Publicidade

2 Pedro 2

જૂઠા શિક્ષકો

1 જેમ ઇઝરાયલી લોકોમાં જૂઠાં પ્રબોધકો ઊભા થયા હતા, તેમ તમારામાં પણ ખોટા ઉપદેશકો થશે. તેઓ ગુપ્ત રીતે નાશકારક પાખંડી મતો ફેલાવશે અને જે પ્રભુએ તેઓનો ઉદ્ધાર કર્યો તેનો પણ નકાર કરીને જલદીથી પોતાનો જ વિનાશ કરશે. 2 ઘણાં માણસો તેઓના અનિષ્ટ કામોમાં ચાલશે; અને તેઓને લીધે સત્યનાં માર્ગનો તિરસ્કાર થશે. 3 તેઓ દ્રવ્યલોભથી કપટી વાતો બોલીને તમારું શોષણ કરશે; તેઓને માટે અગાઉથી ઠરાવેલી સજામાં વિલંબ કે તેઓના નાશમાં ઢીલ થશે નહિ.

4 કેમ કે જે દૂતોએ પાપ કર્યું તેઓને ઈશ્વરે છોડ્યાં નહિ, પણ તેઓને નર્કમાં નાખીને ન્યાયચુકાદા સુધી અંધકારનાં ખાડાઓમાં રાખ્યા; 5 તેમ જ ઈશ્વરે પુરાતન માનવજગતને છોડ્યું નહિ, પણ અધર્મી જગત પર જળપ્રલય લાવીને ન્યાયીપણાના ઉપદેશક નૂહને તથા તેની સાથેનાં સાત લોકોને બચાવ્યાં; 6 અને અધર્મીઓને જે થનાર છે ઉદાહરણ આપવા સારુ સદોમ તથા ગમોરા શહેરોને બાળીને ભસ્મ કર્યાં, અને તેઓને પાયમાલ કરીને તેઓને શિક્ષા કરી.

7 અને ન્યાયી લોત જે અધર્મીઓના દુરાચારથી ત્રાસ પામતો હતો તેને છોડાવ્યો, 8 કેમ કે તે પ્રામાણિક માણસ જયારે તેઓની સાથે પ્રતિદિન રહેતો હતો ત્યારે તેઓનાં ખરાબ કામ જોઈને તથા સાંભળીને તે પોતાના ન્યાયી આત્મામાં નિત્ય દુઃખ પામતો હતો. 9 પ્રભુ ભક્તોને પરીક્ષણમાંથી છોડાવવાનું જાણે છે, અને અન્યાયીઓને તથા વિશેષે કરીને જેઓ દુર્વાસનાઓથી દૈહિક વિકારો પ્રમાણે ચાલે છે.

10 અને પ્રભુના અધિકારને તુચ્છ ગણે છે તેઓને ન્યાયકાળ સુધી શિક્ષાને માટે રાખી મૂકવાનું તે જાણે છે. તેઓ ઉદ્ધત તથા સ્વછંદી થઈને આકાશી જીવોની નિંદા કરતાં પણ ડરતા નથી. 11 પરંતુ સ્વર્ગદૂતો વિશેષ બળવાન તથા પરાક્રમી હોવા છતાં પ્રભુની આગળ તેઓની નિંદા કરીને તેઓ પર દોષ મૂકતા નથી.

12 પણ આ માણસો, સ્વભાવે અબુધ પશુ કે જેઓ પકડાવા તથા નાશ પામવાને સૃજાયેલાં છે, તેઓની માફક તેઓ જે વિષે જાણતા નથી, તે વિષે નિંદા કરીને પોતાના દુરાચારમાં નાશ પામશે, અન્યાય કર્યાને લીધે અન્યાયનું ફળ ભોગવશે. 13 ઉઘાડે છોગ સુખભોગ કરવાને આનંદ માને છે; તેઓ ડાઘ તથા કલંક છે; અને પોતાના પ્રેમભોજનમાં દુષ્કાર્યો કરવામાં આનંદ માણે છે. 14 તેઓની આંખો વ્યભિચારિણીઓની વાસનાથી ભરેલી છે અને પાપ કરતાં બંધ થતી નથી; તેઓ અસ્થિર માણસોને લલચાવે છે; તેઓનાં હૃદયો દ્રવ્યલોભમાં કેળવાયેલાં છે, તેઓ શાપિત છે.

15 ખરો માર્ગ મૂકીને તેઓ અવળે માર્ગે ભટકેલા છે, અને બયોરનો દીકરો બલામ, જેણે અન્યાયનું ફળ ચાહ્યું તેને માર્ગે ચાલનારાં થયા. 16 પણ તેને પોતાના અધર્મને લીધે ઠપકો આપવામાં આવ્યો; મૂંગા ગધેડાએ માણસની વાણીથી પ્રબોધકની ઘેલછાને અટકાવી.

17 તેઓ પાણી વગરના ઝરા જેવા તથા તોફાનથી ઘસડાતી વાદળી જેવા છે, તેઓને સારુ ઘોર અંધકાર રાખેલો છે. 18 તેઓ વ્યર્થતાની બડાઈની વાતો કહે છે. તેઓમાંથી જેઓ બચી જવાની તૈયારીમાં છે તેઓને દૈહિક વિષયોથી તથા ભ્રષ્ટાચારથી લલચાવે છે. 19 તેઓને તેઓ સ્વતંત્રતાનું વચન આપે છે, પણ પોતે ભ્રષ્ટાચારના દાસ છે; કેમ કે માણસને જ કોઈ જીતે છે, તે જ તેને પોતાનો દાસ બનાવે છે.

20 કેમ કે આપણા પ્રભુ તથા ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તને ઓળખવાથી જો તેઓ, જગતની ભ્રષ્ટતાથી છૂટીને, પાછા તેમાં ફસાઈને હારી ગયા, તો તેઓની છેલ્લી દશા પહેલી કરતાં ખરાબ થઈ છે; 21 કારણ કે ન્યાયીપણાનો માર્ગ જાણ્યાં પછી તેઓને જે પવિત્ર આજ્ઞા આપવામાં આવી હતી તેમાંથી પાછા ફરવું, એ કરતાં તેઓ તે માર્ગ વિષે અજાણ્યા રહ્યા હોત તો સારું હોત. 22 પણ તેઓને માટે આ કહેવત સાચી ઠરી છે, ‘કૂતરું પોતે ઊલટી કરી હોય ત્યાં પાછું આવે છે અને નવડાવેલું ભૂંડ કાદવમાં આળોટવા માટે પાછું આવે છે.’"

Veja também

Publicidade
2 Pedro
Ver todos os capítulos de 2 Pedro
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-15_21-32-39-