Publicidade

Jeremias 47

પલિસ્તીઓની પાયમાલીની પ્રબોધવાણી

1 ફારુને ગાઝાને માર્યા પહેલા પલિસ્તીઓ વિષે, યહોવાહનું જે વચન યર્મિયા પ્રબોધક પાસે આવ્યું તે આ છે.

2 યહોવાહ કહે છે કે; જુઓ, ઉત્તરમાંથી પૂર આવી રહ્યું છે; અને પલિસ્તીઓના સમગ્ર દેશ પર તે ફરી વળશે;

તે તેઓનાં નગરો તથા તેમાંના સર્વસ્વનો નાશ કરશે. શૂરવીર પુરુષો ભયથી બૂમો પાડશે

અને સર્વ પ્રજાજનો પોક મૂકીને રડશે.

3 બળવાન ઘોડાઓનાં દાબડાનો અવાજ,

રથોનો ધસારો અને તેના પૈડાઓનો ગડગડાટ સાંભળી,

પિતાઓ એટલા નિ:સહાય થશે કે તેઓ પોતાના સંતાનો તરફ પાછા ફરીને જોયા વગર નાસી જશે.

4 કેમ કે, એવો દિવસ આવશે કે જ્યારે બધા જ પલિસ્તીઓનો સંહાર થશે. તૂર અને સિદોનની સાથે બચી ગયેલા દરેક મદદગારને કાપી નાખવામાં આવશે. કેમ કે યહોવાહ પલિસ્તીઓનો એટલે સમુદ્રકાઠે આવેલા કાફતોરના બચી ગયેલાઓનો સંહાર કરશે.

5 ગાઝાનું માથું મૂંડેલુ છે. આશ્કલોન એટલે તેઓની ખીણમાનું જે બચી ગયેલું તે નષ્ટ થયું છે. તું ક્યાં સુધી પોતાને કાપીને ઘાયલ કરશે? 6 હે યહોવાહની તલવાર, તું ક્યારે શાંત થઈશ?

ફરી તું મ્યાનમાં પાછી જા અને આરામ કર અને શાંત રહે.

7 પણ યહોવાહે તને આજ્ઞા આપી છે તો તું શી રીતે શાંત રહી શકે?

આશ્કલોન તથા સમુદ્ર કાંઠાની વિરુદ્ધ તેણે તલવાર નિર્માણ કરી છે."

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-19_11-20-24-