Publicidade

Marcos 16

ઈસુનું સજીવન થઈ ઊઠવું

1 વિશ્રામવાર વીતી ગયા પછી મગ્દલાની મરિયમ, યાકૂબની મા મરિયમ તથા શાલોમીએ, સુગંધી ચીજો વેચાતી લીધી, એ માટે કે તેઓ જઈને તેમને લગાવે. 2 અઠવાડિયાને પહેલે દિવસે વહેલી સવારે સૂરજ ઊગતાં પહેલાં તેઓ કબરે આવી.

3 તેઓ અંદરોઅંદર કહેતી હતી કે, ‘આપણે માટે કબર ઉપરનો પથ્થર કોણ ખસેડશે?’" 4 તેઓ નજર ઊંચી કરીને જુએ છે કે, પથ્થર ગાબડાયેલો હતો. જોકે તે ઘણો મોટો હતો.

5 તેઓએ કબરમાં પ્રવેશીને સફેદ ઝભ્ભો પહેરેલા, જમણી તરફ બેઠેલા, એક જુવાન માણસને જોયો. તેથી તેઓ ગભરાઈ ગઈ. 6 પણ તે તેઓને કહે છે કે, ‘ગભરાશો નહિ; વધસ્તંભે જડાયેલા નાસરેથના ઈસુને તમે શોધો છો; તે ઊઠ્યાં છે; તે અહીં નથી; જુઓ, જે જગ્યાએ તેમને દફનાવ્યાં હતા તે આ છે. 7 પણ જાઓ, અને તેમના શિષ્યોને, અને ખાસ કરીને પિતરને કહો કે તેઓ તમારી આગળ ગાલીલમાં જાય છે, જેમ તેમણે તમને કહ્યું હતું તેમ. તમે તેમને ત્યાં જોશો.’"

8 તેઓ બહાર નીકળીને કબરની પાસેથી દોડી ગઈ; કેમ કે તેઓને સાચે ભય તથા આશ્ચર્ય લાગ્યું હતું; અને તેઓએ કોઈને કંઈ કહ્યું નહિ; કેમ કે તેઓ ડરતી હતી.

ઈસુ મગ્દલાની મરિયમને દેખાયા

9 (હવે અઠવાડિયાના પહેલા દિવસની સવારે ઈસુ પાછા ઊઠીને મગ્દલાની મરિયમ, જેનાંમાંથી તેમણે સાત દુષ્ટાત્માઓ કાઢ્યાં હતા, તેને તેઓ પ્રથમ દેખાયા. 10 જેઓ તેમની સાથે રહેલા હતા, તેઓ શોક તથા રુદન કરતા હતા, ત્યારે તેણે તેઓની પાસે જઈને ખબર આપી. 11 ઈસુ જીવિત છે અને તેના જોવામાં આવ્યા છે, એ તેઓએ સાંભળ્યું પણ વિશ્વાસ કર્યો નહિ.

બે શિષ્યોને ઈસુ દેખાયા

12 એ પછી તેઓમાંના બે જણ ચાલીને એમ્મૌસ ગામે જતા હતા, એટલામાં ઈસુ અન્ય સ્વરૂપે તેઓને દેખાયા. 13 તેઓએ જઈને બાકી રહેલાઓને કહ્યું. જોકે તેઓએ પણ તેઓનું માન્યું નહિ.

અગિયાર શિષ્યોને ઈસુ દેખાયા

14 ત્યાર પછી અગિયાર શિષ્યો જમવા બેઠા હતા, ત્યારે ઈસુ તેઓને દેખાયા; અને તેમણે તેઓના અવિશ્વાસ તથા હૃદયની કઠણતાને લીધે તેઓને ઠપકો આપ્યો; કેમ કે તેઓ પાછા ઊઠ્યાં પછી જેઓએ તેમને જોયા હતા, તેઓનું તેઓએ માન્યું ન હતું. 15 ઈસુએ તેઓને કહ્યું કે, ‘આખી દુનિયામાં જઈને સમગ્ર સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો. 16 જે કોઈ વિશ્વાસ કરે તથા બાપ્તિસ્મા લે, તે ઉદ્ધાર પામશે; પણ જે વિશ્વાસ નહિ કરે, તે અપરાધી ઠરશે.

17 વિશ્વાસ કરનારાઓને હાથે આવાં ચમત્કારિક ચિહ્નો થશે, મારે નામે તેઓ દુષ્ટાત્માઓને કાઢશે, નવી ભાષાઓ બોલશે, 18 સર્પોને ઉઠાવી લેશે અને જો તેઓથી કંઈ પ્રાણઘાતક વસ્તુ પિવાઈ જશે તો તેઓને કંઈ ઈજા થશે નહિ; તેઓ બિમારો પર હાથ મૂકશે અને તેઓ સાજાં થશે.’"

ઈસુનું સ્વર્ગારોહણ

19 પ્રભુ ઈસુ તેઓની સાથે બોલી રહ્યા પછી સ્વર્ગમાં લઈ લેવાયા અને ઈશ્વરને જમણે હાથે બિરાજ્યા. 20 તેઓએ ત્યાંથી જઈને બધે સ્થળે સુવાર્તા પ્રગટ કરી; અને પ્રભુ તેઓના કામમાં તેઓને સહાય કરતા અને તેઓને હાથે થયેલા ચમત્કારિક ચિહ્નોથી સુવાર્તાની સત્યતા સાબિત કરતા હતા.)

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-15_21-32-39-