3 "તમારે કોઈ દેવોની પૂજા કરવી નહિ, માત્ર મારી જ ભક્તિ કરવી."
4 "તમારે આકાશમાંની કે પૃથ્વી પરની કે પૃથ્વી નીચેના પાણીમાંની કોઈ પણ વસ્તુની મૂર્તિ કે પ્રતિમા બનાવવી નહિ. 5 તમારે તેઓને સાષ્ટાંગ પ્રણામ કરવા નહિ કે તેઓની પૂજા કરવી નહિ. કારણ કે હું જ તમારો ઈશ્વર યહોવાહ છું અને આવેશ રાખનાર છું. મારા લોકો જગતના દેવોની પૂજા કરે એ મને પસંદ નથી. જે મારી વિરુદ્ધ પાપ કરે છે, તેઓ મારા દુશ્મન બને છે અને હું તેઓને અને તેઓના સંતાનોને ત્રીજી તથા ચોથી પેઢી સુધી સજા કરીશ. 6 પરંતુ મારા પર પ્રેમ રાખનાર અને મારી આજ્ઞાનું પાલન કરનારની હજારો પેઢી પર હું દયાભાવ દર્શાવીશ.
7 "તમારે તમારા ઈશ્વર યહોવાહનું નામ વ્યર્થપણે ન લેવું. કારણ કે તે માણસોને હું નિર્દોષ ગણીશ નહિ. જેઓ મારું નામ વ્યર્થપણે લેશે તેને સજા કર્યા વિના હું રહેવાનો નથી."
8 "વિશ્રામવારની પવિત્રતા જાળવવાનું યાદ રાખજો." 9 છ દિવસ તમારે તમારાં બધાં કામકાજ કરવાં, પરંતુ સાતમો દિવસ વિશ્રામવાર તો તમારા ઈશ્વર યહોવાહનો છે. 10 તેથી વિશ્રામવારના દિવસે તમારે કે તમારા પુત્રોએ કે તમારી પુત્રીઓએ, તમારા દાસ-દાસીઓએ કે તમારાં જાનવરોએ કે તમારા ગામમાં રહેતા વિદેશીએ કોઈ કામ કરવું નહિ, કારણ કે, 11 છ દિવસમાં મેં યહોવાહે આકાશ, પૃથ્વી, સમુદ્ર તથા તેમાંની તમામ વસ્તુઓ ઉત્પન્ન કરી હતી અને સાતમે દિવસે મેં વિશ્રામ કર્યો હતો, તેથી મેં યહોવાહે વિશ્રામવારને આશીર્વાદ આપીને તેને પવિત્ર ઠરાવ્યો છે.
12 "તમારાં માતાપિતાનું સન્માન કરો, જેથી હું યહોવાહ તમારો ઈશ્વર તમને જે દેશ આપનાર છું તેમાં તમે લાંબુ આયુષ્ય પામો.
13 તમારે ખૂન કરવું નહિ.
14 તમારે વ્યભિચાર કરવો નહિ.
15 તમારે ચોરી કરવી નહિ.
16 તમારે પડોશી કે માનવબંધુ વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરવી નહિ.
17 તમારા પડોશીના ઘરની લાલસા રાખવી નહિ; તમારા પડોશીની પત્ની કે તેના દાસ કે તેની દાસી કે તેનો બળદ કે તેનું ગધેડું કે તમારા પડોશીની કોઈ પણ વસ્તુની લાલસા-લોભ, લાલચ, ઉત્કટ ઇચ્છા રાખવી નહિ."