12 અહીં યહૂદી તથા ગ્રીકમાં કશો તફાવત નથી, કેમ કે સર્વના પ્રભુ એક જ છે અને જેઓ તેને વિનંતી કરે છે તેઓ સર્વ પ્રત્યે તે ખૂબ જ ઉદાર છે. 13 કેમ કે ‘જે કોઈ પ્રભુને નામે પ્રાર્થના કરશે તે ઉદ્ધાર પામશે.’"
14 પણ જેમનાં ઉપર તેઓએ વિશ્વાસ કર્યો નથી, તેમને તેઓ કેવી રીતે વિનંતી કરી શકે? વળી જેમને વિષે તેઓએ સાંભળ્યું નથી, તેમના ઉપર તેઓ કેવી રીતે વિશ્વાસ કરી શકે? વળી ઉપદેશક વગર તેઓ કેવી રીતે સાંભળી શકે? 15 વળી તેઓને મોકલ્યા વગર તેઓ કેવી રીતે ઉપદેશ કરી શકે? ‘જેમ લખ્યું છે કે, શુભસંદેશ સંભળાવનારનાં પગલાં કેવાં સુંદર છે!’"
16 પણ બધાએ તે સુવાર્તા માની નહિ; કેમ કે યશાયા કહે છે કે, ‘હે પ્રભુ, અમારા સંદેશા પર કોણે વિશ્વાસ કર્યો છે?’ 17 આમ, સંદેશો સાંભળવાથી વિશ્વાસ થાય છે તથા ખ્રિસ્તનાં વચન દ્વારા સંદેશો સાંભળવામાં આવે છે.