1 પછી પિલાતે ઈસુને લઇ જઈને કોરડા મારવાની ફરજ પાડી. 2 સૈનિકોએ કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથા પર મૂકયો અને તેમને જાંબુડિયા રંગનો ઝભ્ભો પહેરાવ્યો. 3 અને તેઓ વારંવાર તેમની પાસે ગયા અને કહ્યું "હે, યહૂદીઓનાં રાજા સલામ!" અને તેઓએ તેમના મોં પર તમાચા માર્યા.
4 પિલાત ફરી એક વાર બહાર આવ્યો અને ત્યાં ભેગા થયેલા યહૂદીઓને કહ્યું, "જુઓ, હું તેને તમારી પાસે બહાર લાવું છું, જેથી તમને ખબર પડે કે મને તેનામાં કોઈ દોષ માલૂમ પડતો નથી." 5 જયારે કાંટાનો મુગટ અને જાંબુડિયો ઝભ્ભો પહેરેલા ઈસુ બહાર આવ્યા, ત્યારે પિલાતે તેઓને કહ્યું, "અહીં, તે માણસ છે!"
6 તેમને જોતાં જ મુખ્ય યાજકો તથા તેમના અધિકારીઓએ બૂમ પાડીને કહેવા લાગ્યા, "ક્રૂસે જડો! ક્રૂસે જડો!"
પણ પિલાતે જવાબ આપ્યો, "તમે તેને લઈ જઈને ક્રૂસે જડો, મને તો એનામાં કોઈ દોષ દેખાતો નથી."
7 યહૂદીઓએ આગ્રહ કયોઁ, "અમારે એક નિયમ છે, અને તે નિયમશાસ્ત્ર પ્રમાણે તેણે મરણદંડ ભોગવવો જોઈએ. કેમકે તેમણે પોતે ઈશ્વરપુત્ર હોવાનો દાવો કયોઁ છે."
8 જયારે પિલાતે આ સાંભળ્યું ત્યારે તે વધારે ગભરાયો. 9 ફરીથી તે મહેલમાં ગયો, અને ઈસુને પૂછયું, "તું ક્યાંંથી આવે છે?" પણ ઈસુએ તેને જવાબ આપ્યો નહિ. 10 પિલાતે કહ્યું, "શું તું મારી સાથે વાત કરવા નથી માંગતો? તને ખબર નથી કે મારી પાસે તમને મુક્ત કરવાનો કે ક્રૂસે જડાવાનો અધિકાર છે?"
11 ઈસુએ જવાબ આપ્યો, "જો ઉપરથી તને અધિકાર ન અપાયો હોત, તો તને મારા પર કોઇ અધિકાર ન હોત. તેથી જેણે મને તેને સોંપ્યો છે તેનું પાપ વિશેષ છે."
12 ત્યારથી પિલાતે ઈસુને છોડી મૂકવાની કોશિશ કરી, પરંતુ યહૂદીઓ બૂમો પાડવા લાગ્યા કે, "જો તમે આ માણસને છોડી મૂકશો તો તમે કૈસરનાં મિત્ર નથી. જે કોઇ પોતાને રાજા કહે છે, તે કૈસરનો વિરોધ કરે છે."
13 જયારે પિલાતે આ સાંભળ્યું, ત્યારે ઈસુને તેઓની પાસે બહાર લાવ્યો અને ફરસબંઘી નામની જગ્યાએ ન્યાયાસન પર બેઠો (જેને અરામીક ભાષામાં ગબ્બથા કહે છે.) 14 તે પાસ્ખાપર્વની તૈયારીનો દિવસ હતો, લગભગ બપોરનો સમય હતો. પિલાતે યહૂદીઓને કહ્યું.
"આ રહ્યો, તમારો રાજા."
15 પણ તેઓએ બૂમ પાડી, "તેને દૂર કરો! તેને દૂર કરો! તેને ક્રૂસે જડો!"
પિલાતે પૂછયું, "શું હું તમારાં રાજાને ક્રૂસે જડાવું?"
મુખ્ય યાજકોએ જવાબ આપ્યો, "કૈસર સિવાય અમારે કોઈ રાજા નથી."
16 છેવટે પિલાતે ઈસુને ક્રૂસે જડવાં માટે તેઓને સોંપ્યા.
17 તેથી સૈનીકોએ ઈસુનો હવાલો લીધો ને, ઈસુ પોતાનો ક્રૂસ ઊંચકીને ખોપરીની જગ્યાએ ગયા, તે જગાને અરામીક ભાષામાં ગલગોથા કહેવામાં આવે છે. 18 ત્યાં તેઓએ તેમને ક્રૂસે જડયાંં, અને તેમની સાથે બીજા બે ને પણ ક્રૂસે જડવામાં આવ્યા, દરેક બાજુએ એકને અને વચમાં ઈસુને.
19 પિલાતે એક લેખ તૈયાર કરાવી તેને ક્રૂસ પર લગાવ્યો. જેના પર લખ્યું હતું.
નાઝરેથનો ઈસુ, યહૂદીઓનો રાજા.
20 ઈસુને જયાં ક્રૂસે જડવામાં આવ્યા હતા તે સ્થળ શહેરની નજીક હતું. અને તે લખાણ અરામીક, લેટિન અને ગ્રીક ભાષામાં હતું તેથી ઘણાં યહૂદીઓએ તે લેખ વાંચ્યો. 21 યહૂદીઓનાં મુખ્ય યાજકોએ પિલાતને કહ્યું, "યહૂદિઓનો રાજા એમ ન લખ ‘પણ એમ લખો કે આ માણસે પોતે યહૂદીઓનો રાજા હોવાનો દાવો કયોઁ હતો.’ "
22 પિલાતે જવાબ આપ્યો, "મેં જે લખ્યું છે તે મેં લખ્યું છે."
23 જયારે સૈનિકોએ ઈસુને ક્રૂસે જડયાંં, તેઓએ તેમનાં કપડાં લીધાં અને તેને ચાર ભાગમાં વહેંચી લીધા, દરેક માટે એક, આંતરવસ્ત્ર છોડી ને. આ ઝભ્ભો સિલાઇ વગરનો હતો, ઉપરથી નીચે સુધી એક જ ભાગમાં વણેલો હતો.
24 તેઓએ એકબીજાને કહ્યું, "આપણે તેને ફાડીએ નહિ, પણ ચિઠ્ઠી નાખીને નક્કી કરીએ કે તે કોને મળશે."
આ એટલા માટે બન્યું કે શાસ્ત્રવચન પૂર્ણ થાય:
"તેઓએ મારા કપડાં અંદરોઅંદર વહેંચી લીધાં અને
મારા વસ્ત્રો માટે ચિઠ્ઠીઓ નાંખી,
તેથી સૈનિકોએ આ પ્રમાણે કર્યું."
25 ક્રૂસની પાસે ઈસુની મા મરિયમ, અને તેમની માસી, કલોપાસની પત્ની મરિયમ અને મરિયમ માગદાલેણ ઊભાં હતાં. 26 જયારે ઈસુએ પોતાની માને તથા જે શિષ્યને તેઓ પ્રેમ કરતા હતા તેઓને ત્યાં સાથે ઊભેલાં જોયાં, ત્યારે ઈસુએ તેને કહ્યું, "સ્ત્રી, અહીં તમારો દીકરો છે!" 27 અને શિષ્યને કહ્યું, "અહીં તારી મા છે" ત્યાર પછી આ શિષ્ય તેને પોતાને ઘરે લઈ ગયો.
28 પાછળથી ઈસુએ જાણ્યું કે હવે સઘળું પૂરું થઇ ગયું છે, અને જેથી શાસ્ત્રવચન પૂર્ણ થાય માટે તેમણે કહ્યું, "મને તરસ લાગી છે." 29 કડવો સરકો ભરેલું વાસણ ત્યાં હતું, તેથી તેઓએ તેમાં વાદળી બોળીને ઝૂફાના છોડની ડાળી પર બાંધીને તેઓએ તેમના હોઠ આગળ ધરી. 30 જયારે તેમણે પીણું પીધું, પછી ઈસુએ કહ્યું, "સંપૂર્ણ થયું." તેની સાથે, તેમણે પોતાનું માથું નમાવીને આત્મા છોડયો.
31 હવે તે તૈયારીનો દિવસ હતો, અને બીજો દિવસ હતો ખાસ સાબ્બાથદિન હતો. યહૂદીઓ ઈચ્છતાં ન હતા કે સાબ્બાથદિને શબને ક્રૂસ પર રાખવામાં આવે તેથી તેઓએ પિલાતને વિનંતી કરી કે શબના પગ ભાંગવામાં આવે અને શબ પરથી ઉતારી લેવામાં આવે. 32 તેથી સૈનિકોએ આવીને ઈસુની સાથે ક્રૂસે જડેલાં પહેલાં તેમજ બીજા માણસના પગ ભાંગી નાંખ્યા. 33 પરંતુ જયારે તેઓ ઈસુની પાસે આવ્યા અને ત્યારે તેઓએ તેમને મરણ પામેલા જોયા, તેઓએ તેમના પગ ભાંગ્યા નહિ. 34 એમ છતાં એક સૈનિકે ભાલાથી ઈસુની કૂખ વીંધી. એટલે તરત તેમાંથી લોહી અને પાણી વહેવા લાગ્યાં. 35 જે માણસે આ જોયું, તેણે સાક્ષી આપી અને તેની સાક્ષી સાચી છે, તે જાણે છે કે તે સત્ય કહે છે, અને સાક્ષી આપે છે જેથી તમે પણ વિશ્વાસ કરો. 36 શાસ્ત્રવચન પૂર્ણ થવા સારું આ બધુ બન્યું: તેનું એક પણ હાડકું ભાંગવામાં આવશે નહિ. 37 અને બીજું શાસ્ત્રવચન કહે છે: જેઓએ, તેને વીંધ્યો તેઓ તેને જોશે.
38 પછી, અરિમથાઈનો યોસેફ પિલાત પાસે ઈસુનુ શબ માગ્યું. હવે યોસેફ યહૂદીઓની બીકને લીધે ગુપ્ત રીતે ઈસુનો શિષ્ય હતો. પિલાતની રજાથી તેણે આવીને ઈસુનું શબ ઉતારી લીધું. 39 તે નિકોદેમસનો સાથી હતો, અગાઉ જે માણસ રાત્રે ઈસુની મુલાકાતે આવ્યો હતો, તે નિકોદેમસ આશરે પિસ્તાળીસ કિલો બોળ અને અગરનું સુગંધીદાર મિશ્રણ લઈને આવ્યો. 40 ઈસુના શરીરને લઇને બંનેએ યહૂદી દફનવિધિના રિવાજ પ્રમાણે સુગંધી દ્રવ્યો સાથે શણના પટ્ટાઓમાં તેને વિટાળ્યું. 41 જયાં ઈસુને ક્રૂસે જડવામાં આવ્યા હતા, ત્યાં એક વાડી હતી, અને વાડીમાં નવી કબર હતી, જેમાં કયારેય કોઇને દફનાવવામાં આવ્યું હતું. 42 કેમકે તે યહૂદીઓની તૈયારીનો દિવસ હતો અને કબર નજીક હોવાથી તેઓએ ઈસુને ત્યાં દફનાવ્યાં.