બાર્નાબાસ અને શાઉલ અલગ કરાયા
1 હવે અંત્યોખમાં જે વિશ્વાસી સમુદાય હતો તેમાં કેટલાક પ્રબોધકો તથા ઉપદેશકો હતા, એટલે બાર્નાબાસ તથા શિમયોન જે નિગેર કહેવાતો હતો તે, તથા કુરેનીનો લુકિયસ, તથા હેરોદ રાજાનો દૂધભાઈ મનાહેમ, તથા શાઉલ. 2 તેઓ પ્રભુનું ભજન કરતા તથા ઉપવાસ કરતા હતા, ત્યારે પવિત્ર આત્માએ તેઓને કહ્યું કે, જે સેવાકામ કરવા સારુ મેં બાર્નાબાસ તથા શાઉલને બોલાવ્યા છે તે સેવાકામને વાસ્તે તેઓને મારે સારુ અલગ કરો. 3 ત્યારે તેઓએ ઉપવાસ તથા પ્રાર્થના કરીને તથા તેઓ પર હાથ મૂકીને તેઓને વિદાય કર્યા.