1 "સાર્દિસમાંની મંડળીના દૂતને લખ:
જેને ઈશ્વરના સાત આત્માઓ અને સાત તારાઓ છે, તે આ વાતો કહે છે.
તારા કામ હું જાણું છું; તું જીવંત તરીકેની પ્રતિષ્ઠા ધરાવે છે, પણ તું મૂએલો છે. 2 હવે જાગૃત થા! જેઓ બાકી છે અને મરણ પામવાની અણી પર છે તેઓને દ્રઢ કર, કેમકે મેં તારા કામ મારા ઈશ્વરની નજરમાં અધૂરા જોયા છે. 3 તેથી, તને જે મળ્યું અને જે સાંભળ્યું છે; દ્રઢતાથી તેને વળગી રહે, અને પસ્તાવો કર, પણ જો તું જાગૃત નહિ થાય, તો હું ચોરની માફક આવીશ, અને ક્યા સમયે હું તારી પાસે આવીશ તેની તને ખબર પડશે નહિ.
4 આમ છતાં સાર્દિસમાં તમારી પાસે થોડા લોકો હજી છે જેઓએ પોતાના વસ્ત્રો મલિન કયાઁ નથી. તેઓ મારી સાથે શ્વેત વસ્ત્રો પહેરીને ફરશે. કેમકે તેઓ લાયક છે. 5 જે વિજય પામે છે, તેઓને એ જ રીતે, શ્વેત વસ્ત્રો પહેરાવવામાં આવશે અને હું તેઓનાં નામ જીવનનાં પુસ્તકમાંથી ભૂંસી નાંખીશ નહિ, પરંતુ મારા પિતાની તથા તેમના દૂતોની સમક્ષ હું તેઓનાં નામ કબૂલ કરીશ. 6 આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે.
7 "ફિલોદેલ્ફિયાની મંડળીના દૂતને લખ:
જે પવિત્ર તથા સત્ય છે, જેની પાસે દાવિદની ચાવી છે. જે ખોલે છે એને કોઈ બંધ કરી શક્તું નથી, અને જે બંધ કરે છે તેને કોઈ ખોલી શક્તું નથી, તે આ વાતો કહે છે.
8 હું તારા કામ જાણું છું. જો તારી આગળ મેં દ્રાર ઉઘાડું મૂક્યું છે તેને કોઈ બંધ કરી શકતું નથી. હું જાણું છું કે તારામાં થોડી શકિત છે, છતાં તું મારાંં વચનને આધીન રહ્યો છે અને તેં મારા નામનો ઈન્કાર કર્યો નથી. 9 જેઓ શેતાનનાં સભાસ્થાનનાં છે, અને જેઓ એમ કહે છે કે અમે યહૂદી છીએ પણ એવા નથી તેઓ જૂઠું બોલે છે, તેઓને હું તારા પગ આગળ નમાવીશ ત્યારે તેઓ જાણશે કે મેં તારા પર પ્રેમ રાખ્યો છે. 10 તેં ધીરજથી મારી આજ્ઞાનું પાલન કયુઁ છે, મને આધીન રહ્યો છે, તેથી પૃથ્વીનાં સર્વ લોકોની કસોટી માટે સમગ્ર જગત પર આવનાર મહાવિપતિમાંથી હું તને બચાવી લઈશ.
11 હું વહેલો આવું છું. તારી પાસે જે છે તેને તું વળગી રહે, જેથી કોઈ તારો મુગટ લઈ ન લે. 12 જે વિજય પામે છે તેને હું મારા ઇશ્વરના મંદિરમાં સ્તંભ બનાવીશ. તે ફરી ત્યાંથી બહાર જશે નહિ. મારા ઇશ્વરનું નામ સ્વર્ગમાંથી મારા ઈશ્વર પાસેથી ઊતરી આવતાં નવા નગર યરુશાલેમનું નામ હું તેના પર લખીશ; અને હું તેના પર મારું નવું નામ લખીશ. 13 આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે.
14 "લાઓદિકિયાની મંડળીના દૂતને લખ:
જે આમીન છે, જે વિશ્વાસુ તથા સાચો સાક્ષી છે, જે ઈશ્વરના સર્વ સર્જનનું આદિકરણ છે તે આ વાતો કહે છે:
15 હું તારાં કાર્ય જાણું છું. તું ઠંડો કે ગરમ નથી. તું ઠંડો કે ગરમ થા એવું હું ઇચ્છું છું! 16 પણ તું હૂંફાળો છે. તું નથી ઠંડો કે નથી ગરમ. એટલે હું તને મારા મોંમાંથી થૂંકી નાંખીશ. 17 તું કહે છે, ‘હું શ્રીમંત છું, મેં સંપતી મેળવી છે, અને મારે કશાંની ખોટ નથી,’ પણ તું જાણતો નથી કે તું કંગાલ, બેહાલ, દરિદ્રી, અંધ તથા નગ્ન છે; 18 માટે મારી સલાહ છે કે, તું મારી પાસેથી અગ્નિમાં શુધ્ધ થયેલું સોનું વેચાતું લે, જેથી તું શ્રીમંત થાય; અને શ્વેત વસ્ત્રો વેચાતા લઈને પહેર, જેથી તું તારી શરમજનક નગ્નતા ઢાંકી શકે; વળી, તું તારી દ્રષ્ટિ પાછી મેળવે એ માટે મારી પાસેથી અંજન વેચાતું લઇને આંખોમાં આજ.
19 જેનાં પર હું પ્રેમ કરું છું તેને હું ઠપકો આપું છું અને શિક્ષા કરું છું. માટે તું ઉત્સાહી થા અને પસ્તાવો કર. 20 જુઓ, હું બારણાં આગળ ઊભો રહીને ખટખટાવ્યા કરું છું. જો કોઈ મારો અવાજ સાંભળીને બારણું ખોલશે તો હું અંદર આવીશ અને હું તેની સાથે જમીશ અને તે મારી સાથે જમશે.
21 જે જીતે છે તેને હું મારા રાજ્યાસન પર મારી સાથે બેસવા દઇશ, જેમ હું પણ જીતીને મારા બાપની સાથે તેના રાજયાસન પર બેઠેલો છું તેમ. 22 આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે."