46 ઈસુ ફરીથી ગાલીલમાંનું જે કાના ગામ છે, જ્યાં તેમણે પાણીનો દ્રાક્ષારસ બનાવ્યો હતો, ત્યાં આવ્યા; ત્યાં એક અધિકારી માણસ હતો, તેનો દીકરો કપરનાહૂમમાં માંદો હતો. 47 તેણે સાંભળ્યું હતું કે ઈસુ યહૂદિયાથી ગાલીલમાં આવ્યા છે, ત્યારે તેણે તેમની પાસે જઈને તેમને વિનંતી કરી કે, ‘આવીને મારા દીકરાને સાજો કરો;’ કેમ કે તે મરવાની અણી પર હતો.
48 ત્યારે ઈસુએ તેને કહ્યું કે, ‘ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો જોયા વગર તમે વિશ્વાસ કરવાના નથી.’" 49 તે અધિકારીએ ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, મારો દીકરો મરણ પામે તે અગાઉ આવો.’" 50 ઈસુ તેને કહે છે કે, ‘ચાલ્યો જા, તારો દીકરો જીવતો રહ્યો છે.’ જે વાત ઈસુએ તેને કહી, તે પર વિશ્વાસ રાખીને તે માણસ રવાના થયો.
51 તે જતો હતો એટલામાં તેના નોકરો તેને મળ્યા અને તેઓએ કહ્યું કે, ‘તારો દીકરો જીવતો રહ્યો છે.’" 52 તેણે તેઓને પૂછ્યું કે, ‘કયા સમયથી તે સાજો થવા લાગ્યો?’ ત્યારે તેઓએ તેને કહ્યું કે, ‘ગઈકાલે બપોરના એક વાગ્યા પછી તેનો તાવ જતો રહ્યો.’"
53 તેથી પિતાએ જાણ્યું કે, "જે સમયે ઈસુએ તેને કહ્યું હતું કે, ‘તારો દીકરો જીવતો રહ્યો છે’ તે જ સમયે એમ થયું;" અને તેણે પોતે તથા તેના કુટુંબનાં બધાએ વિશ્વાસ કર્યો. 54 ઈસુએ ફરી યહૂદિયાથી ગાલીલમાં આવીને આ બીજું ચમત્કારિક ચિહ્ન કર્યું.