1 એ દિવસોમાં, જયારે શિષ્યોની સંખ્યા વધતી જતી હતી, ત્યારે ગ્રીક યહુદિયોએ હિબ્રૂ યહુદિયોની વિરુધ ફરીયાદ કરી કારણ કે દરરોજની ખોરાકની વહેંચણીમાં તેમની વિધવાઓની અવગણના કરવામાં આવતી હતી. 2 તેથી બારે પ્રેષિતોએ બધા શિષ્યોને બોલાવીને કહ્યું: "આપણે ખોરાકની વહેંચણી માટે ઈશ્વરનાં વચનોનો બોધ છોડી દઈએ તે યોગ્ય નથી. 3 ભાઈઓ અને બહેનો, તમારાંમાંથી પવિત્ર આત્મા તથા જ્ઞાનથી ભરપૂર એવા સાત માણસોને પસંદ કરો, અમે તેઓને આ કાર્યની જવાબદારી સોંપીશું. 4 અને પ્રાર્થનામાં, ઈશ્વરનાં વચનની સેવામાં આપણે ધ્યાન આપીશું."
5 આખા સમૂહને આ વાત યોગ્ય લાગી. વિશ્વાસથી તથા પવિત્ર આત્માથી ભરપૂર એવા સ્તેફનને પસંદ કયોઁ; ફિલિપને, પ્રોખરસને, નિકાનોરને, તિમોનને, પારમીનાસને તથા અંત્યોખથી યહૂદી થયેલા નિકોલસને તેઓએ પસંદ કર્યા. 6 તેઓએ આ માણસોને પ્રેષિતો સમક્ષ રજૂ કર્યા. અને તેઓએ પ્રાર્થના કરી અને તેઓના પર હાથ મૂક્યાં.
7 ઈશ્વરની વાતનો પ્રચાર ફેલાતો ગયો, અને યરુશાલેમમાં શિષ્યોની સંખ્યા વધતી ગઈ ઘણાં યાજકો પણ વિશ્વાસને આધીન થયા.
8 હવે સ્તેફન કૃપાથી તથા સામર્થ્યથી ભરપૂર હતો, તેણે લોકોમાં ઘણાં અદભુત કાર્યો અને ચમત્કારો કર્યા. 9 લિબર્તીની એટલે મુક્ત કરાયેલ યહૂદીઓની સભાસ્થાનના સભ્યો, કેટલાકે આવીને સ્તેફન સાથે વાદવિવાદ શરૂ કયોઁ, તેઓની સાથે વાદવિવાદમાં કૂરેનીનો, ઈજિપ્તમાં આવેલ આલેકઝાન્ડ્રિયાના અને કિલીકિયાના પ્રાંતોના તથા આસિયાના કેટલાક યહૂદીઓ પણ જોડાયાં. 10 પણ પવિત્ર આત્માએ તેને જે જ્ઞાન આપ્યું, તેની સામે કોઇ ટકી શકયો નહિ.
11 તેથી તેઓએ કેટલાક માણસોને ગુપ્ત રીતે સમજાવ્યાં, જેઓએ કહ્યું કે, "અમે સ્તેફનને મોશે તથા ઈશ્વરની વિરુધ્ધ બોલતો સાંભળ્યો છે."
12 તેથી તેઓએ લોકોને વડીલોને, અને નિયમશાસ્ત્રના પંડિતોને ઉશ્કેર્યા અને સ્તેફનને પકડીને ન્યાયસભા સમક્ષ રજૂ કર્યા. 13 તેઓએ જુઠા સાક્ષીઓને ઊભાં કયાઁ, જેઓએ સાક્ષી આપી કે, "આ માણસ પવિત્રસ્થાન તથા નિયમશાસ્ત્ર વિરુધ્ધ બોલ્યાં વિના રહેતો નથી. 14 અમે તેને એમ પણ કહેતાં સાંભળ્યો છે કે નાઝરેથના ઈસુ આ મંદિરનો નાશ કરશે અને મોશેએ આપણને આપેલા રિવાજોને બદલી નાંખશે."
15 સભામાં બેઠેલા સર્વ સ્તેફન તરફ એકીનજરે જોઈ રહ્યા, અને તેઓએ તેનો ચહેરો દૂતનાં ચહેરા જેવો જોયો.