1 જુઓ, પિતાએ આપણા પર કેવો મહાન પ્રેમ કર્યોઁ છે કે આપણે તેમના સંતાનો કહેવાઈએ! અને ખરેખર આપણે તે છીએ! તેથી જગત આપણને ઓળખતું નથી કારણ કે તેઓ તેમને ઓળખ્યા નહિ. 2 પ્રિય મિત્રો, હવે આપણે ઈશ્વરનાં બાળકો છીએ, અને આપણે કેવાં થઈશું તે હજી સુધી પ્રગટ થયું નથી. પણ આપણે જાણીએ છીએ કે જયારે મસીહ પ્રગટ થશે, ત્યારે આપણે તેમના જેવા થઈશું, કારણ કે તે જેવા છે તેવાં જ આપણે તેમને જોઈશું. 3 અને જે કોઈ તેમના પર એવી આશા રાખે છે તે દરેક જેમ તે શુધ્ધ છે તેમ પોતાને શુધ્ધ કરે છે.
4 પણ જેઓ કોઈ પાપ કરે છે તેઓ નિયમોનો ભંગ કરે છે; પાપ એ જ નિયમભંગ છે. 5 તમે જાણો છો કે આપણા પાપોને દૂર કરવા માટે તે પ્રગટ થયા અને તેમનામાં કોઈ પાપ ન હતું. 6 જો કોઈ તેમનામાં રહે છે તે પાપ કરવાનું ચાલુ રાખી શકતા નથી. પણ જે કોઈ પાપ કરે છે તેઓએ તેમને જોયા નથી અને તેમને ઓળખતાં પણ નથી.
7 વહાલાં બાળકો, કોઈ તમને ન ભમાવે. જેમ તે ન્યાયી છે, તેમ જે કોઈ ન્યાયીપણું કરે છે તે પણ ન્યાયી છે. 8 જે પાપ કરે છે તે શેતાનનો છે, કેમકે શેતાન આરંભથી પાપ કર્યા કરે છે. પરંતુ શેતાનનાં કામોનો નાશ કરવા માટે જ ઈશ્વરના પુત્ર પ્રગટ થયા. 9 જે કોઈ ઈશ્વરથી જન્મેલો છે તે પાપ કરવાનું ચાલું રાખતા નથી. કેમકે તેમનામાં ઈશ્વરનું બીજ રહે છે; તે હવે પાપ કરી શકતો નથી, કેમકે તે ઇશ્વરથી જન્મેલો છે. 10 તેથી આપણે ઈશ્વરનાં બાળકો કોણ અને શેતાનનાં બાળકો કોણ તે જાણી શકીએ છીએ: જે કોઈ સાચું નથી કરતો, અથવા જે કોઈ પોતાના ભાઈ અને બહેન પર પ્રેમ રાખતો નથી તે ઈશ્વરનો બાળક નથી.
11 કેમકે જે સંદેશો શરૂઆતથી તમે સાંભળ્યો છે તે એ જ છે કે: આપણે એકબીજા પર પ્રેમ રાખીએ. 12 કાઈનના જેવા ન બનીએ, જે શેતાનનો હતો અને તેણે પોતાના ભાઈને મારી નાંખ્યો, અને તેણે શા માટે તેને મારી નાંખ્યો? કારણ કે તેના કામ ભૂંડાં હતા, અને તેના ભાઈનાં કામ ન્યાયી હતાં. 13 મારા ભાઈઓ અને બહેનો, જો જગત તમારો તિરસ્કાર કરે તો નવાઈ પામતાં નહિ. 14 આપણે જાણીએ છીએ કે જો આપણે ભાઈઓ ઉપર પ્રેમ રાખીએ તો એ પરથી સાબિત થાય છે કે આપણે મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યા છીએ. પરંતુ જે પ્રેમ રાખતો નથી તે મરણમાં રહે છે. 15 જે કોઈ પોતાના ભાઈનો કે બહેનનો તિરસ્કાર કરે છે તે ખૂની છે; અને તમે જાણો છો કે કોઈ ખૂનીમાં અનંતજીવન રહેતું નથી.
16 તેથી આપણે પ્રેમ શું છે તે જાણીએ: ઈસુ મસીહે પોતાનું જીવન આપણા વતી આપ્યું, અને આપણે પણ ભાઈઓ અને બહેનો માટે જીવન આપવું જોઈએ. 17 જો કોઈની પાસે દ્રવ્ય હોય, અને પોતાના ભાઈ કે બહેનને તંગીમાં જુએ છતાં તેના પર દયા ન કરે, તો તેનામાં ઈશ્વરનો પ્રેમ શી રીતે રહી શકે? 18 વહાલાં બાળકો, આપણે શબ્દોથી નહિ, જીભથી નહિ, પણ કૃત્યોમાં અને સત્યમાં પ્રેમ કરીએ.
19 તેથી આપણે જાણીશું કે આપણે સત્યનાં છીએ, તે વિષે તેમની આગળ આપણા અંતઃકરણ શાંત કરીશું; 20 જો આપણું અંતઃકરણ આપણને દોષિત ઠરાવે તો આપણ અંતઃકરણ કરતા ઈશ્વર મોટા છે, અને તે સઘળું જાણે છે. 21 વહાલાં મિત્રો, જો આપણું અંતઃકરણ આપણને દોષિત ન ઠરાવે, તો ઈશ્વર પ્રત્યે આપણને હિમંત છે; 22 આપણે તેમની પાસે જે કાંઈ માંગીએ છીએ, તે આપણને તેમની પાસેથી મળે છે, કારણ કે આપણે તેમની આજ્ઞા પાળીએ છીએ, અને તેમને જે પસંદ પડે તે કરીએ છીએ. 23 તેમની આજ્ઞા એ છે: કે આપણે તેમના પુત્ર ઈસુ મસીહના નામ પર વિશ્વાસ રાખીએ, અને તેમણે આપેલી આજ્ઞા પ્રમાણે આપણે એકબીજા પર પ્રેમ રાખીએ. 24 જે કોઈ ઈશ્વરની આજ્ઞાનું પાલન કરે છે તે તેનામાં રહે છે, અને તે તેનામાં અને જે આત્મા તેમણે આપણને આપ્યો છે તે દ્વારા આપણે જાણીએ છીએ કે તે આપણામાં રહે છે.