1 જયારે પચાસમા દિવસનું પર્વ આવ્યું, ત્યારે તેઓ બધા એક જગ્યાએ એકત્ર થયા હતા, 2 એકાએક આકાશમાંથી આંધીના જેવો ઘુઘવાટ જેવો અવાજ થયો, અને જયાં તેઓ બેઠા હતા તે આખું ઘર ભરાય ગયું. 3 જવાળા જેવી અગ્નિની છુટ્ટી પડતી જીભો તેઓને દેખાઈ, અને આવીને તેઓ પ્રત્યેક પર બેઠી. 4 તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા અને જેમ પવિત્ર આત્માએ તેમને બોલવાની શકિત આપી તેમ તેઓ અન્ય ભાષાઓ બોલવાં લાગ્યા.
5 હવે દરેક આકાશ નિચેના દેશોમાંથી ઇશ્વરનો ભય રાખનાર ધાર્મિક યહૂદીઓ યરુશાલેમમાં રહેતા હતા. 6 જયારે તેઓએ આ અવાજ સાંભળ્યો, ત્યારે આવેલા બધા સ્તબ્ધ થઈ ગયા, કેમકે દરેકે પોતાની જ ભાષાઓમાં બોલતાં સાંભળ્યા. 7 વિસ્મિત થઇને પૂછવાં લાગ્યા કે, "શું આ બોલનારા બધા ગાલીલના નથી? 8 ત્યારે કેવી રીતે આપણે તેઓને આપણી માતૃભાષામાં બોલતા સાંભળીએ છીએ? 9 પારથીઓ, માદીઓ, અને એલામીઓ; મેસોપોટેમિયાનાં રહેવાસીઓ, યહૂદિયાના, અને કાપાદોકિયાના, પોંતસના, અને આસિયાના, 10 ફ્રુગિયાનાં, અને પામ્ફૂલિયાના, ઈજિપ્તના, અને લિબિયા બાજુના, કુરેની ભાષી વિસ્તારનાં, રોમનનાં પ્રવાસીઓ, 11 (યહૂદી અને બનેલાં યહૂદીઓ) ક્રીતીઓ અને આરબો, આપણે સર્વને ઈશ્વરના પરાક્રમી કામો વિષે આપણી માતૃભાષાઓમાં બોલતાં સાંભળીએ છીએ!" 12 તેઓ વિસ્મય પામ્યા અને ગુંચવણમાં પડી જઈને એકબીજાને પૂછવાં લાગ્યા, "આનો શો અર્થ હશે?"
13 પણ કેટલાકે તેમની મશ્કરી કરીને કહ્યું કે, "તેઓએ ખૂબ દારૂ પીધો છે."
14 પછી અગિયારની સાથે પિતર ઉભો થયો, મોટેથી બોલીને ટોળાને સંબોઘ્યું: "હે યહૂદી ભાઈઓ અને યરુશાલેમનાં રહેવાસીઓ; મને આ સમજાવવા દો; હું જે કહું છું તે ઘ્યાનથી સાંભળો. 15 જેમ તમે ધારો છો તેમ આ માણસો પીધેલાં નથી, હજુ તો સવારનાં નવ વાગ્યાં છે! 16 ના, આ તો યોએલ પ્રબોધકે જે ભવિષ્યકથન કહ્યું હતું તે છે:
17 " ‘ઈશ્વર કહે છે કે,
છેલ્લા સમયમાં, હું સર્વ લોકો પર મારો આત્મા રેડી દઈશ.
તમારાં દીકરા-દીકરીઓ પ્રબોધ કરશે.
તમારાં જુવાનોને સંદર્શનો થશે,
તમારાં વૃધ્ધોને સ્વપ્નો આવશે.
18 તે દિવસોમાં હું મારા સેવકો, બન્ને પુરુષો તથા સ્ત્રીઓ પર,
મારો આત્મા રેડી દઈશ અને,
તેઓ પ્રબોધ કરશે.
19 હું ઉપર આકાશમાં અદભુત કૃત્ય તથા નિચે પૃથ્વી પર ચમત્કારો દેખાડીશ,
લોહી, તથા
અગ્નિ અને ધુમાડાનાં ગોટેગોટા દેખાડીશ.
20 પ્રભુનો એ મહાન તથા ગૌરવી દિવસ આવે તે પહેલાં
સૂર્ય અંધકારમય અને
ચંદ્ર લોહી થઈ જશે.
21 અને જે કોઇ પ્રભુને નામે વિનંતી કરશે,
તે તારણ પામશે.’
22 "ઇઝરાયેલી માણસો, તમે આ સાંભળો: ઈશ્વરે પસંદ કરેલાં નાઝરેથના ઈસુ મારફતે જે મહાન ચમત્કારો કરાવીને સર્વ લોકો આગળ એ સ્પષ્ટ કર્યું કે, તે ઈશ્વરના પસંદ કરેલાં છે, તમે એ જાણો છો, 23 આ માણસને ઈશ્વરની યોજના અને પૂર્વજ્ઞાન પ્રમાણે તમને સોંપવામાં આવ્યા હતા, અને તમે દુષ્ટ માણસોની મદદથી તેમને ક્રૂસે જડાવીને ખિલ્લા મારીને મારી નાંખ્યાં; 24 પણ ઈશ્વરે તેમને મરણની વેદનામાંથી છોડાવીને સજીવન કર્યા. કેમકે મૃત્યુ તેમને બંધનમાં રાખી શકે એ અશક્ય હતું. 25 દાવિદે તેમના વિશે કહ્યું:
"મેં પ્રભુને હંમેશા મારી સમક્ષ જોયા છે
કેમકે તે મારે જમણે હાથે છે,
તેથી હું ડગીશ નહિ,
26 તેથી મારું હૃદય આનંદથી ભરપૂર છે; અને મારી જીભ આનંદ કરે છે;
મારો દેહ પણ આશામાં આરામ કરશે,
27 કેમકે તમે મને હાદેસમાં રહેવા દેશો નહિ,
તમારાં પવિત્રને સડો જોવા દેશો નહિ.
28 તમે મને જીવનના માગોઁ જણાવ્યાં છે. તમે તમારી હાજરીમાં મને આનંદથી ભરી દેશો.
29 "ઇઝરાયેલીઓ, હું તમને ખાતરીપૂવઁક કહી શકું છું કે પૂવઁજ દાવિદ મુત્યુ પામ્યા અને દફનાવામાં આવ્યા અને તેની કબર હાલ આપણી મધ્યે મોજૂદ છે. 30 પણ તે પ્રબોધક હતો, અને તેણે જાણ્યું કે ઈશ્વરે વચન આપ્યું હતું કે તેના વંશજોમાંનો એકને તેના રાજ્યાસન પર બેસાડશે, 31 ભવિષ્યમાં શું થવાનું છે તે જાણીને તેણે મસીહનાં પુનરુત્થાન વિશે આગાહી કરતાં તેણે કહ્યું કે, તેમને હાદેસમાં રહેવા દેવામાં આવ્યા નહિ, ને તેમનાં શરીરે કોહવાણ જોયું નહિ. 32 એ ઈસુને ઈશ્વરે સજીવન કયાઁ છે, અને અમે સર્વએ વાતનાં સાક્ષી છીએ. 33 ઈશ્વરના જમણે હાથે ઉપર લઇ લેવામાં આવ્યા, અને તેમણે વચન આપ્યા પ્રમાણે પિતા પાસેથી પવિત્ર આત્મા પ્રાપ્ત કયોઁ છે અને તમે જે જોઈ રહ્યા છો ને સાંભળી રહ્યા છો તે તેમણે રેડી દીધું છે. 34 કેમકે દાવિદ કદી આકાશમાં ચઢી ગયો ન હતો, છતાં તેણે કહ્યું કે,
" ‘પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે:
"મારા જમણા હાથે બેસ.
35 જયાં સુધી હું તારા શત્રુઓને,
તારે માટે પાયાસન ન કરું ત્યાં સુધી." ’
36 "તેથી જ ઇઝરાયેલનાં દરેકે ખચીત જાણવું કે, આ ઈસુ કે જેમને તમે ક્રૂસે જડી દીધા, તેમને ઈશ્વરે પ્રભુ તથા મસીહ બનાવ્યાં છે."
37 જયારે લોકોએ આ સાંભળ્યું ત્યારે તેઓના હૃદય વીંધાય ગયા. અને તેઓએ પિતર તથા બીજા પ્રેષિતોને કહ્યું, "ભાઈઓ, અમારે શું કરવું જોઈએ?"
38 પિતરે જવાબ આપ્યો, "પસ્તાવો કરો અને ઈસુ મસીહને નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા લે, જેથી તમને પાપોની માફી મળે અને તમને પવિત્ર આત્માનું દાન પ્રાપ્ત થશે; 39 આ વચન તમારાંં માટે અને તમારાં સંતાનોને માટે તથા જેઓ દૂર છે તેઓને માટે છે, જેમને આપણા ઈશ્વર પ્રભુ બોલાવશે તે બધા માટે છે."
40 બિજા ઘણા વચનથી ચેતવણી આપતાં વિનંતી કરી કે, "આ દુષ્ટ પેઢીથી પોતાને બચાવો." 41 જેઓએ વાત સ્વીકારી તેઓએ બાપ્તિસ્મા લીધું. અને તે દિવસે સંખ્યા આશરે ત્રણ હજાર લોકો તેમનામાં ઉમેરાયા.
42 તેઓ પ્રેષિતોના શિક્ષણમાં, સંગતમાં, અને પ્રભુભોજનમાં અને પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યાં. 43 પ્રેષિતો દ્રારા કરવામાં આવેલા ઘણાં અદભુત કૃત્યો તથા ચમત્કારોથી બધા ભયભીત થયા. 44 સર્વ વિશ્વાસીઓ સંગતમાં રહેતાં અને તેઓની બધી વસ્તુઓ સહિયારી હતી. 45 તેઓ પોતાની મિલકત વેચી નાંખતા, અને જરૂરિયાતમંદ લોકોને વહેંચી આપતાં. 46 તેઓ દરરોજ મંદિરનાં આંગણાંમાં નિયમિત એકઠા મળીને ઘેર ઘેર રોટલી ભાંગીને આનંદ તથા નિખાલસ મનથી ભોજન કરતા. 47 ઈશ્વરની સ્તુતિ કરતા અને બધા લોકો તેમના પર પ્રસન્ન હતા, અને પ્રભુ દરરોજ તારણ પામનારાઓને તેઓમાં ઉમેરતા જતા હતા.