Publicidade

Sofonias 2

પશ્ચાતાપને માટે વિનંતી

1 હે શરમ વગરની પ્રજા, તમે સાથે મળી એકત્ર થાઓ.

2 ચુકાદાનો સમય આવે તે અગાઉ અને ઊડી જતાં ફોતરાની જેમ દિવસ પસાર થઈ જાય તે અગાઉ,

યહોવાહનો પ્રચંડ ક્રોધ તમારા પર આવે તે અગાઉ!, યહોવાહના ક્રોધનો દિવસ તમારા પર આવે તે પહેલા તમે એકત્ર થાઓ.

3 હે પૃથ્વી પરના સર્વ નમ્ર લોકો, જેઓ તેમના વિધિઓ પાળે છે તેઓ યહોવાહને શોધો.

ન્યાયીપણું શોધો! નમ્રતા શોધો,

તો કદાચ તમે યહોવાહના ક્રોધના દિવસે સુરક્ષિત રહો.

ઇઝરાયલની આસપાસની પ્રજાઓ પર આફત

4 કેમ કે ગાઝાને તજી દેવામાં આવશે, આશ્કલોન વેરાન થઈ જશે.

આશ્દોદને તેઓ ખરે બપોરે નસાડી મૂકશે, એક્રોનને તેઓ ઉખેડી નાખશે.

5 સમુદ્ર કિનારે રહેનારા કરેથીઓની પ્રજાને અફસોસ! યહોવાહનું વચન તમારી વિરુદ્ધ છે કે,

પલિસ્તીઓના દેશ, કનાન, હું તારો એવી રીતે નાશ કરીશ કે તારામાંનો કોઈ પણ નિવાસી બચી રહેશે નહિ.

6 સમુદ્રકિનારા બીડો થઈ જશે અને ત્યાં ભરવાડોનાં રહેઠાણ તથા ટોળાંઓના વાડા થઈ જશે.

7 કિનારાના પ્રદેશ પર યહૂદિયાના બાકીના લોકોનો કબજો થશે.

અને તેઓ ત્યાં ઘેટાંબકરાં ચરાવશે. તેઓના લોકો સાંજે આશ્કલોનના ઘરોમાં સૂઈ જશે,

કેમ કે યહોવાહ તેઓના ઈશ્વર તેઓની સંભાળ લેશે અને તેઓનું ભાવિ ફેરવી નાખશે.

8 "મોઆબનાં લોકોએ મહેણાં માર્યા છે અને આમ્મોન લોકોએ નિંદા કરી છે.

તેઓએ મારા લોકોને મહેણાં માર્યાં, નિંદા કરી અને તેઓની સરહદો પચાવી પાડી તે મેં સાંભળ્યું છે.

9 તેથી ઇઝરાયલના ઈશ્વર, સૈન્યોના યહોવાહ કહે છે કે, મારા જીવના સમ,

મોઆબ સદોમ જેવું અને આમ્મોનના લોકો ગમોરાના જેવા થશે;

તે પ્રદેશ સદાને માટે ક્ષારની ખાણ તથા ઝાંખરાવાળા રણના પ્રદેશ જેવો બની જશે.

મારા બાકી રહેલા લોકો તેઓને લૂંટશે, મારી પ્રજાના બાકી રહેલા લોકો તેઓનો વારસો થશે."

10 તેઓના અભિમાનને લીધે મોઆબ તથા આમ્મોનને આવી શિક્ષા થશે, કેમ કે તેઓએ સૈન્યોના યહોવાહના લોકોની મજાક કરી છે અને મહેણાં માર્યાં છે. 11 હવે તેઓ યહોવાહથી બીશે અને તે આખી પૃથ્વીના બધા દેવોને મહેણાં મારશે. દરેક તેમની આરાધના કરશે, દરેક પોતપોતાના સ્થળેથી, હા, દરેક સમુદ્રકિનારેથી તેમની આરાધના કરશે.

12 તમે કૂશીઓ પણ મારી તલવારથી માર્યા જશો.

13 ઈશ્વર પોતાનો હાથ ઉત્તર તરફ લંબાવીને આશ્શૂરનો નાશ કરશે,

જેથી નિનવેને વેરાન તથા રણના જેવું સૂકું કરીને ત્યજી દેવામાં આવશે.

14 જાનવરો, એટલે દરેક પ્રજાનાં પ્રાણીઓ આશ્શૂરમાં પડી રહેશે,

તેના થાંભલાઓની ટોચ પર બગલાં તથા ઘુવડો માળા બાંધશે.

તેઓના સાદનું ગાયન બારીમાંથી સંભળાશે, ઉંબરાઓ ઉજ્જડ થઈ જશે, કેમ કે તેણે એરેજકાષ્ટના પાટડા ઉઘાડા કરી નાખ્યા છે.

15 આ આનંદી નગર નિશ્ચિંત રહેતું હતું,

તે હૃદયમાં કહે છે કે, "હું છું અને મારા જેવું કોઈ પણ નથી."

તે કેવું વેરાન તથા પશુઓના રહેવાનું સ્થાન થઈ ગયું છે.

તેની પાસે થઈને જનાર દરેક માણસ નિસાસા સાથે પોતાનો હાથ હલાવશે.

Veja também

Publicidade
Sofonias
Ver todos os capítulos de Sofonias
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-18_09-43-29-