1 જુદો પડેલો માણસ ફક્ત પોતાની ઇચ્છાઓ વિશે જ વિચારે છે
અને બધી સારી સલાહોને ગુસ્સાથી નકારે છે.
2 મૂર્ખને બુદ્ધિમાં રસ નથી હોતો,
પણ તેને ફક્ત પોતાનાં મંતવ્યોને જ રજૂ કરવાં હોય છે.
3 જ્યારે દુષ્ટ આવે છે ત્યારે સાથે તુચ્છકાર પણ લેતો આવે છે,
અપકીર્તિ સાથે શરમ અને નિંદા પણ આવે છે.
4 માણસના મુખના શબ્દો ઊંડા પાણી જેવા છે;
ડહાપણનો ઝરો વહેતી નદી જેવો છે.
5 દુષ્ટની શેહશરમ રાખવી
અથવા ઇનસાફમાં નેક માણસનો અન્યાય કરવો એ સારું નથી.
6 મૂર્ખના હોઠ કજિયા કરાવે છે
અને તેનું મુખ ફટકા માગે છે.
7 મૂર્ખનું મોં એ તેનો વિનાશ છે
અને તેના હોઠ એ તેના પોતાના આત્માનો ફાંદો છે.
8 કૂથલીના શબ્દો સ્વાદિષ્ટ ભોજનના કોળિયા જેવા હોય છે
અને તે તરત ગળે ઊતરી જઈને શરીરના અંદરના ભાગમાં પહોંચી જાય છે.
9 વળી જે પોતાનાં કામ કરવામાં ઢીલો છે
તે ઉડાઉનો ભાઈ છે.
10 યહોવાહનું નામ મજબૂત કિલ્લો છે;
નેકીવાન તેમાં નાસી જઈને સુરક્ષિત રહે છે.
11 ધનવાન માણસનું ધન એ તેનું કિલ્લેબંધીવાળું શહેર છે
અને તેની પોતાની માન્યતા પ્રમાણે તે ઊંચા કોટ જેવું છે.
12 માણસનું હૃદય અભિમાની થયા પછી નાશ આવે છે,
પણ વિનમ્રતા સન્માનની અગાઉ આવે છે.
13 સાંભળ્યા પહેલાં જવાબ આપવામાં
મૂર્ખાઈ તથા લજ્જા છે.
14 હિંમતવાન માણસ પોતાનું દુ:ખ સહન કરી શકશે,
પણ ઘાયલ મન કોણ વેઠી શકે?