1 શું અમે ફરીથી અમારી પ્રશંસા કરવા લાગ્યાં છે? કે પછી, કેટલાક લોકોની જેમ, અમને પણ તમારા પર કે તમારા તરફથી ભલામણ પત્રોની જરૂર છે? 2 અમારા ભલામણપત્રો તો તમે જ છો, જે અમારા હ્રદય પર લખાયેલો છે, જે બધાં લોકો જાણે છે અને વાંચે છે. 3 તમે મસીહના પત્રો તરીકે પ્રગટ થયાં છો કે, જે પત્રની અમે સેવા કરી છે; શાહીથી નહિ પરંતુ જીવંત ઈશ્વરના આત્માથી લખાયેલાં છે અને તે પથ્થર પર નહિ પણ માનવ હ્રદય પર અંકિત કરાયેલા છે.
4 મસીહ દ્રારા આપણને ઈશ્વર પર આવો વિશ્વાસ છે. 5 કોઈ પણ કાર્ય અમે અમારી જાતે કરવા શકિતમાન નથી. અમને જે સફળતા મળે છે તે ઈશ્વર તરફથી જ મળે છે, 6 તેમણે આપણને નવા કરારના સેવકો તરીકે યોગ્ય બનાવ્યાં છે, અક્ષરના નહિ પણ આત્માના; કારણ કે અક્ષર મારી નાંખે છે પણ આત્મા જીવન આપે છે.
7 હવે મૃત્યું લાવનારી સેવા, જેના અક્ષરો પથ્થરો પર કોતરેલા હતાં, તે જો એટલી બધી ગૌરવવાળી હતી કે, ઇઝરાયેલ પુત્રો, મોશેના મુખ પરનું તેજ જે ટળી જનારું હતું તે તેજને લીધે, તેના મુખ પર ધારીને જોઈ શક્યા નહિ. 8 તો આત્માની સેવા કેટલી વિશેષ ગૌરવવાળી કેમ ન હોય? 9 જો દોષિત ઠરાવનાર ની સેવા ગૌરવરૂપ હતી, તો તેના કરતાં જે સેવા ન્યાયીપણાની સેવા ગૌરવમાં વધુ અધિક છે. 10 કારણ કે જે ગૌરવવાન હતું, તેનું હવે અતીગૌરવની સરખામણીમાં કોઈ ગૌરવ નથી, 11 અને જે ક્ષણીક હતું તે ગૌરવ સાથે આવ્યું, તો જે કાયમ રહેનાર છે તેનું ગૌરવ કેટલું વિશેષ હશે!
12 તેથી આપણને એવી આશા હોવાથી આપણે હિંમતવાન છીએ. 13 અને આપણે મોશેની માફક નહિ, જેણે ઇઝરાયેલીઓને ટળી જનારા મહિમાનો અંત નિહાળે નહિ માટે પોતાના મુખ પર અંતરપટ નાખ્યો; 14 પણ તેઓના મન મંદ થયા; કેમકે આજ સુધી જૂનો કરાર વાંચવામાં આવે છે ત્યારે અંતરપટ રહે છે; તે દૂર કરવામાં આવ્યો નથી, કેમકે ફકત મસીહમાં તે દૂર થાય છે. 15 આજ સુધી જયારે મોશેનું પુસ્તક વાંચવામાં આવે છે, ત્યારે તેઓના હ્રદય પર અંતરપટ રહે છે. 16 પરંતુ જયારે કોઈ પ્રભુ તરફ ફરે છે, ત્યારે આ અંતરપટ લઈ લેવામાં આવે છે. 17 હવે પ્રભુ આત્મા છે અને જયાં પ્રભુનો આત્મા છે, ત્યાં સ્વતંત્રતા છે. 18 અને આપણે બધા ઊઘાડેલા મુખે સાથે પ્રભુના મહિમાનું ચિંતન કરીએ છીએ. તેઓ પ્રભુ, જે આત્મા છે, તેમનાં તરફથી આવતાં મહીમામાં, સતત વધતા જતાં તેમની છબીમાં રૂપાંતર પામીએ છીએ.