1 કેમકે અમે જાણીએ છીએ કે જો આ પૃથ્વી પરનું માંડવારૂપી ઘર નાશ પામે, તો આકાશમાં ઈશ્વર તરફથી જે ઘર છે જે હાથે બાંધેલું નથી, એવુ અમારું સનાતન ઘર છે. 2 તે માટે, અમે નિસાસા નાખીએ છીએ અને સ્વર્ગીય ઘરથી વેષ્ટિત થવાની અભિલાષા રાખીએ છીએ. 3 કેમકે જ્યારે અમે વેષ્ટિત થઈએ તો અમે નગ્ન ન દેખાઈએ. 4 જ્યારે આપણે આ માંડવામાં છીએ ત્યારે આપણે નિસાસા નાખતા બોજાને લીધે દબાઈ જઈએ છીએ, કારણ કે મરણ જીવનમાં ગરક થઈ જાય એ માટે અમે તેને ઉતારવાને ચાહીએ છીએ એમ તો નહિ, પણ વેષ્ટિત થવા ચાહીએ છીએ. 5 હવે જેણે અમને આ જ હેતુ માટે તૈયાર કર્યા તે ઈશ્વર છે કે જેમણે અમને આત્માનું બાનું પણ આપ્યું છે, જે આવનાર સમયની ખાતરી આપે છે.
6 માટે અમે હંમેશા હિંમત રાખીએ છીએ અને એવું જાણીએ છીએ કે જ્યાં સુધી આપણે શરીરમાં છીએ ત્યાં સુધી અમે પ્રભુથી દૂર છીએ. 7 કેમકે આપણે વિશ્વાસથી જીવીએ છીએ, દ્રષ્ટિથી નહિ. 8 હું કહું છું, કે અમને ખાતરી છે, અને અમે શરીરથી દૂર રહીને પ્રભુ સાથે રહેવાનું પસંદ કરીશું. 9 એ માટે અમે શરીરરૂપી ઘરમાં હોઈએ કે તેનાથી દૂર, પણ તેમને પ્રસન્ન કરવાનો ધ્યેય રાખીએ છીએ. 10 કેમકે દરેકે શરીરમાં રહીને જે ભલાં કે ભૂંડાં કામ કર્યા હશે તે પ્રમાણે બદલો પામવાને આપણા સવઁને મસીહનાં ન્યાયાસન આગળ પ્રગટ થવું પડશે.
11 તેથી આપણે જાણીએ છીએ કે પ્રભુનો ભય શું છે, અમે બીજાઓને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અમે જે છીએ તે ઈશ્વરની આગળ સ્પષ્ટ છે અને અમારા અંતઃકરણો પણ સ્પષ્ટ હશે એવી હું આશા રાખું છું. 12 અમે ફરીથી અમારી ખુશામત કરવાનો પ્રયત્ન કરતા નથી, પણ અમારામાં તમને અભિમાન કરવાની તક આપીએ છીએ, તેથી તમે એવા લોકોને જવાબ આપી શકો જેઓ હ્રદયમાં જે છે તેના કરતાં દેખીતી બાબતો પર અભિમાન કરે છે. 13 તો શું અમે ઘેલાં છીએ? જો એમ હોય તો પ્રભુની ખાતર છે. જો અમે સ્વસ્થ છીએ? તો તે તમારાં માટે છે. 14 કેમકે મસીહનો પ્રેમ અમને ફરજ પાડે છે, કારણ કે આપણે ખાતરી કરીએ છીએ કે એક બધાંને માટે મૃત્યું પામ્યા, તેથી બધા મૃત્યું પામ્યા. 15 અને તે બધા માટે મૃત્યું પામ્યા, જેથી જેઓ જીવે છે તેઓ હવેથી પોતાના માટે નહિ, પણ જે તેમના માટે મૃત્યું પામ્યા અને ફરી સજીવન થયાં તેમના માટે જીવે.
16 તો હવેથી અમે તેથી જગતના અભિપ્રાયને આધારે અમે કોઈનું મૂલ્યાંકન કરતા નથી. ભલે આપણે મસીહને એક સમયે આ રીતે માનતા હતાં, પણ હવેથી એમ કરતા નથી. 17 તેથી, જો કોઇ મસીહમાં છે, તો તે નવી ઉત્પતિ છે; જૂનું સઘળું જતું રહ્યું છે. 18 આ સર્વ ઈશ્વર તરફથી છે, જેમણે મસીહ દ્રારા આપણું સમાધાન કરાવ્યું અને સમાધાન કરવાની સેવા અમને સોંપી. 19 ઈશ્વર મસીહમાં પોતાની સાથે દુનિયા સાથે પોતાનું સમાધાન કરાવીને લોકોના પાપો તેમનાં લેખે ગણતાં નથી. અને તેમણે અમને સમાધાનનો સંદેશો સોંપ્યો છે. 20 એ માટે અમે મસીહનાં એલચી છીએ. જાણે કે ઈશ્વર અમારા દ્રારા વિનંતી કરતાં હોય. અમે મસીહ તરફથી તમને વિનંતી કરીએ છીએ કે, ઈશ્વરની સાથે સમાધાન કરો. 21 આપણે તેનામાં ઇશ્વરનાં ન્યાયીપણારૂપ થઈએ, માટે જેણે પાપ જાણ્યું ન હતું તેને તેમણે આપણે માટે પાપરૂપ કયાઁ.