1 પાઉલે ન્યાયસભાની સામે એકીનજરે જોઈ રહીને કહ્યું, "મારા ભાઈઓ, હું આજ દિન સુધી ઈશ્વર સમક્ષ સારા અંતઃકરણથી વર્ત્યો છું." 2 એ જ ઘડીએ અનાન્યા પ્રમુખ યાજકે પાઉલની પાસે ઊભેલાઓને આજ્ઞા કરી કે તેઓ તેના મોં પર તમાચો મારે. 3 ત્યારે પાઉલે તેને કહ્યું, "ઓ ધોળેલી ભીંત, ઈશ્વર તને મારશે! તું નિયમશાસ્ત્ર પ્રમાણે મારો ન્યાય કરવા બેઠો છે, છતાં તું નિયમશાસ્ત્રનો ભંગ કરી મને મારવાનો હુકમ કરે છે?"
4 પાઉલની પાસે ઊભેલાઓએ કહ્યું, "તું ઈશ્વરના પ્રમુખયાજકનું અપમાન કરવાની હિંમત કરે છે!"
5 પાઉલે જવાબ આપ્યો, "ભાઈઓ, મને ખબર ન હતી કે તે પ્રમુખયાજક છે. કેમકે લખેલું છે કે: તારે તારા લોકનાં અધિકારીઓનું ભૂંડું બોલવું નહિ."
6 પાઉલ જાણતો હતો, કે કેટલાક સાદૂકીઓ અને બીજા ફરોશીઓ છે, તેથી તેણે સભામાં મોટાં અવાજે કહ્યું, "મારા ભાઈઓ, મારા પૂર્વજોની માફક હું પણ ફરોશી છું. મૂએલાંના પુનરુત્થાનની આશા માનું છું તેને લીધે મારી સામે આ કેસ ચલાવવામાં આવે છે." 7 જયારે તેણે એમ કહ્યું, ત્યારે ફરોશીઓ, અને સાદૂકીઓ વચ્ચે તકરાર થઈ, અને સભામાં બે ભાગ પડી ગયા, 8 કેમકે સાદૂકીઓ એવું માને છે કે મૂએલાંનું પુનરુત્થાન કે, દૂતો કે સાર્વકાલિક આત્મા જેવું કંઈ નથી. જયારે ફરોશીઓએ બધી બાબતોમાં માને છે.
9 ત્યાં ભારે હોબાળો થયો. અને ફરોશીઓના કેટલાક નિયમશાસ્ત્રના પંડિતો ઊભા થઈને આવેશપૂર્વક કહેવા લાગ્યા કે, "આ માણસમાં અમને કોઈ ગુનો દેખાતો નથી. તેઓએ કહ્યું કદાચ આત્માએ અથવા દૂતે તેની સાથે વાત કરી હોય." 10 તકરાર વધું ઉગ્ર બની કે સેનાપતિને ડર લાગ્યો કે તેઓ પાઉલના ટૂકડા કરી નાખશે. તેથી તેણે સૈનિકોને આજ્ઞા કરી કે તેઓ બળપૂર્વક પાઉલને તેઓથી અલગ કરે અને કિલ્લામાં પાછો લઈ જાય.
11 તે રાત્રે પ્રભુએ પાઉલની પાસે ઊભા રહીને કહ્યું, "હિંમત રાખ, જેમ યરુશાલેમમાં તેં મારા વિશે સાક્ષી આપી છે, તેમ રોમમાં પણ તારે સાક્ષી આપવાની છે."
12 બીજે દિવસે સવારે કેટલાક યહૂદીઓએ કાવતરું રચ્યું, અને તેઓએ પ્રતિજ્ઞા લિધી કે જયાં સુધી પાઉલને મારી ન નાખીએ ત્યાં સુધી અન્નજળ લઈશું નહિ. 13 આ કવતરામાં ચાળીસ કરતાં વધારે માણસો સંડોવાયેલા હતાં. 14 પછી તેઓએ "મુખ્ય યાજકો અને વડીલો પાસે જઈને કહ્યું કે અમે પ્રતિજ્ઞા લિધી છે કે પાઉલને મારી ન નાંખીએ ત્યાં સુધી અન્નજળ લઈશું નહિ. 15 તો હવે, તમે અને ન્યાયસભાના સેનાપતિને વિનંતી કરો કે તેઓ તેને તમારી પાસે લાવે, કારણ કે તેઓ તેના વિશે વધુ સચોટ માહિતી મેળવવા માંગે છે, તે અહીં આવે એ પહેલાં અમે તેને મારી નાંખવા તૈયાર છીએ."
16 પણ જયારે પાઉલની બહેનના દિકરાએ આ કાવતરા વિશે સાંભળ્યું, ત્યારે તે કિલ્લામાં ગયો અને પાઉલને કહ્યું.
17 ત્યારે પાઉલે એક સૂબેદારને બોલાવીને કહ્યું, "આ યુવાનને સેનાપતિ પાસે લઈ જા, તેને કંઇક કહેવું છે." 18 તેથી તે તેને સેનાપતિને પાસે લઇ ગયો,
સૂબેદારે કહ્યું, કેદી પાઉલે મને કહ્યું કે આ યુવાનને તમારી પાસે લઇ આવું કારણ કે તે તમને કંઇક કહેવા માંગે છે.
19 સેનાપતિએ તે યુવાનનો હાથ પકડીને તેને બાજુએ લઈ ગયો અને પૂછયું, "તું મને શું કહેવા માગે છે?"
20 તેણે કહ્યું, "આવતીકાલે કેટલાક યહૂદીઓ તમારી પાસે આવશે અને પાઉલની પાસેથી વધારે માહિતી મેળવવી છે, એવું બહાનું બતાવીને તેને ન્યાયસભાની સમક્ષ રજૂ કરવા તમારી પાસે માગણી કરશે. 21 તેઓની વાત માનશો નહિ, કેમકે ચાળીસ કરતાં વધારે માણસો તેને પકડવા માટે સંતાઈ રહ્યાં છે. તેને મારી ન નાખે ત્યાં સુધી તેઓએ અન્નજળ ન લેવાની પ્રતિજ્ઞા લીધી છે. તેઓ હવે તૈયાર છે અને તેઓની વિનંતી માટે તમારી સંમતિની રાહ જોઈ રહ્યાં છે."
22 સેનાપતિએ યુવાનને ચેતવણી આપીને મોકલ્યો કે, "તેં મને આ માહિતી આપી છે એ વિશે કોઈને કહીશ નહિ."
23 પછી તેણે બે સૂબેદારોને બોલાવીને તેઓને હુકમ કર્યા, "આજે રાત્રે નવ વાગ્યે કાઈસારિયા જવા માટે બસો સિપાઈઓ, સિતેર ઘોડેસવારો તથા બસો ભાલદારોને તૈયાર કરો. 24 પાઉલ માટે પણ એક ઘોડો તૈયાર કરો જેથી તે રાજ્યપાલ ફેલીક્સ પાસે સહીસલામત રીતે લઇ જવામાં આવે."
25 તેણે નીચે પ્રમાણે પત્ર લખ્યો.
26 માનવંત રાજ્યપાલ ફેલીક્સને
કલોડિયસ લિશિયાસની
સલામ!
27 આ માણસને યહૂદીઓએ પકડયો હતો અને તેઓ તેને મારી નાંખવાના હતા, પણ હું મારા સિપાઈઓ સાથે ગયો અને તેને છોડાવ્યો, કેમકે મને ખબર પડી કે તે રોમન નાગરિક છે. 28 હું જાણવાં માગતો હતો તેઓ તેના પર શા માટે આરોપ મૂકી રહ્યાં છે તેથી હું તેને તેમની ન્યાયસભામાં લાવ્યો. 29 મને માલૂમ પડયું કે આ આરોપ તેમના નિયમશાસ્ત્ર વિશેનાં પ્રશ્નો સંબંધી હતા, પરંતુ કેદ કે મરણદંડને યોગ્ય એવો કોઈ આરોપ નથી. 30 જયારે મને ખબર પડી કે આ માણસ વિરુધ્ધ કાવતરું ઘડવામાં આવ્યું છે, ત્યારે મે તરત જ તમારી પાસે તેને મોકલ્યો. અને તેના પર આરોપ મૂકનારાઓને પણ તેની વિરુધ્ધ પોતાનો દાવો રજૂ કરવાનો આદેશ આપ્યો.
31 તે મુજબ સિપાઈઓ તેમના હુકમ પ્રમાણે રાત્રે પોતાની સાથે પાઉલને અંતિપાત્રિસ લઇ ગયા. 32 બીજે દિવસે તેઓએ ઘોડે સવારોને તેની સાથે જવા દીધા જયારે તેઓ કિલ્લામાં પાછા ગયા. 33 જયારે ઘોડેસવારો કાઈસારિયા આવ્યા ત્યારે તેઓએ પત્ર રાજ્યપાલને આપ્યો અને પાઉલને પણ તેને સોંપ્યો. 34 રાજ્યપાલે તે પત્ર વાંચ્યો અને પૂછયું કે, "તે ક્યાંં પ્રાંતનો વતની છે? તેને ખબર પડી કે તે કિલીકિયાનો છે." 35 તેણે કહ્યું, "જયારે તારા ફરીયાદીઓ આવશે ત્યારે હું તારી વાત સાંભળીશ." પછી તેણે હેરોદના મહેલમાં ચોકીપહેરા નીચે રાખવાનો હુકમ કર્યો.