પરમસુખ
3 "આત્મામાં જેઓ નિર્ધન છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.
4 જેઓ શોક કરે છે તેઓ આશીર્વાદિત છે;
કેમ કે તેઓ દિલાસો પામશે.
5 જેઓ નમ્ર છે તેઓ આશીર્વાદિત છે;
કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે.
6 જેઓને ન્યાયીપણાની ભૂખ તથા તરસ છે તેઓ આશીર્વાદિત છે;
કેમ કે તેઓ તૃપ્ત થશે.
7 દયાળુઓ આશીર્વાદિત છે;
કેમ કે તેઓ દયા પામશે.
8 મનમાં જેઓ શુદ્ધ છે તેઓ આશીર્વાદિત છે;
કેમ કે તેઓ ઈશ્વરને જોશે.
9 સુલેહ કરાવનારાંઓ આશીર્વાદિત છે;
કેમ કે તેઓ ઈશ્વરના દીકરા કહેવાશે.
10 ન્યાયીપણાને લીધે જેઓની સતાવણી કરાઈ છે તેઓ આશીર્વાદિત છે;
કેમ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.
11 જયારે લોકો તમારી નિંદા કરશે અને તમને સતાવશે તથા મારે લીધે તમારી વિરુદ્ધ જાત જાતની ખોટી વાત અસત્યતાથી કહેશે, ત્યારે તમે આશીર્વાદિત છો. 12 તમે આનંદ કરો તથા ખૂબ હરખાઓ, કેમ કે સ્વર્ગમાં તમારો બદલો મોટો છે. તમારી અગાઉનાં પ્રબોધકોની સાથે લોકોએ આ રીતે જુલમ કર્યા હતા.