ઈસુની વિરુદ્ધ કાવતરું
1 ઈસુએ સર્વ વાતો પૂરી કરી ત્યારે એમ થયું કે તેમણે પોતાના શિષ્યોને કહ્યું, 2 "તમે જાણો છો બે દિવસ પછી પાસ્ખાપર્વ છે, અને માણસના દીકરાને વધસ્તંભે જડાવા સારુ પરાધીન કરાશે."
3 પછી મુખ્ય યાજકો તથા લોકોના વડીલો કાયાફા નામે પ્રમુખ યાજકની કચેરીમાં એકત્ર થયા. 4 ઈસુને કપટથી પકડીને મારી નાખવા માટે તેઓએ સંકલ્પ કર્યો. 5 પણ તેઓએ કહ્યું કે, "પર્વમાં નહિ, રખેને લોકોમાં હુલ્લડ થાય."
બેથાનિયામાં ઈસુનો અભિષેક
6 ઈસુ બેથાનિયામાં સિમોન કુષ્ઠ રોગીના ઘરમાં હતા, 7 તેઓ જમવા બેઠા હતા ત્યારે એક સ્ત્રી અતિ મૂલ્યવાન અત્તરની સંગેમરમરની ડબ્બી લઈને તેમની પાસે આવી, અને તેમના માથા ઉપર અત્તર રેડ્યું. 8 જયારે તેમના શિષ્યોએ તે જોયું ત્યારે તેઓએ ગુસ્સે થઈને કહ્યું કે, "એ બગાડ શા માટે કર્યો? 9 કેમ કે એ અત્તર ઘણે મૂલ્યે વેચાત અને ગરીબોને અપાત."
10 ત્યારે ઈસુએ તે જાણીને તેઓને કહ્યું કે, "એ સ્ત્રીને તમે કેમ સતાવો છો? કેમ કે તેણે તો મારા પ્રત્યે ઉત્તમ કામ કર્યું છે. 11 કેમ કે ગરીબો સદા તમારી સાથે છે, પણ હું સદા તમારી સાથે નથી.
12 તેણીએ અત્તર મારા શરીર પર રેડ્યું તે કામ તો મારા દફનની તૈયારીને સારુ કર્યું છે. 13 હું તમને નિશ્ચે કહું છું કે, ‘આ સુવાર્તા આખી દુનિયામાં જ્યાં કહીં પ્રગટ કરાશે ત્યાં એણે જે કર્યું છે તે પણ તેની યાદગીરીને અર્થે કહેવામાં આવશે."
ઈસુને પકડાવી દેવા યહૂદાની સમંતિ
14 ત્યારે યહૂદા ઇશ્કારિયોત નામે બાર શિષ્યોમાંના એકે મુખ્ય યાજકોની પાસે જઈને કહ્યું કે, 15 "તેને હું તમારે સ્વાધીન કરું તો તમે મને શું આપવા રાજી છો?" તેઓએ તેને ચાંદીના ત્રીસ સિક્કા ચૂકવી આપ્યા. 16 ત્યારથી તે ઈસુને પરસ્વાધીન કરવાની તક શોધતો રહ્યો.
પોતાના શિષ્યો સાથે પાસ્ખા ભોજન
17 બેખમીર રોટલીના પર્વને પહેલે દિવસે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું કે, "અમે તમારે માટે પાસ્ખા ખાવાની તૈયારી ક્યાં કરીએ? તમારી શી ઇચ્છા છે?" 18 ત્યારે ઈસુએ કહ્યું કે, "નગરમાં ફલાણાની પાસે જઈને તેને કહો, ‘ઉપદેશક કહે છે કે "મારો સમય પાસે આવ્યો છે, હું મારા શિષ્યો સાથે તારે ઘેર પાસ્ખા પાળીશ.’" 19 ઈસુએ શિષ્યોને જેવી આજ્ઞા આપી હતી, તેવું તેઓએ કર્યું અને પાસ્ખા તૈયાર કર્યું.
20 સાંજ પડી ત્યારે બાર શિષ્યોની સાથે ઈસુ જમવા બેઠા હતા. 21 તેઓ જમતા હતા ત્યારે તેમણે કહ્યું કે, "હું તમને નિશ્ચે કહું છું કે, તમારામાંથી એક મને પરસ્વાધીન કરશે." 22 ત્યારે તેઓ ઘણાં દુઃખી થયા અને તેઓમાંનો દરેક તેમને કહેવા લાગ્યો કે, "પ્રભુ, શું તે હું છું?"
23 ઈસુએ ઉત્તર દેતાં કહ્યું કે, "જેણે મારી સાથે થાળીમાં હાથ મૂક્યો છે તે જ મને પરાધીન કરશે. 24 માણસના દીકરા સંબંધી જેમ લખેલું છે તેમ તે જાય છે ખરો; પણ જે માણસથી માણસનો દીકરો પરાધીન કરાય છે, તેને અફસોસ છે! જો તે માણસ જન્મ્યો ન હોત, તો તેને માટે વધારે સારું હોત." 25 ત્યારે તેને પરસ્વાધીન કરનાર યહૂદાએ પૂછ્યું કે, "ગુરુજી, શું તે હું છું?" ઈસુએ તેને કહ્યું કે, "તેં પોતે જ કહ્યું છે."
પ્રભુ ભોજનની સ્થાપના
26 તેઓ ભોજન કરતા હતા ત્યારે ઈસુએ રોટલી લઈને, આશીર્વાદ માગીને ભાંગી અને શિષ્યોને આપીને કહ્યું કે, "લો, ખાઓ, આ મારું શરીર છે."
27 પછી ઈસુએ પ્યાલો લઈને આભાર માન્યો અને તેઓને આપતાં કહ્યું કે, "તમે બધા એમાંથી પીઓ," 28 કેમ કે એ નવા કરારનું મારું રક્ત છે, જે પાપોની માફીને અર્થે ઘણાંઓને માટે વહેવડાવવામાં આવે છે.