Publicidade

Provérbios 12

1 જે કોઈ માણસ શિખામણ ચાહે છે તે વિદ્યા પણ ચાહે છે,

પણ જે વ્યક્તિ ઠપકાને ધિક્કારે છે તે પશુ જેવો છે.

2 સારો માણસ યહોવાહની કૃપા મેળવે છે,

પણ કુયુક્તિખોર માણસને તે દોષપાત્ર ઠેરવશે.

3 માણસ દુષ્ટતાથી સ્થિર થશે નહિ,

પણ નેકીવાનની જડ કદી ઉખેડવામાં આવશે નહિ.

4 સદગુણી સ્ત્રી તેના પતિને મુગટરૂપ છે,

પણ નિર્લજ્જ સ્ત્રી તેનાં હાડકાને સડારૂપ છે.

5 નેકીવાનના વિચાર ભલા હોય છે,

પણ દુષ્ટોની સલાહ કપટભરી હોય છે.

6 દુષ્ટની વાણી રક્તપાત કરવા વિષે હોય છે,

પણ પ્રામાણિક માણસનું મુખ તેને બચાવશે.

7 દુષ્ટો ઉથલી પડે છે અને હતા નહતા થઈ જાય છે,

પણ સદાચારીનું ઘર કાયમ ટકી રહે છે.

8 માણસ પોતાના ડહાપણ પ્રમાણે પ્રસંશા પામે છે,

પણ જેનું હૃદય દુષ્ટ છે તે તુચ્છ ગણાશે.

9 જેને અન્નની અછત હોય અને પોતાને માનવંતો માનતો હોય તેના કરતાં

જે નિમ્ન ગણાતો હોય પણ તેને ચાકર હોય તો તે શ્રેષ્ઠ છે.

10 ભલો માણસ પોતાના પશુના જીવની સંભાળ રાખે છે,

પણ દુષ્ટ માણસની દયા ક્રૂરતા સમાન હોય છે.

11 પોતાની જમીન ખેડનારને પુષ્કળ અન્ન મળશે;

પણ નકામી વાતો પાછળ દોડનાર મૂર્ખ છે.

12 દુષ્ટ માણસો ભૂંડાની લૂંટ લેવા ઇચ્છે છે,

પણ સદાચારીનાં મૂળ તો ફળદ્રુપ છે.

13 દુષ્ટ માણસના હોઠોનાં ઉલ્લંઘનો તેઓને પોતાને માટે ફાંદો છે,

પણ સદાચારીઓ સંકટમાંથી છૂટા થશે.

14 માણસ પોતે બોલેલા શબ્દોથી સંતોષ પામશે

અને તેને તેના કામનો બદલો પાછો મળશે.

15 મૂર્ખનો માર્ગ તેની પોતાની નજરમાં સાચો છે,

પણ જ્ઞાની માણસ સારી સલાહ પર લક્ષ આપે છે.

16 મૂર્ખ પોતાનો ગુસ્સો તરત પ્રગટ કરી દે છે,

પણ ડાહ્યો માણસ અપમાન ગળી જાય છે.

17 સત્ય ઉચ્ચારનાર નેકી પ્રગટ કરે છે,

પણ જૂઠો સાક્ષી છેતરપિંડી કરે છે.

18 અવિચારી વાણી તલવારની જેમ ઘા કરે છે

પણ જ્ઞાની માણસની જીભના શબ્દો આરોગ્યરૂપ છે.

19 જે હોઠ સત્ય બોલે છે તેઓ શાશ્વત રહે છે

અને જૂઠા બોલી જીભ ક્ષણિક રહે છે.

20 જેઓ ખરાબ યોજનાઓ કરે છે તેઓનાં મન કપટી છે,

પણ શાંતિની સલાહ આપનાર સુખ પામે છે.

21 સદાચારીને કંઈ નુકશાન થશે નહિ,

પરંતુ દુષ્ટો મુશ્કેલીઓથી ભરેલા હોય છે.

22 યહોવાહ જૂઠાને ધિક્કારે છે,

પણ સત્યથી વર્તનારાઓ તેમને આનંદરૂપ છે.

23 ડાહ્યો પુરુષ ડહાપણને છુપાવે છે,

પણ મૂર્ખ પોતાની મૂર્ખાઈ જાહેર કરે છે.

24 ઉદ્યમીનો હાથ અધિકાર ભોગવશે,

પરંતુ આળસુ માણસ પાસે મજૂરી કરાવવામાં આવશે.

25 પોતાના મનની ચિંતાઓ માણસને ગમગીન બનાવે છે,

પણ માયાળુ શબ્દો તેને ખુશ કરે છે.

26 નેકીવાન માણસ પોતાના પડોશીને સાચો માર્ગ બતાવે છે,

પણ દુષ્ટોનો માર્ગ તેને ગેરમાર્ગે દોરે છે.

27 આળસુ માણસ પોતે કરેલો શિકાર રાંધતો નથી,

પણ ઉદ્યમી માણસ થવું એ મહામૂલી સંપત્તિ મેળવવા જેવું છે.

28 નેકીના માર્ગમાં જીવન છે.

અને એ માર્ગમાં મરણ છે જ નહિ.

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-18_14-04-22-