યરીખોનું પતન
1 હવે ઇઝરાયલના સૈનિકોને કારણે યરીખોના બધા દરવાજા બંધ કરાયા હતા. કોઈ બહાર જઈ શકતું નહોતું અને કોઈ પણ અંદર આવી શકતું નહોતું. 2 યહોવાહે યહોશુઆને કહ્યું, "જો, મેં યરીખોને, તેના રાજાને અને તેના શૂરવીર સૈનિકોને તારા હાથમાં સોંપ્યા છે.
3 તમારે નગરની ચોતરફ પ્રદક્ષિણા કરવી, સર્વ યોધ્ધાઓએ દિવસમાં એકવાર નગરની પ્રદક્ષિણા કરવી. આમ છ દિવસ સુધી તમારે કરવું. 4 સાત યાજકો કરારકોશ આગળ ઘેટાંના શિંગનાં બનાવેલા સાત રણશિંગડા ઊંચકે. સાતમા દિવસે, તમારે સાત વાર નગરની પ્રદક્ષિણા કરવી અને યાજકોએ મોટા અવાજે રણશિંગડાં વગાડ્યાં.
5 મોટા અવાજ સાથે શિંગ વગાડે અને જયારે તેનો અવાજ તમે સાંભળો ત્યારે સઘળાં લોકો મોટો અવાજ કરે. તેથી નગરનો કોટ તૂટી પડશે. ત્યારે દરેક વ્યક્તિએ સીધા નગરમાં ધસી જવું."
6 પછી નૂનના દીકરા, યહોશુઆએ યાજકોને બોલાવીને કહ્યું કે, "કરારકોશ ઊંચકો અને સાત યાજકો યહોવાહનાં કરારકોશની આગળ સાત રણશિંગડાં લઈને ચાલે. 7 અને તેણે લોકોને કહ્યું, "આગળ જાઓ અને ચોતરફ નગરની પ્રદક્ષિણા કરો અને હથિયારબંધ પુરુષો યહોવાહનાં કરારકોશ આગળ જાય."