1 "તમારાંં હૃદયોને વ્યાકુળ થવા ન દો, તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો, મારા પર પણ વિશ્વાસ રાખો. 2 મારા પિતા ના ઘરમાં ઘણાં ઓરડાઓ છે, જો એમ ન હોત તો, હું તમને કહેત, હું તમારા માટે જગ્યા તૈયાર કરવા ત્યાં જાઉં છું. 3 અને હું જઈશ અને તમારે માટે જગ્યા તૈયાર કરીશ, હું પાછો આવીશ અને તમને મારી સાથે લઈ જઈશ કે જયાં હું છું ત્યાં તમે મારી સાથે રહો. 4 હું જયાં જાઉં છું તે જગ્યાનો માર્ગ તમે જાણો છો."
5 થોમાસે તેમને કહ્યું, "પ્રભુ, તમે કયાં જાવ છો તે અમે જાણતા નથી, તો માર્ગ વિશે કેવી રીતે જાણીએ?"
6 ઈસુએ જવાબ આપ્યો કે, "હું માર્ગ, સત્ય તથા જીવન છું, મારા વિના પિતા પાસે કોઈ આવતું નથી. 7 ખરેખર જો તમે મને ઓળખતા હોત તો મારા પિતાને પણ ઓળખત, હવેથી તમે તેમને ઓળખો છો અને તેમને જોયા છે."
8 ફિલિપે કહ્યું, "પ્રભુ, અમને પિતા બતાવો એટલે અમારે બસ છે."
9 ઈસુએ જવાબ આપ્યો, "ફિલિપ! આટલા લાંબા સમય સુધી હું, તમારી મધ્યે રહ્યો છતાં હજી સુધી તું જાણતો નથી? જેણે મને જોયો છે તેણે પિતાને જોયા છે, પછી તું કેમ કહે છે કે, અમને પિતા બતાવો?" 10 શું તને વિશ્વાસ નથી કે હું પિતામાં છું અને પિતા મારાંમાં છે? જે વચનો હું તમને કહું છું, તે મારાંં પોતાનાં અધિકારથી નથી કહેતો, તેના બદલે પિતા મારામાં રહે છે, કે જે પોતાનાં કાર્ય કરે છે. 11 જયારે હું કહું છું કે હું પિતામાં અને પિતા મારાંમાં છે, ત્યારે મારો વિશ્વાસ કરો, અથવા કમસેકમ કામોનાં પ્રમાણને લીધે વિશ્વાસ કરો. 12 હું તમને સાચે જ કહું છું કે: હું જે કામો કરું છું તે જ મારા પર વિશ્વાસ કરનાર પણ કરશે, અને તેઓ એના કરતાં પણ મોટા કામો કરશે, કારણ કે હું પિતા પાસે જાઉં છું. 13 અને જે કાંઇ તમે મારા નામે માંગશો તે હું કરીશ, જેથી પિતા પુત્રમાં મહિમાવાન થાય. 14 જો તમે મારા નામે કંઇ પણ મારી પાસે માંગશો અને તે હું કરીશ.
15 "જો તમે મારા પર પ્રેમ રાખો છો તો મારી આજ્ઞાઓ પાળો. 16 અને હું પિતાને કહીશ કે તે તમને બીજો સહાયક તમારી મદદ કરવા અને કાયમ તમારી સાથે રહેવા આપશે: 17 સત્યનો આત્મા, જગત તેનો સ્વીકારતુ નથી, કેમકે તેને તે જોતું નથી અને ઓળખતું નથી, પણ તમે તેને ઓળખો છો. કેમકે તે તમારી સાથે અને તમારાંમાં વસશે. 18 હું તમને અનાથ મૂકીશ નહિ, હું તમારી પાસે આવીશ. 19 થોડીવાર, જગત મને જોશે નહિ પણ તમે મને જોશો. કેમકે હું જીવતો છું માટે તમે પણ જીવશો. 20 તે દિવસે તમે સમજશો કે હું પિતામાં છું, તમે મારાંમાં છો, અને હું તમારાંમાં છું. 21 જેમની પાસે મારી આજ્ઞાઓ છે અને જેઓ તેને પાળે છે, તે જ મારા પર પ્રેમ રાખે છે. તે મારા પર પ્રેમ રાખે છે, તેના પર મારા પિતા પ્રેમ રાખશે. અને હું પણ તેમના પર પ્રેમ રાખીશ અને પોતાને તેમની આગળ પ્રગટ કરીશ."
22 ત્યારે યહૂદા (યહૂદા ઇશ્કરિયોત નહિ), કહ્યું, પણ "પ્રભુ, તમે પોતાને અમારી સમક્ષ પ્રગટ કરશો અને જગત સમક્ષ નહિ એનું શું કારણ?"
23 ઈસુએ જવાબ આપ્યો, "જેઓ મારા પર પ્રેમ કરે છે તેઓ મારો બોધ પાળશે. મારા પિતા તેઓ પર પ્રેમ કરશે, અને અમારું ઘર તેમની સાથે બનાવીશું. 24 જે મારા પર પ્રેમ રાખતો નથી, તે મારો બોધ પાળતો નથી. જે વચનો તમે સાંભળો છો તે મારા પોતાના નથી, પણ બાપે જેણે મને મોકલ્યો છે તેના છે.
25 "હજી હું તમારી સાથે છું એ દરમિયાન આ બધુ મેં તમને કહ્યું છે. 26 પણ સહાયક, એટલે કે પવિત્ર આત્મા જેને પિતા મારા નામે મોકલી આપશે, ત્યારે તે તમને બધુ શીખવશે, અને મેં જે જે તમને કહ્યું છે તે બધું તમને યાદ કરાવશે. 27 હું તમને શાંતિ આપીને જાઉં છું; મારી શાંતિ હું તમને આપું છું; જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી. તમારા હ્રદયોને વ્યાકુળ થવા ન દો અને બીવા પણ ન દો.
28 "મેં તમને કહ્યું, તે તમે સાંભળ્યું: હું જાઉં છું અને હું તમારી પાસે પાછો આવીશ. જો તમે મારા પર પ્રેમ રાખતાં હો, તો હું પિતાની પાસે જાઉં છું તેથી તમને આનંદ થાત, કારણ કે પિતા મારા કરતાં મહાન છે. 29 તે થાય તે પહેલાં મે તમને એ કહ્યું, એ માટે કે જયારે તે પ્રમાણે બને ત્યારે તમે વિશ્વાસ કરો. 30 હવે હું તમને વધારે વાત કરીશ નહિ, કેમકે આ જગતનો અધિકારી આવી રહ્યો છે, તેને મારા પર કંઈ સત્તા નથી. 31 પણ તે આવે છે જેથી જગત શીખે કે હું પિતા પર પ્રેમ કરું છું અને મારા પિતાએ મને જે આજ્ઞા આપી છે તે જ પ્રમાણે કરું છું, હવે આવો.
"ચાલો, અહીંથી આપણે જઈએ.