરોએ તેની પાસે આવીને તેને કહ્યું, "અમારા માલિક, જો પ્રબોધકે તને કોઈ મુશ્કેલ કામ કરવા માટે કહ્યું હોત, તો શું તે તું કરત નહિ? તો જયારે તે તને કહે છે કે, સ્નાન કરીને શુદ્ધ થા. તો વિશેષ કરીને તે કરવું જ જોઈએ?" 14 પછી નામાને જઈને ઈશ્વરભક્ત એલિશાના કહ્યા પ્રમાણે યર્દન નદીમાં સાત વખત ડૂબકી મારી. એટલે તેનું માંસ નાના બાળકના માંસ જેવું થઈ ગયું, તે શુદ્ધ થઈ ગયો.