ભાઈના આત્મિક જીવનની કાળજી
15 વળી જો તારો ભાઈ તારી વિરુદ્ધ અપરાધ કરે, તો જા અને તેને એકાંતમાં લઈ જઈને તેનો દોષ તેને કહે. જો તે તારું સાંભળે, તો તેં તારા ભાઈને મેળવી લીધો છે. 16 પણ જો તે ન સાંભળે, તો બીજા એક બે માણસને તારી સાથે લે, એ માટે કે દરેક બાબત બે અથવા ત્રણ સાક્ષીઓના મુખથી સાબિત થાય.
17 જો તે તેઓનું માન્ય ન રાખે, તો મંડળીને કહે અને જો તે વિશ્વાસી સમુદાયનુ પણ માન્ય ન રાખે તો તેને બિનયહૂદીઓ તથા દાણીઓનાં જેવો ગણ.
એક ચિત્તના થઈને માગો
18 હું તમને નિશ્ચે કહું છું કે, જે કંઈ તમે પૃથ્વી પર બાંધશો, તે સ્વર્ગમાં બંધાશે; અને જે કંઈ તમે પૃથ્વી પર છોડશો, તે સ્વર્ગમાં છોડાશે. 19 વળી હું તમને સાચે જ કહું છું કે, જો પૃથ્વી પર તમારામાંના બે જણ કંઈ પણ બાબત સંબંધી એક ચિત્તના થઈને માગશે, તો મારા સ્વર્ગમાંના પિતા તેઓને માટે એવું કરશે. 20 કેમ કે જ્યાં બે અથવા ત્રણ મારે નામે એકઠા થયેલા હોય ત્યાં તેઓની મધ્યે હું છું."