ઈસુ કડવા દાણાનું દ્રષ્ટાંત સમજાવે છે
36 ત્યારે લોકોને મૂકીને ઈસુ ઘરમાં ગયા; પછી તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું કે, "ખેતરનાં કડવા દાણાના દ્રષ્ટાંતનો અર્થ અમને કહો." 37 ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, "સારું બીજ જે વાવે છે તે માણસનો દીકરો છે. 38 ખેતર દુનિયા છે; સારાં બી રાજ્યના સંતાન છે, પણ કડવા દાણા શેતાનના સંતાન છે; 39 જેણે વાવ્યાં તે દુશ્મન શેતાન છે. કાપણી જગતનો અંત છે, અને કાપનારા સ્વર્ગદૂતો છે.
40 એ માટે જેમ કડવા દાણા એકઠા કરાય છે, અને અગ્નિમાં બાળી નંખાય છે, તેમ આ જગતના અંતે થશે. 41 માણસનો દીકરો પોતાના સ્વર્ગદૂતોને મોકલશે, પાપમાં પાડનારી બધી વસ્તુઓને તથા દુષ્ટતા કરનારાંઓને તેમના રાજ્યમાંથી તેઓ એકઠા કરશે, 42 અને તેઓને બળતી ભઠ્ઠીમાં નાખી દેશે, ત્યાં રડવું ને દાંત પીસવું થશે. 43 ત્યારે ન્યાયીઓ પોતાના પિતાના રાજ્યમાં સૂર્યની જેમ પ્રકાશશે. જેને સાંભળવાને કાન છે તે સાંભળે.