1 તમારાંમાં લડાઈ અને ઝગડા શાથી થાય છે? શું તમારાં દેહમાં સંઘર્ષ કરતી દુર્વાસનાઓને કારણે નહિ? 2 તમે ઇચ્છા રાખો છો પણ મળતું નથી, તેથી તમે હત્યા કરો છો. તમે લોભ કરો છો, પરંતુ તમને જે જોઈએ તે મેળવી શકતા નથી. તેથી તમે લડાઈ ઝઘડા કરો છો. તમને મળતું નથી કારણ કે તમે ઈશ્વર પાસે માંગતા નથી. 3 તમે માંગો છો છતાં તમને મળતું નથી, કારણ કે તમારો ઇરાદો ખોટો હોય છે, એટલે કે તમે મોજશોખ કરવા માટે માંગો છો.
4 ઓ તમે વ્યભિચારી લોકો! શું તમે નથી જાણતા કે જગતની મિત્રતા ઈશ્વર પ્રત્યે વેર છે? માટે જે કોઇ જગતનો મિત્ર થવા માંગે છે, તે ઇશ્વરનો વૈરી થાય છે. 5 જે પવિત્ર આત્માને ઈશ્વરે આપણામાં વસાવ્યો છે તે આપણને પોતાનો કરી લેવાની ઇચ્છા રાખે છે. એ શાસ્ત્રવચન જે કહે છે તે ફોકટ છે, એમ તમે ધારો છો? 6 પણ આપણને તેઓ વધારે કૃપા આપે છે. માટે શાસ્ત્રમાં લખેલું છે કે:
"ઈશ્વર ગર્વિષ્ઠની વિરુદ્ધ છે
પણ તે નમ્ર પર કૃપા રાખે છે."
7 તેથી તમે ઈશ્વરને આધીન થાઓ, શેતાનની સામાં થાઓ, એટલે તે તમારાંથી દૂર નાસી જશે. 8 ઈશ્વરની પાસે આવો અને તે તમારી પાસે આવશે. ઓ પાપીઓ, તમારાં હાથ શુ્ધ્ધ કરો, અને ઓ બે મનવાળા, તમે તમારાંં હૃદયોને શુધ્ધ કરો. 9 દુઃખી થાઓ, શોક કરો અને રડો. હાસ્યને બદલે શોક અને આનંદને બદલે ખેદ કરો. 10 પ્રભુની આગળ નમ્ર થાવ અને તે તમને ઉચ્ચ સ્થાને મૂકશે.
11 ભાઈઓ અને બહેનો, એકબીજાની નિંદા ન કરો. જે પોતાના ભાઇનું ભૂંડુ બોલે છે, અથવા પોતાના ભાઈને દોષિત ઠરાવે છે, તે નિયમને દોષિત ઠરાવે છે, ને નિયમનો ન્યાય કરે છે, તો તું નિયમનો પાડનાર નથી, પણ તેનો ન્યાય કરનાર છે. 12 નિયમ આપનાર અને ન્યાય કરનાર એક જ છે, કે જે આપણને બચાવી શકે છે, ને નાશ કરી શકે છે, પણ તું કોણ કે પોતાના પાડોશીનો ન્યાય કરે?
13 હવે સાંભળો, તમે કહો છો, "આજે કે આવતીકાલે અમે અમુક શહેરમાં જઈશું, ત્યાં એક વર્ષ સુધી ધંધો કરીને પૈસા કમાણી કરીશું." 14 તોપણ કાલે શું થવાનું છે એ તમે જાણતા નથી. તમારી જિંદગી શેનાં જેવી છે? તમે સવારનાં ધુમ્મસ જેવા છો. તે થોડીવાર દેખાય અને પછી અદ્રશ્ય થઈ જાય છે. 15 પણ ઊલટું, તમારે એમ કહેવું જોઈએ, "જો પ્રભુની ઈચ્છા હશે તો અમે જીવતાં રહીશું અને આ અથવા પેલું કાર્ય કરીશું." 16 આ રીતે તમે બડાઈ મારો છો અને એવી બડાઈ ખોટી છે. 17 માટે જો કોઈ ભલું કરી જાણે છે, પણ કરતો નથી, તો તેને પાપ લાગે છે.