Publicidade

Deuteronômio 19

આશ્રયનગરો

1 જે દેશજાતિઓનો દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને આપે, તે દેશજાતિઓનો જ્યારે યહોવાહ તમારા ઈશ્વર નાશ કરે, તમે તેઓનો કબજો કરો અને તેઓનાં નગરો અને ઘરોમાં વસવાટ કરો, 2 ત્યારે જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને વતન પામવા માટે આપે, તેની મધ્યે તમે તમારા માટે ત્રણ નગરો પસંદ કરો. 3 તમે તમારા માટે માર્ગ બનાવો, યહોવાહ તમારા ઈશ્વર જે દેશનો તમને વારસો આપે, તે દેશની સીમાના ત્રણ ભાગ કરો, કે જેથી દરેક વ્યક્તિ કે જે અન્ય વ્યક્તિને મારી નાખે તે તેમાં નાસી જાય.

4 જે કોઈ અન્ય વ્યક્તિને મારી નાખીને ત્યાં નાસી જાય તે બચી જાય આ નિયમ તેઓના માટે છે: જે કોઈને પોતાના પડોશી પર પહેલાં દ્રેષ ન હતો, પણ અજાણ્યે તે તેને મારી નાખે તે, 5 જ્યારે કોઈ વ્યક્તિ પોતાના પડોશી સાથે જંગલમાં લાકડાં કાપવા જાય, ત્યાં લાકડાં કાપતાં કુહાડો હાથમાંથી છટકીને પડોશીને વાગે અને તેનું મૃત્યુ થાય, એવો ખૂની આ ત્રણ નગરમાંથી કોઈ એકમાં નાસી જાય અને તેમાં આશ્રય મળે.

6 રખેને લોહીનો બદલો લેનારને ગુસ્સો આવે અને મનુષ્યઘાતકની પાછળ લાગીને રસ્તો લાંબો હોવાના કારણથી તે તેને પકડી પાડીને તેને મરણતોલ માર મારે, જો કે પહેલાથી તે તેના પર દ્રેષ કરતો ન હોવાને લીધે તે મરણયોગ્ય ન હોય તો પણ. 7 એ માટે હું તમને આજ્ઞા આપું છું કે, તમારા માટે ત્રણ નગરો પસંદ કરો.

8 જો યહોવાહ તમારા ઈશ્વર, તમારા પિતૃઓને આપેલા વચન પ્રમાણે, તમારી સરહદો વધારે અને તમારા પિતૃઓને આપેલા વચન પ્રમાણે આખો દેશ તમને આપે; 9 જો હું તમને આજે જે આજ્ઞાઓ ફરમાવું છું એટલે કે, યહોવાહ તમારા ઈશ્વરને પ્રેમ કરવો, હંમેશા તેમના માર્ગોમાં ચાલવું, તે પાળીને તમે અમલમાં મૂકો, તો તમારે આ ત્રણ નગર ઉપરાંત બીજાં ત્રણ નગરોનો વધારો કરવો. 10 આ રીતે જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને વારસા માટે આપે છે તેમાં નિર્દોષ લોકોનાં લોહી વહેવડાવામાં ન આવે, કે જેથી લોહીનો દોષ તમારા પર ન આવે.

11 પરંતુ જો કોઈ વ્યક્તિ પોતાના પડોશી પર દ્વેષ રાખે, લાગ તાકીને છુપાઈ રહે અને તેની સામે ઊઠીને તેનો નાશ થાય ત્યાં સુધી તેને મારે કે તે મરી જાય ત્યારે જો તે આ નગરોમાંના કોઈ એકમાં નાસી જાય, 12 ત્યારે નગરના વડીલો કોઈને મોકલીને તેને ત્યાંથી પાછો લાવે, તેને મરનારના નજીકના સગાને સોંપે, કે જેથી તે માર્યો જાય. 13 તમારે તેની પર દયા બતાવવી નહિ. તમારે ઇઝરાયલમાંથી લોહીનો દોષ નાબૂદ કરવો, કે તમારું ભલું થાય.

સરહદના પથ્થરો ખસેડવાની મનાઈ

14 યહોવાહ તમારા ઈશ્વરે તને જે દેશ વતન માટે આપે છે, તેમાં વતનનો વારસો તમને મળે તે અગાઉના સમયમાં પૂર્વજોએ નક્કી કરેલી તમારા પડોશીઓની સરહદ હઠાવશો નહિ.

સાક્ષીઓ અંગેના નિયમ

15 કોઈ માણસનાં પાપ માટે, કોઈ અન્યાય માટે કે કોઈ પાપની બાબતમાં એક જ વ્યક્તિની સાક્ષી ચાલે નહિ, બે કે ત્રણ સાક્ષીઓના મુખથી કોઈ પણ વાત સાબિત થઈ શકે. 16 જો કોઈ અન્યાયી સાક્ષી કોઈ માણસની વિરુદ્ધ તેણે ખોટું કર્યું છે તેમ સાબિત કરવા ઊભો થાય.

17 તો તે બન્ને માણસોને, એટલે જેઓની વચ્ચે વિવાદ હોય તેઓએ યહોવાહ, યાજકો અને તે સમયના ન્યાયાધીશો સમક્ષ ઊભા રહેવું. 18 ન્યાયાધીશોએ કાળજીપૂર્વક તપાસ કરવી, જો સાક્ષી આપનાર સાક્ષી જૂઠો હોય અને તેના ભાઈ વિરુદ્ધ ખોટી સાક્ષી આપી હોય, 19 તો તેણે પોતાના ભાઈની સાથે જે કરવાની ઇચ્છા રાખી તે તમારે તેની સાથે કરવું; આ રીતે તમારે તમારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી.

20 ત્યારે જેઓ આ સાંભળશે તેઓ બીશે, ત્યાર પછી કોઈ આવું દુષ્ટ કાર્ય તારી મધ્યે કરશે નહિ. 21 તમારે દયા દર્શાવવી નહિ; જીવને બદલે જીવ, આંખને બદલે આંખ, દાંતને બદલે દાંત, હાથને બદલે હાથ અને પગને બદલે પગની શિક્ષા કરવી.

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-19_11-20-24-