Publicidade

Jeremias 6

દેશ પર તોળાઈ રહેલું આક્રમણ

1 "હે બિન્યામીનના લોકો, યરુશાલેમમાંથી જીવ બચાવવા નાસી જાઓ, તકોઆમાં રણશિંગડું વગાડો.

અને બેથ-હાકકેરેમ પર અગ્નિ સળગાવીને ચેતવણી આપો. કેમ કે ઉત્તર તરફથી વિપત્તિ તથા મહાવિનાશ આવે છે.

2 સિયોનની દીકરી સુંદર તથા કોમળ છે, તેઓનો હું નાશ કરીશ.

3 ઘેટાંપાળકો અને તેઓનાં ટોળાં તેઓની પાસે જશે;

તેઓ તેની ફરતે તંબુઓ નાખશે. દરેક જણ પોતાની જગ્યાએ ચરશે.

4 યહોવાહના નામે તેની સામે ચઢાઈ કર. ઊઠ, આપણે મધ્યાહને તેના પર હુમલો કરીએ.

આપણને અફસોસ! સૂર્યાસ્ત થવા લાગ્યો છે. સંધ્યાની છાયા લંબાતી જાય છે.

5 ઊઠો, આપણે તેના પર રાતે હુમલો કરીને તેના મહેલોનો નાશ કરીએ.

6 સૈન્યોના ઈશ્વર યહોવાહ આ પ્રમાણે કહે છે; તેનાં વૃક્ષો કાપી નાખો અને યરુશાલેમ વિરુદ્ધ મોરચા ઊભા કરો.

આ નગર તો દંડને પાત્ર છે કેમ કે એમાં જુલમ સિવાય બીજું કશું નથી.

7 જેમ ઝરો પાણીથી ઊભરાય છે તેમ એ દુષ્ટતાથી ઊભરાય છે.

નગરમાં મારઝૂડ અને લૂંટફાટનો અવાજ સંભળાય છે, વેદના તથા જખમ મારી આગળ નિત્ય થાય છે.

8 માટે હે યરુશાલેમ આ ચેતવણી પર તું ધ્યાન આપ,

રખેને હું તારો ત્યાગ કરીને તને ઉજ્જડ તથા વેરાન પ્રદેશ બનાવી મૂકું.

બંડખોર ઇઝરાયલ

9 સૈન્યોના ઈશ્વર યહોવાહ કહે છે; ઇઝરાયલમાં જે થોડા બાકી રહેલા હશે તેઓને દ્રાક્ષની પેઠે વીણીને લઈ જવામાં આવશે.

દ્રાક્ષા તોડનારની પેઠે તું તારો હાથ ફરી ડાળખી પર ફેરવ.

10 કોને કહું અને કોને ચેતવણી આપું કે તેઓ સાંભળે? તેઓના કાન બેસુન્નત છે; કે તેઓ સાંભળી શકતા નથી.

ધ્યાન આપો!" જુઓ, યહોવાહનું વચન તેમની પાસે તેઓને સુધારવા માટે આવ્યું પણ તેઓએ તેને સ્વીકાર્યું નહિ.

11 પણ હું યહોવાહના રોષથી ભરપૂર છું, હું તેને અંદર દબાવી શકતો નથી.

મહોલ્લાના લોકો પર અને ટોળે વળતા યુવાનો પર તેનો ઊભરો કાઢ.

કેમ કે પુરુષ તથા સ્ત્રી અને ઘરડાઓ સુદ્ધાં બધા જ પકડાઈ જશે.

12 તેઓનાં ઘરો અને તેઓનાં ખેતરો તથા પત્નીઓ બીજાઓને સોંપવામાં આવશે.

કેમ કે હું આ દેશના લોકોને શિક્ષા કરીશ. એમ યહોવાહ કહે છે.

13 કેમ કે તેઓ બધા નાનાથી માંડીને છેક મોટા સુધી સર્વ લોભી છે.

અને પ્રબોધકોથી યાજકો સુધી સર્વ જુઠાણું ચલાવે છે.

14 કંઈ શાંતિ ન હોવા છતાં શાંતિ એમ કહીને તેઓ મારા લોકોના ઘાને ‘શાંતિ! શાંતિ!’ છે એમ કહીને ઉપર છલ્લા રુઝાવે છે.

15 તેઓએ ધિક્કારપાત્ર કૃત્ય કર્યું હતું માટે શું તેઓ શરમિંદા થયા? તેઓ બિલકુલ શરમિંદા થયા નહિ; વળી શું થયું છે તે તેઓ સમજ્યા નહિ.

તેથી તેઓ પડનારા ભેગા પડશે. હું જ્યારે તેમને સજા કરીશ ત્યારે તેઓ ઠોકર ખાઈને પડી જશે," એમ યહોવાહ કહે છે.

ઇઝરાયલે ત્યાગેલો પ્રભુનો માર્ગ

16 યહોવાહ કહે છે; માર્ગોમાં ઊભા રહીને જુઓ; ભૂતકાળના માર્ગો વિષે પૂછો.

‘આવો ઉત્તમ માર્ગ ક્યાં છે?’ તેની શોધ કરીને તે માર્ગે ચાલો. એટલે તમારા આત્માને શાંતિ મળશે.

પણ લોકો કહે છે, "અમે તે માર્ગે ચાલીશું નહિ."

17 મેં તમારા પર ચોકીદારો નીમ્યા અને કહ્યું કે, રણશિંગડાનો અવાજ સાંભળો.

પરંતુ તમે કહ્યું, "અમે તે તરફ ધ્યાન આપીશું નહિ."

18 આથી યહોવાહે કહ્યું, "હે પ્રજાઓ, તમે સાંભળો, અને જાણી લો કે મારા લોકોના શા હાલ થવાના છે.

19 હે પૃથ્વીના લોકો, સાંભળો જુઓ, આ લોકો પર હું વિપત્તિ એટલે એમના કાવાદાવાનું ફળ લાવીશ.

તેઓએ મારાં વચનોનો સ્વીકાર કર્યો નથી. તેઓએ મારાં નિયમશાસ્ત્રનો ત્યાગ કર્યો છે.

20 શેબાથી લોબાન તથા દૂર દેશથી અગરુ મારી પાસે શા માટે લાવો છો? હું તમારા દહનીયાર્પણને માન્ય કરીશ નહિ.

અને તમારાં બલિદાનોથી હું પ્રસન્ન થતો નથી.

21 તેથી યહોવાહ આ પ્રમાણે કહે છે; તેથી હું મારા એ લોકોને ઠોકર ખવડાવીશ

અને તેઓ પિતા અને પુત્ર બન્ને તેનાથી ઠોકર ખાઈને પડી જશે પડોશી અને તેના મિત્રો બધા જ નાશ પામશે.

ઉત્તરમાંથી આક્રમણ

22 યહોવાહ આ પ્રમાણે કહે છે; જુઓ, ઉત્તરમાંથી એક પ્રજા આવી રહી છે

અને પૃથ્વીના છેક છેડેથી એક બળવાન પ્રજા ચઢી આવશે.

23 તેઓ ધનુષ્ય તથા ભાલા ધારણ કરે છે.

તેઓ ક્રૂર અને નિર્દય છે,

તેઓનો અવાજ સમુદ્રની ગર્જના જેવો છે. તેઓ ઘોડાઓ પર સવારી કરે છે.

હે સિયોનની દીકરી જેમ શૂરવીર લડાઈને માટે સજ્જ થાય છે તેમ તેઓ તારી વિરુદ્ધ લડાઈ કરવા તૈયાર છે.

24 અમે તે વિશેના સમાચાર સાંભળ્યા છે. અમારાં ગાત્રો શિથિલ થઈ ગયાં છે. અમને જાણે પ્રસૂતિની જેવી પીડા થાય છે.

25 બહાર ખેતરોમાં જશો નહિ, રસ્તાઓ પર મુસાફરી કરશો નહિ,

કેમ કે સર્વત્ર શત્રુની તલવારનો ભય લાગે છે.

26 હે મારા લોકની દીકરી શોકનાં વસ્ત્રો ધારણ કરી રાખમાં બેસ.

જેમ કોઈ પોતાના એકના એક દીકરાને માટે શોક તથા આક્રંદ કરે તેમ તું કર.

કેમ કે આપણા પર લૂંટારા એકાએક ચઢી આવશે.

27 મેં તને મારા લોકમાં પારખનાર તથા કોટરૂપ કર્યો છે જેથી તું તેઓના માર્ગ જાણે અને તેનું મૂલ્યાંકન કરે.

28 એ બધા અધમ બંડખોરો છે અને તેઓ ચાડી કરતા ફરે છે.

તેઓ પિત્તળ જેવા અને લોખંડ જેવા છે. તેઓ સર્વ દુષ્ટ છે.

29 ધમણ ચાલે છે અને વેગથી હવા ફૂંકે છે;

સીસું અગ્નિથી બળી ગયું છે.

શુદ્ધ કરનાર પીગાળવાને વ્યર્થ મહેનત કરે છે. કેમ કે દુષ્ટોને કાઢવામાં આવ્યા નથી.

30 તેઓને "નકામી ચાંદી," કહેવામાં આવશે કેમ કે યહોવાહે તેઓનો નકાર કર્યો છે.’"

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-18_14-04-22-