1 ત્યાર પછી ઈસુ ફરીથી તેમના શિષ્યોને ગાલીલના સરોવર પાસે દેખાયા, તે આ રીતે બન્યું. 2 સિમોન પિતર, થોમાસ (જે દીદીમસ કહેવાતો હતો તે), ગાલીલના કાનાનો નથાનિયેલ, ઝબદીના પુત્રો, અને બીજા બે શિષ્યો ભેગા થયા હતાં. 3 સિમોન પિતરે તેઓને કહ્યું, "હું માછલાં પકડવા જાઉં છું." અને તેઓએ કહ્યું, "અમે તારી સાથે આવીએ છીએ." તેથી તેઓ ગયા અને હોડીમાં બેઠાં, પણ તે રાત્રે તેઓના હાથમાં કાંઈ આવ્યું નહિ.
4 વહેલી સવારે ઈસુ કિનારે ઊભા હતા, પણ તે ઈસુ છે તે શિષ્યો ઓળખી શક્યાં નહિ.
5 તેમણે તેઓને બોલાવ્યા, "મિત્રો, તમારી પાસે કાંઈ માછલી છે?"
તેઓએ જવાબ આપ્યો, "ના."
6 તેમણે કહ્યું, "તમારી જાળ હોડીની જમણી બાજુએ નાંખો અને તમને કંઇક મળશે." જયારે તેમણે એમ કર્યું ત્યારે ઘણી બધી માછલીઓ પકડાઈ તેથી તેઓ જાળને ખેંચી પણ શક્યાં નહિ.
7 ત્યારે જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતા હતા તે પિતરને કહે છે, "એ તો પ્રભુ છે!" જેવું સિમોન પિતરે તેને એવું કહેતા સાંભળ્યો કે એ તો પ્રભુ છે ત્યારે તેણે પોતાનો ઝભ્ભો પહેરી લીધો (કેમકે તે ઉઘાડો હતો) ને પાણીમાં કૂદી પડયો. 8 બીજા શિષ્યો હોડીમાં માછલીઓથી ભરેલી જાળ ખેંચતા તેમની પાછળ ગયા, કેમકે તેઓ કિનારાથી બહુ દુર ન હતા, લગભગ નેવું મીટર દુર હતા. 9 જયારે તેઓ કિનારે ઉતયાઁ ત્યારે તેઓએ ત્યાં સળગતાં કોલસાનો અગ્નિ જોયો, તેના પર માછલી અને રોટલી હતા.
10 ઈસુએ તેમને કહ્યું, "તમે અત્યારે પકડેલી માછલીઓમાંથી થોડી લાવો." 11 તેથી સિમોન પિતર હોડીમાં પાછો ચઢીને કિનારે જાળ ખેંચી લાવ્યો, તેમાં એકસો ત્રેપન મોટી માછલીઓ ભરેલી હતી પણ આટલી બધી માછલીઓ હોવા છતાં જાળ ફાટી ગઈ નહિ. 12 ઈસુએ તેમને કહ્યું, "આવો અને નાસ્તો કરો." તેઓ જાણતા હતા કે, તે પ્રભુ છે છતાં શિષ્યોમાંથી કોઈએ તેમને પૂછવાની હિંમત ન કરી કે, "તમે કોણ છો?" 13 ઈસુએ આવીને રોટલી લઇને તેઓને આપી અને એ જ રીતે માછલી પણ આપી. 14 મરણમાંથી સજીવન થયા પછી ઈસુએ પોતાના શિષ્યોને ત્રીજી વાર દર્શન આપ્યું.
15 નાસ્તો કર્યા પછી, ઈસુએ સિમોન પિતરને કહ્યું, "યોહાનનાં દીકરા સિમોન, શું તું મને આ બધા કરતાં વિશેષ પ્રેમ કરે છે?"
પિતરે કહ્યું, "હા, પ્રભુ, તમે જાણો છો કે હું તમને પ્રેમ કરું છું."
ઈસુએ કહ્યું, "મારાંં ઘેટાંઓને પાળ."
16 ઈસુએ ફરીથી કહ્યું, "યોહાનનાં દીકરા સિમોન, શું તું મને પ્રેમ કરે છે?"
તેણે જવાબ આપ્યો, "હા, પ્રભુ, તમે જાણો છો કે હું તમને પ્રેમ કરું છું."
ઈસુએ કહ્યું, "તો મારાંં ઘેટાંની સંભાળ રાખ."
17 ત્રીજી વાર ઈસુએ તેને કહ્યું, "યોહાનનાં દીકરા સિમોન, શું તું મને પ્રેમ કરે છે?"
ઈસુએ ત્રીજી વાર પૂછયું, તેથી પિતર દુઃખી થયો. તેણે કહ્યું, "પ્રભુ, તમે બધું જાણો છો; તમે જાણો છો કે હું તમને પ્રેમ કરું છું."
ઈસુએ કહ્યું, "મારાંં ઘેટાંને પાળ. 18 હું તને સાચે જ કહું જયારે તું જુવાન હતો ત્યારે તું પોતાની કમર બાંધીને જ્યાં તું ઇચ્છતો હતો ત્યાં જતો હતો, જયારે તું વૃધ્ધ થશે ત્યારે તું તારો હાથ લાંબા કરીશ, અને બીજાઓ તને બાંધીને તારે નહિ જવું હોય ત્યાં તને લઈ જશે." 19 ઈશ્વરના મહિમાર્થે પિતર કઈ રીતે મરણ પામવાનો હતો તે દર્શાવવા માટે ઈસુએ તેને આમ કહ્યું. પછી ઈસુએ તેને કહ્યું, "મારી પાછળ આવ."
20 પિતરે પાછળ ફરીને જોયું તો જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતાં હતા તે તેમની પાછળ આવતો હતો. (તે એ જ શિષ્ય હતો જે ભોજન સમયે ઈસુની સામે ઝૂકીને કહ્યું હતું, "પ્રભુ, તમને કોણ પરસ્વાધીન કરશે?") 21 જયારે પિતરે તેને જોયો ત્યારે તેણે પૂછયું, "પ્રભુ, એનું શું થશે?"
22 ઈસુએ જવાબ આપ્યો, "જો હું પાછો આવું ત્યાં સુધી તે જીવતો રહે એવી મારી ઇચ્છા છે તો તેમાં તારે શું? તારે મારી પાછળ આવવું જોઈએ." 23 આ કારણે વિશ્વાસીઓમાં એવી અફવા ફેલાઈ ગઈ કે તે શિષ્ય મરણ પામવાનો નથી. પરંતુ ઈસુએ એવું કહ્યું નહોતું કે તે મરશે નહિ; તેમણે માત્ર એમ જ કહ્યું હતું કે, "હું પાછો આવું ત્યાં સુધી તે જીવે તો તેમાં તારે શું?"
24 આ શિષ્યે આ વાતો વિશે સાક્ષી આપે છે અને જેણે તે લખી છે. અમે જાણીએ છીએ કે તેની સાક્ષી સાચી છે.
25 ઈસુએ બીજા ઘણા કામો પણ કર્યા. જો તે બધા લખવામાં આવે, તો હું ધારું છું કે આખા જગતમાં લખાયેલા પુસ્તકો માટે જગ્યા ન હોત.