Publicidade

Atos 15

યરુશાલેમમાં મહાસભા

1 કેટલાક લોકો યહૂદિયાથી અંત્યોખમાં આવ્યા વિશ્વાસીઓને શિક્ષણ આપવાં લાગ્યા કે, "જયાં સુધી તમે મોશેના નિયમ પ્રમાણે સુન્નત ન કરાવો તો તમે તારણ પામી શકતા નથી." 2 આથી પાઉલ અને બાર્નાબાસને તેમની સાથે ઉગ્ર તકરાર અને ચર્ચા થઈ. તેથી પાઉલને, બાર્નાબાસને બીજા કેટલાક વિશ્વાસીઓ સાથે આ પ્રશ્ર અંગે પ્રેષિતો અને વડીલો પાસે સલાહ મેળવવાં માટે યરુશાલેમ જવા માટે નિયુક્ત કયાઁ. 3 મંડળીએ તેમને વિદાય આપી. ફિનીકિયા તથા સમરૂનના થઇને જતાં તેઓએ બિનયહૂદીઓ કેવી રીતે બદલાયા છે તે તેઓને જણાવ્યું. એ સાંભળીને બધાં વિશ્વાસીઓને ઘણો આનંદ થયો. 4 જયારે તેઓ યરુશાલેમ આવ્યા, ત્યારે પ્રેષિતો અને વડિલોનું મંડળીએ સ્વાગત કયુઁ, અને તેઓની મારફતે ઈશ્વરે જે કાર્ય કર્યું હતું તેનો અહેવાલ કહી સંભળાવ્યો.

5 પરંતુ ફરોશી પક્ષના કેટલાક વિશ્વાસીઓએ ઉભાં થઇને કહ્યું કે, "બિનયહૂદીઓની સુન્નત કરાવવી જ જોઈએ અને મોશેના નિયમશાસ્ત્રનું પાલન કરાવવું જ જોઈએ."

6 તેથી પ્રેષિતો અને આગેવાનો આ અંગે વિચારણાં કરવા એકત્ર થયા. 7 ઘણી ચર્ચા પછી પિતરે ઊભા થઈને તેઓને કહ્યું, "ભાઈઓ, તમે જાણો છો કે થોડાં સમય પહેલાં બિનયહૂદીઓ પણ સુસમાચાર સાંભળે અને વિશ્વાસ કરે તે માટે ઈશ્વરે તમારાંમાંથી મને પસંદ કર્યો. 8 અંતઃકરણ પારખનાર ઈશ્વરે તેમને પવિત્ર આત્મા આપીને તેમનો સ્વીકાર કયોઁ જેમ તેમણે આપણને આપ્યો. 9 તેમણે તેઓની અને આપણી વચ્ચે કોઈ ભેદભાવ રાખ્યો નથી, કેમકે તેમણે તેમના હ્રદય વિશ્વાસ દ્વારા શુધ્ધ કર્યા. 10 તો પછી જે ભારે ઝૂંસરી આપણે કે આપણા પૂર્વજો ઊંચકી શકવા સમર્થ ન હતા તો બિનયહૂદીઓની ગરદન પર એવી ઝૂંસરી મૂકીને તમે શા માટે ઈશ્વરની કસોટી કરો છો? 11 ના! આપણે માનીએ છીએ કે જેમ તેઓ તારણ પામે છે તેમ આપણે પણ પ્રભુ ઈસુની કૃપા વડે તારણ પામીશું."

12 આખી સભા શાંત થઇ ગઇ. પછી પાઉલ અને બાર્નાબાસે તેઓની મારફતે ઈશ્વરે બિનયહૂદીઓમાં જે ચમત્કારો કર્યા હતા તે વિશે તેઓએ સાંભળ્યું. 13 જયારે તેઓએ બોલવાનું પૂરું કર્યું, ત્યારે યાકોબે કહ્યું, "ભાઈઓ, મારું સાંભળો: 14 સિમોને આપણને સમજાવ્યું કે કેવી રીતે ઈશ્વરે બિનયહૂદીઓ માંથી પોતાના નામને માટે એક પ્રજા પસંદ કરી. 15 પ્રબોધકોના શબ્દો આ સાથે સુસંગત છ, જેમ લખેલું છે કે:

16 " ‘ત્યાર પછી હું પાછો આવીશ

અને દાવિદનો તુટી ગયેલો મંડપ પાછો બાંધીશ.

તે ખંડેરને હું સમારીશ, અને તેને પાછો ઉભો કરીશ

17 જેથી બાકીનાં લોકો પ્રભુને શોધે,

વિદેશીઓ જેઓ મારા નામથી ઓળખાય છે,’

પ્રભુ કહે છે, જેઓ આ કામો કરે છે.

18 પહેલેથી આ બાબતો જાણીતી છે.

19 "તે મારો ન્યાય છે, જેથી વિદેશીઓમાંથી જેઓ ઈશ્વર તરફ ફરે છે, તેઓને આપણે મુશ્કેલીમાં ન મુકવાં જોઈએ. 20 તેને બદલે આપણે તેઓને લખી જણાવીએ કે તેઓ વ્યભિચારથી દૂર રહે. મૂર્તિઓને ધરાવેલો ખોરાક ન ખાય, ગૂંગળાવીને મારેલાં પ્રાણીઓનાં માંસથી અને લોહીથી દુર રહે. 21 કેમકે પ્રાચીનકાળથી મોશેનાં નિયમશાસ્ત્રનો બોધ આપવામાં આવે છે અને દરેક શહેરનાં યહૂદી સભાસ્થાનોમાં અને દર વિશ્રામવારે વાંચવામાં આવે છે."

વિદેશી વિશ્વાસીઓને કાઉન્શિલનો પત્ર

22 પછી પ્રેષિતોએ, અને વડીલોએ, સમગ્ર મંડળીએ ઠરાવ કયોઁ કે પાઉલ તથા બાર્નાબાસની સાથે તેઓ પોતાના માણસો પસંદ કરીને તેઓને અંત્યોખ મોકલે અને તેઓ ત્યાં આ નિર્ણયની જાણ કરે. તેઓએ યહૂદા (જે બસઁબાસ તરીકે ઓળખાતો હતો) તેને અને સિલાસને કે જેઓ વિશ્વાસીઓમાં આગેવાન હતા. 23 તેઓની મારફતે નિચે પ્રમાણે પત્ર મોકલ્યો:

પ્રેષિતો, વડીલો, તમારા ભાઈઓ:

અંત્યોખ, સિરીયા અને કિલીકિયામાંના વિદેશી વિશ્વાસીઓને,

શુભેચ્છા!

24 અમારા જાણવામાં આવ્યું છે કે આપણામાંથી કેટલાક બહાર જઈને અમારી આજ્ઞા વગર તમને ગૂંચવી નાખે છે, તેઓ જે કહે છે તેનાથી તમારા મનોને ભરમાવે છે. 25 તેથી સર્વાનુમતે અમે કેટલાક માણસોને પસંદ કરીને અમારા પ્રિય મિત્રો પાઉલ અને બાર્નાબાસ સાથે તેઓને મોકલ્યા. 26 એ માણસો કે જેઓએ પ્રભુ ઈસુ મસીહને ખાતર પોતાના જીવન જોખમમાં મૂક્યાંં છે. 27 માટે અમે યહૂદા અને સિલાસને મોકલીએ છીએ. તેઓ પોતે અમે જે લખીયે છીએ તે તમને મોંઢામોઢ કહેશે. 28 પવિત્ર આત્માને તથા અમને એ યોગ્ય લાગ્યું છે કે અગત્યની વાતો કરતા વધુ બોજ તમારાં પર નાંખવો નહિ: 29 એટલે કે તમારે મૂર્તિઓને ધરાવેલાં ખોરાકથી, લોહીથી, ગૂંગળાવીને મારેલાં પ્રાણીઓથી અને વ્યભિચારથી દૂર રહેવું. જો તમે આનાથી દૂર રહેશો તો તમે સારું થશે.

વિદાય.

30 પછી માણસોને વિદાય કરીને અંત્યોખ ગયા, ત્યાં તેઓએ મંડળીને એકઠી કરીને પત્ર આપ્યો. 31 લોકોએ વાંચીને આનંદ કર્યો કેમકે તે ઉત્તેજનદાયક સંદેશ હતો. 32 યહૂદા અને સિલાસ, કે જેઓ પ્રબોધકો હતા, તેઓએ ઘણું ઉતેજન આપીને વિશ્વાસીઓને દ્રઢ કર્યા. 33 ત્યાં થોડો સમય વિતાવ્યા પછી, તેઓને વિશ્વાસીઓએ શાંતિના આશીવાઁદની સાથે જેઓએ મોકલ્યા હતા તેઓની પાસે પાછા વિદાય કર્યા. 34 પણ સિલાસે ત્યાં જ રહેવાનું પસંદ કર્યું. 35 પણ પાઉલ અને બાર્નાબાસ અંત્યોખમાં રોકાયા, જ્યાં તેઓએ અને બીજાઓએ બોધ અને પ્રભુના વચનનું શિક્ષણ આપ્યું.

પાઉલ અને બાર્નાબાસ વચ્ચે મતભેદ

36 કેટલાક સમય બાદ પાઉલે બાર્નાબાસને કહ્યું કે, "ચાલો આપણે પાછા જઈએ અને અગાઉ જે જે શહેરોમાં પ્રભુના વચનનો ઉપદેશ આપેલો છે ત્યાંના વિશ્વાસીઓની મુલાકાત લઈએ અને જોઈએ કે તેઓ શું કરી રહ્યા છે." 37 બાર્નાબાસ યોહાન, કે જે માર્ક કહેવાય છે તેને પણ સાથે લેવા માગતો હતો, 38 પણ પાઉલને તેને સાથે લેવાનું યોગ્ય લાગ્યું નહિ, કેમકે તે તેઓને પામ્ફૂલિયાથી મૂકીને જતો રહ્યો અને તેઓની સાથે કામમાં લાગુ રહ્યો ન હતો. 39 તેઓ વચ્ચે એવો ઉગ્ર મતભેદ હતો કે તેઓ એકબીજાથી અલગ પડયાં. બાર્નાબાસ માર્કને લઈને વહાણમાં બેસીને સાયપ્રસ ચાલ્યો ગયો. 40 પણ પાઉલ સિલાસને લઇ ગયો. વિશ્વાસીઓએ ઈશ્વરની કૃપાને તેઓને સોંપ્યાં. 41 તે સિરીયા અને કિલીકિયા જઈને મંડળીઓને દ્રઢ કરતા ફર્યા.

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-18_14-04-22-