1 પ્રિય મિત્રો, તમારાં પર આ મારો બીજો પત્ર છે. જે તે વિશે યાદ કરાવીને આ બંન્ને પત્રો દ્વારા હું તમને ચેતવણી આપું છું. 2 હું ઈચ્છું છું કે પવિત્ર પ્રબોધકો દ્રારા જે વચનો કહેવામાં આવ્યા હતાં અને આપણા પ્રભુ અને તારનારે તમારા પ્રેષિતોની મારફતે આપેલી આજ્ઞાને તમે યાદ કરો.
3 તે ઉપરાંત, તમારે એ સમજવું જોઈએ કે છેલ્લા દિવસોમાં ઠઠ્ઠા કરનારાઓ આવશે, જેઓ પોતાની દુષ્ટ ઈચ્છાઓ પ્રમાણે ચાલશે. 4 તેઓ કહેશે, "તેમના ‘આગમનના’ વચનનું શું થયું? આપણા પૂવઁજો મૃત્યું પામ્યા ત્યારથી સૃષ્ટિના આરંભથી જે હતું તે બધું આજે પણ તેવું ને તેવું જ છે." 5 પણ તેઓ જાણીબુઝીને આ વીસરી જાય છે કે ઘણાં સમય પહેલાં ઈશ્વરના શબ્દથી આકાશ અસ્તિત્વમાં આવ્યું અને પૃથ્વી પાણીમાંથી તથા પાણી વડે પૃથ્વીની રચના કરી હતી. 6 આ પાણીથી તે સમયનું જગત પણ જળપ્રલયમાં ડૂબીને નાશ પામ્યું. 7 એ જ શબ્દ દ્રારા હાલનાં આકાશ અને પૃથ્વી ન્યાયના દિવસ અને અધર્મીઓના નાશના દિવસ સુધી રાખી મૂકેલાં છતાં બાળવાને માટે રાખેલાં છે.
8 પરંતુ વહાલાં મિત્રો, આ એક વાત ભૂલશો નહિ પ્રભુની નજરમાં એક દિવસ હજાર વર્ષોના જેવો, અને હજાર વરસો એક દિવસનાં જેવાં છે. 9 વિલંબનો જેવો અથઁ કેટલાએક કરે છે, તેમ પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતાં નથી, પણ કોઈનો નાશ ન થાય પણ સઘળાં પસ્તાવો કરે એવું ઇચ્છીને પ્રભુ તમારે માટે, ધીરજ રાખી રહ્યા છે.
10 પણ પ્રભુનો દિવસ ચોરની માફક આવશે. ત્યારે ગર્જનાસહિત આકાશો અદ્રશ્ય થઈ જશે; ને તત્વો અગ્નિથી નાશ પામશે, અને પૃથ્વી તથા તેમાં જે કાંઈ છે તે સર્વ બાળી નાખવામાં આવશે.
11 આ રીતે બધું જ નાશ પામશે, તો તમારે કેવાં લોકો બનવું જોઈએ? તમારે પવિત્ર અને ઈશ્વરમય જીવન જીવવું જોઈએ. 12 પ્રભુના આગમનના એ દિવસની તમે આતુરતાથી રાહ જુઓ અને તેમના આવવાનું જલદી થાય એવા પ્રયત્ન કરો. તે દિવસે આકાશોને બાળી નાંખશે અને તત્વો બળીને પીગળી જશે. 13 પણ, આપણે તેમના વચન પ્રમાણે નવાં આકાશ અને નવી પૃથ્વીની રાહ જોઈએ છીએ જયાં કેવળ ન્યાયીપણું જ વસે છે.
14 એ માટે પ્રિય મિત્રો, એઓની રાહ જોઈને, તમે તેમની સાથે નિષ્કલંક અને નિદોઁષ થઇને શાંતિમાં રહેવાનો પ્રયત્ન કરો. 15 અને આપણા પ્રભુની ધીરજ એ તારણ છે એમ માનો, આપણા વહાલાં ભાઈ પાઉલે પણ ઇશ્વરે આપેલા જ્ઞાનથી તમને લખ્યું હતું. 16 તે પોતાના બધાં પત્રોમાં એ જ રીતે લખે છે, અને આ બાબતો વિશે વાત કરે છે, તેના પત્રોમાં કેટલીએક વાતો સમજવાને અઘરી છે અને જેમ બીજા શાસ્ત્રોની જેમ એ વાતોનો પણ અજ્ઞાન અને અસ્થિર લોકો પોતાના નાશને માટે મારી મચડીને અવળો અર્થ કરે છે.
17 તેથી, વહાલાં મિત્રો, તમને અગાઉથી ચેતવણી આપવામાં આવી છે, તેથી સાવધ રહો કે દુષ્ટોની ભૂલથી ખેંચાઈને તમે તમારી સ્થિરતાથી પડી ન જાઓ. 18 પણ આપણા પ્રભુ અને તારનાર ઈસુ મસીહની કૃપા અને જ્ઞાનમાં વધતાં જાઓ.
તેમને હમણાં અને સદાસર્વકાળ મહિમા હો! આમીન.