1 "એફેસસની મંડળીના દૂતને તું આ લખ:
સાત તારાઓને પોતાના જમણા હાથમાં ધરી રાખનાર તથા સોનાની સાત સ્ટેન્ડની વચમાં ચાલનાર છે તે આ વાતો લખે છે:
2 તારા કૃત્યો, તારો પરિશ્રમ તથા તારી ધીરજ વિશે હું જાણું છું. વળી હું એ પણ જાણું છું કે તું ભૂંડા માણસોને સહન કરી શકતો નથી, અને જેઓ પોતાને પ્રેષિત કહેવડાવે છે, પણ હકીકતમાં નથી તેઓને પારખી લીધા, ને તેઓ જૂઠા છે એમ તને માલૂમ પડયું. 3 તેં મારા નામની ખાતર ધીરજથી દુઃખ સહન કર્યું છે, અને થાકી ગયો નથી.
4 આમ છતાં તારી વિરુધ્ધ મારે આટલું છે કે: તે તારા પ્રથમનાં પ્રેમનો ત્યાગ કયોઁ છે. 5 એ માટે તું જયાંથી પડયો છે તે યાદ કરીને પસ્તાવો કર, અને પહેલાંના જેવાં કામ કર. અને જો તું પસ્તાવો નહિ કરે તો હું તારી પાસે આવીશ અને તારા સ્ટેન્ડને તેના સ્થાનેથી દૂર કરી નાંખીશ. 6 પરંતુ તારામાં આ એક સારી બાબત પણ છે: તું સ્વછંદી નિકલાયતીઓનાં કામને મારી જેમ જ ધિક્કારે છે.
7 આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તે દરેકને હું પારાદૈસમાંના જીવનના વૃક્ષનું ફળ આપીશ.
8 "સ્મર્નાની મંડળીના દૂતને તું આ લખ:
જે પ્રથમ તથા છેલ્લા છે, જે મૃત્યુ પામ્યા હતા અને સજીવન થયા છે તે આ વાતો લખે છે:
9 હું તારી વિપતિ તથા ગરીબાઈ વિશે જાણું છું, તોપણ તું ધનવાન છે! હું નિંદા કરનારને જાણું છું કે જેઓ કહે છે તેઓ યહૂદી છે પણ તેઓ એવા નથી પણ શેતાનનાં સભાસ્થાનનાં છે. 10 તારા પર જે આવી પડવાનું છે તેથી તું ગભરાઈશ નહિ, કેમકે શેતાન તમારાંમાંના કેટલાકને કસોટીને અર્થે જેલમાં નંખાવશે, અને દસ દિવસ સુધી તમારી સતાવણી થશે. મરણની ઘડી સુધી તું વિશ્વાસુ રહેજે, અને હું તને જીવનનો મુગટ આપીશ.
11 આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે: જે જીતે છે તેના માટે બીજા મરણની કોઇ ઇજા થશે નહિ.
12 "પેર્ગામમમાંની મંડળીના દૂતને લખ:
જેની પાસે તીક્ષ્ણ બેધારી તરવાર છે તે આ વાતો કહે છે.
13 હું જાણું છું કે તું કયાં રહે છે, જયાં શેતાનની ગાદી છે ત્યાં. છતાં તું મારા નામને વળગી રહે છે. અને જયારે મારા વિશ્વાસુ સાક્ષી આન્તીપાસને મારી નાંખ્યો છે, જેને તારા શહેરમાં જયાં શેતાન રહે છે, ત્યાં મારી નાખવામાં આવ્યો, તે સમયે પણ, તેં મારા પરનો વિશ્વાસ છોડયો નહિ.
14 છતાં, મારે તારી વિરુધ્ધ કેટલીક વાતો કહેવાની છે. તમારામાનાં કેટલાક એવા છે કે જે બલામના શિક્ષણને વળગી રહે છે, જેણે બાલાકને ઇઝરાયેલીઓને પાપ કરવા માટે શીખવ્યું હતું. જેથી તેઓ મૂતિઁઓનું નૈવેદ ખાય અને વ્યભિચાર કરે. 15 અને એ જ રીતે તમારી પાસે એવા લોકો પણ છે કે જેઓ નિકલાયતીઓનાં શિક્ષણને વળગી રહે છે. 16 તેથી તું પસ્તાવો કર! નહિ તો હું તારી પાસે જલ્દી આવીને મારા મુખની તરવારથી તેઓની સાથે લડીશ.
17 આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે: વિજય મેળવનારને હું ગુપ્ત રાખેલ માન્ના ખાવા આપીશ. અને હું શ્વેત પથ્થર આપીશ. તે પથ્થર પર એક નવું નામ લખેલું છે, જે તેને મેળવનાર સિવાય બીજું કોઈ જાણતું નથી.
18 "થૂઆતૈરાની મંડળીના દૂતને લખ:
જેની આંખો અગ્નિની જવાળા જેવી છે અને જેનાં પગ ચમકતા પિતળ જેવા છે તે ઈશ્વરપુત્ર તેના આ વચનો છે.
19 તારાં કામ, તારો પ્રેમ, વિશ્વાસ, તારી સેવા અને તારી ધીરજ હું જાણું છું. અને તારા છેલ્લા કામ પહેલાના કરતા અધિક છે, એ પણ હું જાણું છું.
20 તોપણ મારે તારી વિરુદ્ધ આટલું કહેવાનું છે: ઈઝેબેલ, જે પોતાને પ્રબોધિકા તરીકે કહેવડાવે છે, તે સ્ત્રીને તું સહન કરે છે, તે મારા સેવકોને વ્યભિચાર કરવાને તથા મૂર્તિઓના નૈવેદ ખાવાને શીખવે છે અને ભમાવે છે. 21 મેં તેને અનૈતિકતાથી પસ્તાવો કરે માટે મેં તેને સમય આપ્યો, પરંતુ તેણે જાણ્યું નહિ. 22 તેથી હું તેને પથારીવશ કરીશ અને તેની સાથે જેઓ વ્યભિચાર કરે છે તેઓ જો પોતાનાં પાપનો પસ્તાવો ન કરે તો તેઓને હું મોટી વિપતીમાં નાંખીશ. 23 તેનાં બાળકોને હું મારી નાંખીશ અને સર્વ મંડળીઓ જાણશે કે હું મન તથા હ્રદયનો પારખનાર છું, વળી હું તમો સર્વને તમારી કરણી પ્રમાણે બદલો આપીશ.
24 હવે, થૂઆતૈરામાં વસનાર બાકીનાં તમે જેઓ તેનો બોધ માનતાં નથી, અને શેતાનનાં ઊંડા મર્મોનાં શિક્ષણને અનુસર્યા નથી, ‘તેઓ પર હું કોઈ બીજો બોજ મૂકવાં માંગતો નથી. 25 તોપણ તમારી પાસે જે છે તેને હું આવું ત્યાં સુધી વળગી રહો.’
26 જે વિજય પામે છે અને અંત સુધી મારી ઈચ્છા પ્રમાણે કરે છે તેને હું પ્રજાઓ પર અધિકાર આપીશ, 27 તે લોઢાના દંડથી તેઓ પર અધિકાર ચલાવશે અને કુંભારની જેમ તેઓના કકડેકકડા કરી નાખશે. જેમ હું મારા પિતા પાસેથી અધિકાર પામ્યો છું. 28 વળી હું પ્રભાતનો તારો પણ આપીશ. 29 આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે.