1 જયારે તેણે સાતમી મુદ્રા ખોલી, ત્યારે સ્વર્ગમાં અર્ધા કલાક સુધી શાંતિ થઈ ગઈ.
2 અને મેં ઈશ્વર આગળ ઊભા રહેનાર સાત દૂતોને જોયા, અને તેઓને સાત રણશિંગડાં આપવામાં આવ્યા.
3 ત્યાર પછી બીજો એક દૂત સોનાનું ધૂપપાત્ર લઈને આવ્યો અને વેદી પાસે ઊભો રહ્યો. રાજ્યાસન સમક્ષ રહેલી સુવર્ણ વેદી પર ઈશ્વરના લોકની પ્રાર્થનાઓ સાથે અર્પણ કરવા માટે તેને પુષ્કળ ધૂપ આપવામાં આવ્યો. 4 દૂતના હાથમાંથી ધૂપનો ધુમાડો, ઇશ્વરના લોકોની પ્રાર્થનાઓ એક સાથે ઈશ્વર આગળ પહોંચ્યા. 5 પછી દૂતે તે ધૂપપાત્ર લીધું, તેમાં વેદી પરનો અગ્નિ ભયોઁ, અને તેને પૃથ્વી પર ઠાલવ્યું; અને ત્યાર પછી ભારે ગર્જનાઓ થઈ, કડાકા થયા, વીજળીના ચમકારા અને ધરતીકંપ થવા લાગ્યા.
6 પછી જે સાત દૂતની પાસે સાત રણશિંગડા હતાં તેઓ વગાડવાં તૈયાર થયા.
7 પહેલાં દૂતે તેનું રણશિંગડું વગાડયું, અને ત્યારે કરા અને રકતમિશ્રિત તથા અગ્નિ પડયાં, અને પૃથ્વી પર ફેંકવામાં આવ્યા. પૃથ્વીનો ત્રીજો ભાગ બળી ગયો, અને વૃક્ષોનો ત્રીજો ભાગ બળી ગયો, અને બધું લીલું ઘાસ બળી ગયું.
8 બીજા દૂતે પોતાનું રણશિંગડું વગાડયું, અને ત્યારે મોટાં, સળગતાં પર્વત જેવું કાંઈક સમુદ્રમાં નાંખવામાં આવ્યું. તેનાથી ત્રીજા ભાગનો સમુદ્ર લોહી થઈ ગયો. 9 સમુદ્રમાંનાં ત્રીજા ભાગનાં જીવતાં પ્રાણીઓ તથા ત્રીજા ભાગનાં વહાણ નાશ પામ્યાં.
10 ત્રીજા દૂતે પોતાનું રણશિંગડું વગાડયું, ત્યારે આકાશમાંથી દીવાના જેવો મોટો સળગતો તારો ત્રીજા ભાગની નદીઓ અને ઝરણાં પર પડયો, 11 તે તારાનું નામ કડવાશ હતું, તેનાથી પૃથ્વી પરનું ત્રીજા ભાગનું પાણી કડવું બની ગયું, અને એ કડવા બનેલાં પાણીથી ઘણાં લોક મરણ પામ્યાં.
12 ચોથા દૂતે પોતાનું રણશિંગડું વગાડયું, અને સૂર્યનો ત્રીજા ભાગ પર, ચંદ્રના ત્રીજા ભાગ પર તથા તારાઓનો ત્રીજા ભાગ પર પ્રહાર થયો, જેથી ત્રીજો ભાગ અંધકારમાં ફેરવાઈ ગયો. તેને લીધે દિવસનો ત્રીજો ભાગ અને રાત્રિનો ત્રીજો ભાગ અંધકારરૂપ બની ગયો.
13 પછી મેં જોયું, તો આકાશ મધ્યે ઊડતા ગરૂડને મોટે અવાજે પોકારતાં સાંભળ્યું, "હજી બાકીનાં ત્રણ દૂત પોતાનાં રણશિંગડાં વગાડશે ત્યારે તેને લીધે પૃથ્વી પરના લોકોને અફસોસ! અફસોસ! અફસોસ!"