1 પ્રિય મિત્રો, દરેક આત્મા પર વિશ્વાસ ન કરશો, પણ ખાતરી કરો કે એ આત્મા ઈશ્વર તરફથી છે કે નહિ, કેમકે જગતમાં જૂઠા પ્રબોધકો ઘણાં ઊભા થયા છે. 2 ઈસુ મસીહ મનુષ્યદેહમાં આવ્યા છે, એવું જે દરેક આત્મા કબૂલ કરે છે તે ઈશ્વર તરફથી છે; એથી તમે ઇશ્વરનો આત્મા ઓળખી શકો છો; 3 પણ જે દરેક આત્મા ઈસુને ઈશ્વર તરફથી છે એવું સ્વીકારતુ નથી. તે મસીહ વિરોધી છે, કે જેના વિશે તમે સાંભળ્યું છે કે તે આવે છે અને તે હાલ પણ જગતમાં છે.
4 તમે, વહાલાં બાળકો, તમે ઈશ્વરનાં છો અને તમે તેઓને જીત્યા છે; કેમકે જગતમાં જે છે તે તમારામાં જે છે તેનાથી વિશેષ છે. 5 તેઓ જગતના છે અને તેથી તેઓ જગત સંબંધી બોલે છે, અને જગત તેમનું સાંભળે છે. 6 આપણે તો ઈશ્વરનાં છીએ, તેથી જેઓ ઈશ્વરને ઓળખે છે તેઓ જ આપણને સાંભળે છે; પણ જેઓ ઈશ્વરના નથી તેઓ આપણને સાંભળતાં નથી. તેથી આપણે સત્યનાં આત્માને તથા જૂઠા આત્માને ઓળખી શકીએ છીએ.
7 પ્રિય મિત્રો, આપણે એકબીજા પર પ્રેમ રાખીએ, કેમકે પ્રેમ ઈશ્વર તરફથી છે. જેઓ પ્રેમાળ છે તેઓ ઈશ્વરથી જન્મેલાં અને ઈશ્વરને ઓળખે છે. 8 જે પ્રેમ કરતો નથી તે ઈશ્વરને ઓળખતો નથી, કેમકે ઈશ્વર પ્રેમ છે. 9 ઈશ્વરે આ પ્રમાણે એમનો પ્રેમ પ્રગટ કયોઁ છે! તેમણે પોતાના એકનાએક દીકરાને આ જગતમાં મોકલ્યા, તેથી તેમનાથી આપણે જીવીએ. 10 આપણે ઈશ્વર પર પ્રેમ રાખ્યો એ નહિ પણ આપણા પાપોનું પ્રાયશ્ચિતના બલિદાન થવા માટે તેમણે પોતાના પુત્રને આપણા માટે મોકલ્યા એ સાચો પ્રેમ છે. 11 પ્રિય મિત્રો, ઈશ્વરે આપણા પર આવો મહાન પ્રેમ કર્યો, તો આપણે પણ એકબીજા પર પ્રેમ રાખીએ. 12 જો કે કોઇએ ઈશ્વરને કદી જોયા નથી; પણ જો આપણે એકબીજા પર પ્રેમ રાખીએ છીએ, તો ઈશ્વર આપણામાં વસે છે, અને તેમનો પ્રેમ આપણામાં સંપૂર્ણ થાય છે.
13 આપણે ઈશ્વરમાં રહીએ છીએ અને તે આપણામાં રહે છે તે પરથી આપણે જાણીએ છીએ કે તેમણે પોતાનો પવિત્ર આત્મા આપણને આપ્યો છે. 14 વળી, અમે જોયું છે ને સાક્ષી પૂરીએ છીએ કે, પિતાએ પુત્રને જગતના તારનાર થવા મોકલ્યા છે. 15 ઈસુ ઈશ્વરપુત્ર છે. એવો વિશ્વાસ જે કરે છે, ઈશ્વર તેમનામાં રહે છે અને તેઓ ઈશ્વરમાં રહે છે. 16 અને આપણા પ્રત્યેનો ઈશ્વરનો જે પ્રેમ છે તે આપણે જાણીએ છીએ.
ઈશ્વર પ્રેમ છે. જે પ્રેમમાં રહે છે તે ઇશ્વરમાં રહે છે, અને ઈશ્વર તેમનામાં રહે છે. 17 તેથી પ્રેમ આપણામાં સંપૂણઁ થયો છે કે, ન્યાયકાળે આપણને હિંમત રહે; કેમકે આપણે આ જગતમાં ઈસુ જેવા છીએ. 18 પ્રેમમાં બીક નથી. પણ સંપૂર્ણ પ્રેમ બીકને દૂર કરે છે, કેમકે બીકને શિક્ષા સાથે સંબંધ છે. અને જે બીક રાખે છે તે પ્રેમમાં સંપૂણઁ થયો નથી.
19 આપણે પ્રેમ રાખીએ છીએ કારણ કે પ્રથમ તેમણે આપણા પર પ્રેમ રાખ્યો. 20 જો કોઈ કહે કે "હું ઈશ્વર પર પ્રેમ રાખું છું" પણ પોતાના ભાઈ કે બહેનને ધિક્કારતો હોય તો તે જૂઠો છે, કેમકે જે કોઇ પોતાના ભાઈ કે બહેન કે જેમને જોયા છે તેના પર તે પ્રેમ ન રાખતો હોય તો ઈશ્વર જેમને તેણે કદી જોયા નથી તેમના પર તે કેવી રીતે પ્રેમ રાખી શકે? 21 વળી તેમણે આપણને આજ્ઞા આપી છે: જે કોઈ ઈશ્વરને પ્રેમ કરતો હોય, તેણે પોતાના ભાઈ અને બહેન પર પ્રેમ રાખવો જોઈએ.