ઈસુએ અંજીરીને શાપ આપ્યો
18 હવે સવારે નગરમાં પાછા આવતા ઈસુને ભૂખ લાગી. 19 રસ્તાની બાજુમાં એક અંજીરી જોઈને ઈસુ તેની પાસે ગયા, પણ તેના પર એકલાં પાંદડાં વગર બીજું કંઈ ન મળવાથી તેમણે તેને કહ્યું કે, "હવેથી તારા પર કદી ફળ ન લાગો;" અને એકાએક તે અંજીરી સુકાઈ ગઈ.
20 તે જોઈને શિષ્યો આશ્ચર્ય પામીને બોલ્યા કે, "અંજીરી કેવી રીતે એકાએક સુકાઈ ગઈ?" 21 ત્યારે ઈસુએ ઉત્તર આપતા તેઓને કહ્યું કે, "હું તમને નિશ્ચે કહું છું કે, જો તમને વિશ્વાસ હોય અને સંદેહ ન લાવો, તો આ અંજીરીને જે થયું તે તમે કરશો, એટલું જ નહિ પણ જો તમે આ પહાડને કહેશો કે, ‘તું ઊંચકાઈને સમુદ્રમાં પડ,’ તો તેમ જ થશે. 22 જે કંઈ તમે વિશ્વાસ રાખીને પ્રાર્થનામાં માગશો, તે સઘળું તમે પામશો."