Publicidade

Deuteronômio 18

લેવીઓ અને યાજકોના હક્ક

1 લેવી યાજકો તથા લેવીના આખા કુળને ઇઝરાયલની સાથે ભાગ કે વારસો ન મળે; તેઓ યહોવાહને ચઢાવેલાં હોમયજ્ઞો અને તેમના વારસા ઉપર ગુજરાન ચલાવે. 2 તેઓને તેઓના બીજા ભાઈઓની મધ્યે વારસો મળે નહિ, તેઓનો વારસો તો યહોવાહ છે. જેમ તેમણે કહ્યું છે તેમ.

3 લોકો તરફથી એટલે વાછરડાનો કે ઘેટાંનો યજ્ઞ ચઢાવનાર તરફથી આ પ્રત્યેક ઘેટાના અથવા બળદના ખભાનો ભાગ, મોં તથા પેટનો ભાગ યાજકોને આપે. 4 તમારા અનાજની, નવા દ્રાક્ષારસની તથા તેલની પેદાશની પ્રથમફળ ઊપજ અને ઘેટાંની પહેલી કાતરણીનું ઊન તમે લેવીઓને આપો. 5 કારણ કે યહોવાહ તમારા ઈશ્વરે તમારાં સર્વ કુળોમાંથી તેઓ તથા તેઓના દીકરાઓને સદાને માટે પસંદ કર્યા છે કે, તેઓ ઊભા રહીને યહોવાહને નામે સેવા કરે.

6 અને કોઈ પણ લેવી આખા ઇઝરાયલમાં તમારી કોઈ પણ જગ્યાએ રહેતો હોય અને તે ત્યાંથી નીકળીને પોતાના મનની પૂરી ઇચ્છાથી યહોવાહ જે સ્થળ પસંદ કરવાના છે ત્યાં આવે. 7 તો ત્યાં યહોવાહની હજૂરમાં ઊભા રહેનાર તેઓના સર્વ લેવી ભાઈઓ જેમ કરે છે તેમ તે પણ યહોવાહ તેઓના ઈશ્વરના નામે સેવા કરે. 8 તેઓના વડીલોની મિલકતના વેચાણથી જે તેઓને મળે તે ઉપરાંત તેઓને બીજાઓના જેટલો જ ભાગ ખાવાને મળે.

મેલી વિદ્યા સંબંધી ચેતવણી

9 જે દેશ યહોવાહ તમારા ઈશ્વર આપે છે, તેમાં તમે જાઓ ત્યારે તે દેશજાતિઓનાં ધિક્કારપાત્ર કાર્યોનું અનુકરણ તમારે કરવું નહિ. 10 તમારી મધ્યે એવો કોઈ માણસ હોવો ન જોઈએ કે જે પોતાના દીકરાને કે દીકરીને અગ્નિમાં ચલાવતો હોય, કે, જોષ જોતો હોય કે, શકુન જોતો હોય કે, ધંતરમંતર કરનાર કે જાદુગર, 11 મોહિની લગાડનાર કે મૂઠ મારનાર, ઈલમી કે ભૂવો હોય.

12 કેમ કે જે કોઈ આવાં કામો કરે છે તેઓને યહોવાહ ધિક્કારે છે અને આવાં ધિક્કારપાત્ર કામોને કારણે જ યહોવાહ તમારા ઈશ્વરે તેઓને તારી આગળથી કાઢી મૂકવા છે. 13 તેથી તમે યહોવાહ તમારા ઈશ્વરની દૃષ્ટિમાં નિર્દોષ થાઓ. 14 કેમ કે આ જે દેશજાતિઓનું વતન તમે પામવાના છો, તેઓ જોષ જોનારોઓનું તથા શુકન જોનારાનું પણ સાંભળે છે. તમને તો યહોવાહ તમારા ઈશ્વરે એવું કરવા દીધું નથી.

પ્રબોધક મોકલવાનું વચન

15 યહોવાહ તમારા ઈશ્વર તમારે માટે તમારી મધ્યેથી મારા જેવો એક પ્રબોધક ઊભો કરશે. અને તેઓનું તમારે સાંભળવું. 16 હોરેબમાં સભાને દિવસે જે સર્વ તમે યહોવાહ તમારા ઈશ્વર પાસે માગ્યું કે, "હવે પછી યહોવાહ અમારા ઈશ્વરની વાણી અમારા સાંભળવામાં ન આવે. તેમ જ આ મોટો અગ્નિ હવે પછી અમારા જોવામાં ન આવે. રખેને તે પ્રમાણે હું માર્યો જાઉં."

17 અને યહોવાહે મને કહ્યું કે, તેઓએ જે કહ્યું છે તે ઠીક કહ્યું છે. 18 હું તેમને માટે તેઓમાંથી તારા જેવા એક પ્રબોધકને ઊભો કરીશ. અને હું મારા વચનો તેના મુખમાં મૂકીશ. અને જે સર્વ હું ફરમાવું તે તેઓને કહેશે. 19 અને એમ થશે કે, મારે નામે મારાં જે વચનો તે બોલશે, તે જે કોઈ નહિ સાંભળે તેની પાસેથી હું જવાબ લઈશ.

20 પણ જો કોઈ પ્રબોધક ગર્વ કરીને મારે નામે જે વાત બોલવાની મેં તેને આજ્ઞા આપી નથી, તે બોલશે, અથવા અન્ય દેવોને નામે જે બોલશે તે પ્રબોધક માર્યો જશે. 21 અને જો તમે તમારા હૃદયમાં એમ કહો કે, યહોવાહ જે વાત બોલ્યા નથી તે અમે શી રીતે જાણીએ?’"

22 જયારે કોઈ પ્રબોધક યહોવાહના નામે બોલે અને જો તે વાત પ્રમાણે ન થાય, અથવા તે પૂરી કરવામાં ન આવે, તો તે વાત યહોવાહ બોલ્યા નથી એમ તમારે જાણવું; પ્રબોધક ગર્વથી તે બોલ્યા છે, તેનાથી તું બીશ નહિ.

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-18_14-04-22-