Publicidade

Atos 3

લંગડા માણસને સાજાપણું

1 એક દિવસ પિતર અને યોહાન બપોરે ત્રણ વાગે પ્રાર્થનાનાં સમયે મંદિરમાં જતા હતા. 2 હવે એક જન્મથી લંગડા એક માણસને લોકો દરરોજ ઊંચકીને લઈ જતા અને મંદિરમાં સુંદર નામના દરવાજે બેસાડતા હતા. ત્યાં તેને મંદિરમાં જતા લોકો પાસેથી તે ભીખ માગતો. 3 જયારે તેણે પિતર અને યોહાન અંદર જતા જોયા તેણે તેમની પાસે પૈસા માંગ્યાં. 4 પિતરે અને યોહાને તેની સામે એકીનજરે જોઈને કહ્યું, "અમારા તરફ જો." 5 તે માણસે કંઈક મદદ મળવાની આશાથી તેઓ પર ધ્યાન આપ્યું.

6 પછી પિતરે કહ્યું, "મારી પાસે સોનું કે ચાંદી નથી પણ મારી પાસે જે છે તે હું તને આપું છું. નાઝરેથના ઈસુ મસીહના નામે, ચાલ." 7 પછી તેણે તેનો જમણો હાથ પકડીને તેને ઉઠાડયો. અને તરત તેના પગ તથા ઘુંટિઓમાં જોર આવ્યું. 8 તે કૂદીને ઊભો થઈ ગયો ને ચાલવા લાગ્યો. પછી ચાલતો, ને કૂદતો, ઈશ્વરની સ્તુતિ કરતો તે તેઓની સાથે મંદિરનાં આંગણાંમાં ગયો. 9 ત્યારે બધા લોકોએ તેને ચાલતો ને ઈશ્વરની સ્તુતિ કરતો જોયો, 10 તેઓએ તેને ઓળખી લીધો કે તે એ જ માણસ છે, જે દરરોજ મંદિરના સુંદર નામનાં દરવાજા આગળ ભીખ માંગતો હતો અને તેને જે થયું હતુ તેનાથી, તેઓ સર્વ આશ્ચર્યચકિત થઈ ગયા.

પિતર જોનારાઓની સાથે વાત કરે છે

11 તે માણસ પિતર અને યોહાનને પકડી રહયો હતો, પણ સર્વ લોકો આશ્ચર્યચકિત થઇ ગયા અને સોલોમોનની પરસાળ નામની જગ્યાએ તેમની પાસે દોડી આવ્યા. 12 જયારે પિતરે આ જોયું, ત્યારે તેણે તેઓને કહ્યું: "ઓ, ઇઝરાયેલી ભાઈઓ, તમને નવાઈ શેની લાગે છે? તમે અમને ધારી ધારીને શા માટે જોઈ રહ્યા છો? જાણે અમે અમારા સામર્થ્યથી કે ધાર્મિકતાથી આ માણસને ચાલતો કર્યા હોય? 13 અબ્રાહમનાં, ઇસહાકનાં, યાકોબનાં તથા આપણા પૂર્વજોનાં ઈશ્વરે પોતાના સેવક ઈસુને મહિમાવાન કયોઁ છે, તમે તેમને મારી નાંખવા માટે સોંપી દીધા, અને પિલાતે તેમને છોડી દેવાનુ નક્કી કર્યુ છતાં તમે તેમનો નકાર કયોઁ. 14 તમે આ પવિત્ર અને ન્યાયી માણસને છોડી મૂકવાને બદલે એક ખૂનીને મુક્ત કરવાની માંગણી કરી. 15 તમે જીવનનાં સ્વામીને મારી નાખ્યા, પણ ઈશ્વરે તેમને મરણમાંથી સજીવન કર્યા. અને અમે તેના સાક્ષી છીએ. 16 ઈસુનાં નામ પરના વિશ્વાસથી, આ માણસ જેને તમે જોવો છો અને ઓળખો છો, ઈસુના નામ દ્વારા શકિતમાન કર્યો અને તેમના પરના વિશ્વાસે તમે બધા જોઈ શકો છો કે તેને સંપૂર્ણ સાજાપણું મળ્યું છે.

17 "હવે ઇઝરાયેલી ભાઈઓ, હું જાણું છું કે જેમ તમારા આગેવાનો તેમ તમે એ અજ્ઞાનતાથી આ કામ કર્યું હતું. 18 પરંતુ ઈશ્વરે બધા પ્રબોધકો દ્વારા જણાવેલુ ભવિષ્યવચન પૂર્ણ કર્યું કે મસીહે આ બધું સહેવું. 19 પસ્તાવો કરો અને પછી ઈશ્વર તરફ વળો જેથી તમારાંં પાપ ભૂંસી નાંખવામાં આવે, અને પ્રભુ તરફથી તાજગીના સમયો પ્રાપ્ત થાય. 20 અને મસીહ, જેને તમારા માટે ઠરાવવામાં આવ્યા છે તેમને એટલે ઈસુને મોકલે. 21 જયાં સુધી ઈશ્વરે પોતાના પવિત્ર પ્રબોધકો મારફતે ઘણા સમય પહેલાં જે વચનો ઉચ્ચાર્યા છે તે બધુ પુનઃસ્થાપિત કરવાનો સમય ન આવે ત્યાં સુધી તેમણે સ્વર્ગમાં રહેવું જોઈએ. 22 કેમકે મોશેએ કહ્યું હતું કે: ‘પ્રભુ, તમારા ઈશ્વર, મારા જેવા એક પ્રબોધકને તમારાં પોતાના લોકોમાંથી તમારા માટે ઊભો કરશે. અને તે જે કહે તે સઘળું તમારે સાંભળવું. 23 જે કોઈ તે પ્રબોધકનું નહિ સાંભળે, તેનો લોકમાંથી પૂરેપૂરો નાશ થશે.’

24 "શમુએલથી માંડીને જેટલા પ્રબોધકો બોલ્યા છે તે બધાએ આ દિવસો વિષે અગાઉથી કહ્યું છે. 25 અને તમે પ્રબોધકોનાં વારસ છો, ઈશ્વરે તમારાં પૂર્વજો સાથે જે કરાર કર્યા તેનાં તમે ભાગીદાર છો, તેમણે અબ્રાહમને કહ્યું હતું કે તારા સંતાન દ્રારા પૃથ્વીનાં તમામ લોકોને હું આશીર્વાદ આપીશ. 26 જયારે ઈશ્વરે તેમના સેવકને ઉભો કયોઁ, ત્યારે સૌ પ્રથમ તમારી પાસે મોકલ્યા એ માટે કે તે તમને તમારાંં દુષ્ટ માગોઁથી ફેરવીને તમને આશીર્વાદ આપે."

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-15_21-32-39-