Publicidade

Atos 9

શાઉલનું બદલાણ

1 શાઉલ હજુ પણ પ્રભુના શિષ્યોને મારી નાંખવાની ધમકી આપતો હતો. તે પ્રમુખયાજક પાસે ગયો. 2 અને દમાસ્કસમાંના સભાસ્થાનો પર પત્રોની માગણી કરી જો તેને એ માગઁનો કોઈ પણ માણસ મળે ભલે તે પુરુષ કે સ્ત્રી હોય, તેમને બંદિવાન બનાવીને યરુશાલેમ લઈ આવે. 3 જયારે તે પોતાની મુસાફરી દરમિયાન દમાસ્કસની નજીક આવ્યો ત્યારે અચાનક તેની આસપાસ આકાશમાંથી એક પ્રકાશ ચમકયો, 4 તે જમીન પર પડી ગયો, અને તેની સાથે બોલતી એક વાણી તેણે સાંભળી: "શાઉલ! શાઉલ! તું મને કેમ સતાવે છે?"

5 શાઉલે પૂછયું, "પ્રભુ! તમે કોણ છો?"

તેમણે જવાબ આપ્યો, "હું ઈસુ છું, જેને તું સતાવી રહ્યો છે 6 હવે, તું ઊઠીને શહેરમાં જા અને તારે શું કરવું તે તને કહેવામાં આવશે."

7 શાઉલની સાથે ચાલનારાં માણસો અવાક બની ગયા. કારણ કે તેમને અવાજ સંભળાયો, પણ કોઈને જોયા નહિ. 8 પછી શાઉલ જમીન પરથી ઊભો થયો. તેણે આંખો ખોલી, પણ તે કશું જોઈ શકયો નહિ. એટલે તેનો હાથ પકડીને તેઓ તેને દમાસ્કસમાં દોરી ગયા. 9 ત્રણ દિવસ સુધી તે અંધ અવસ્થામાં રહ્યો. અને તેણે કશું જ ખાધું પીધું નહિ.

10 હવે દમાસ્કસમાં અનાન્યા નામે એક શિષ્ય હતો. પ્રભુએ તેને દર્શન દઈને કહ્યું, "અનાન્યા!"

તેણે જવાબ આપ્યો, "હા પ્રભુ!"

11 પ્રભુએ તેને કહ્યું, "ઊઠીને પાધરા નામનાં રસ્તામાં જઈને યહૂદા નામનાં માણસના ઘરે જા અને તાર્સસનાં શાઉલ વિષે પૂછ, જો તે પ્રાર્થના કરે છે. 12 તેણે દર્શનમાં જોયું છે કે, અનાન્યા નામે એક માણસ આવીને તેના પર હાથ મૂકીને પ્રાર્થના કરે, જેથી તે દેખતો થાય."

13 અનાન્યાએ ઉત્તર આપ્યો, "પ્રભુ! મેં આ માણસ વિશે ઘણી વાતો સાંભળી છે અને યરુશાલેમમાંના તમારા પવિત્ર લોકો પર તેણે જે દુષ્ટતા કરી છે તેના વિશે પણ સાંભળ્યું છે. 14 મુખ્ય યાજકો પાસેથી અધિકાર લઇને તે અહીં આવ્યો છે કે જેઓ તમારા નામ પર વિશ્વાસ કરે છે તેઓને પકડે."

15 પરંતુ પ્રભુએ અનાન્યાને કહ્યું, "જા! આ માણસને મેં પસંદ કયોઁ છે, જેથી તે બિનયહૂદીઓ તેમના રાજાઓ તથા ઇઝરાયેલી લોકોને મારું નામ પ્રગટ કરી શકે. 16 અને મારા નામને લીધે તેને કેટલું બધું સહન કરવું પડશે તે હું તેને બતાવીશ."

17 ત્યારે અનાન્યા ગયો અને ઘરમાં અંદર ગયો, અને શાઉલ પર હાથ મૂકીને કહ્યું, "ભાઈ શાઉલ, માર્ગે આવતાં તને જેમણે દર્શન દીધું તે પ્રભુ ઈસુએ મને અહીં મોકલ્યો છે, એ માટે કે તું ફરીથી તું દેખતો થાય અને પવિત્ર આત્માથી ભરપૂર થાય." 18 એ જ વખતે તેની આંખો પરથી છાલા જેવું કાંઈક ખરી પડ્યું અને તે ફરીથી દેખતો થયો, પછી તે ઉભો થયો ને બાપ્તિસ્મા પામ્યો. 19 અને થોડું ખાધા પછી તે ફરીથી તેનામાં શકિત આવી.

શાઉલ દમાસ્કસમાં અને યરૂશાલેમમાં

શાઉલ કેટલાક દિવસો સુધી શિષ્યો સાથે તે દમાસ્કસમાં રહ્યો. 20 તેણે તરત જ સભાસ્થાનમાં ઉપદેશ આપવાનું શરૂ કયુઁ, "ઈસુ એ જ ઈશ્વરપુત્ર છે." 21 તેને સાંભળનારા સર્વ આશ્ચર્ય પામ્યા અને કહ્યું, "શું આ એ જ માણસ નથી? જેને યરુશાલેમમાં આ નામ લેનારાઓનો નાશ કર્યો હતો? અને શું તે અહીં તેઓને પકડીને મુખ્ય યાજકો પાસે લઈ જવા આવ્યો નથી?" 22 છતાં શાઉલ વધુને વધુ પ્રબળ બનતો ગયો. તેણે ઈસુ એ જ મસીહ છે તે સાબિત કરીને દમાસ્કસમાંના યહૂદીઓને ગૂંચવી નાખ્યા.

23 ઘણા દિવસો બાદ યહૂદીઓએ તેને મારી નાખવાનું કાવતરું ઘડયું. 24 પણ શાઉલને તેમની આ યોજનાની ખબર પડી ગઇ તેને મારી નાખવા સારું તેઓ રાતદિવસ શહેરનાં દરવાજાઓને ચોકી કરતા હતા. 25 પણ તેના શિષ્યોએ તેને રાત્રે ટોપલામાં બેસાડીને કોટ પરના બાકોરામાંથી નીચે ઉતારી દીધો.

26 જયારે તે યરુશાલેમમાં આવ્યો ત્યારે તેણે શિષ્યોની સાથે ભળી જવા પ્રયત્ન કર્યા, પરંતુ તેઓ તેનાથી ડરતા હતા; કારણ કે તે ખરેખર શિષ્ય છે એવું તેઓ માનતા ન હતા. 27 પછી બાર્નાબાસ તેને પ્રેષિતોની પાસે લઈ ગયો અને તેઓને કહ્યું કે શાઉલે પોતાની મુસાફરી દરમિયાન પ્રભુને જોયા હતા અને પ્રભુએ તેની સાથે વાત કરી હતી અને ઈસુના નામે દમાસ્કસમાં તેણે હિમતથી ઉપદેશ આપ્યો હતો. 28 તેથી શાઉલ તેમની સાથે યરુશાલેમમાં રહ્યો અને પ્રભુના નામે હિમતથી પ્રચાર કરતો હતો. 29 તે બોલતો અને ગ્રીક યહૂદીઓ સાથે વાદવિવાદ કરતો પણ તેઓએ તેને મારી નાખવા પ્રયત્ન કયોઁ. 30 જયારે વિશ્વાસીઓએ આ સાંભળ્યું, ત્યારે તેઓ તેને કાઈસારિયા લઈ ગયા અને ત્યાંથી તેને તાર્સસ મોકલી દીધો.

31 પછી યહૂદિયા, ગાલીલ અને સમરૂનમાંની મંડળીઓમાં શાંતિ ફેલાઈ અને તે મજબૂત બની. પ્રભુના ભયમાં તથા પવિત્ર આત્માથી ઉતેજન પામતા અને તેમની સંખ્યામાં વધારો થયો.

એનિયસ અને દોરકાસ

32 પિતર આખા દેશમાં ફરતો હતો, ત્યારે તે લુદામાં વસતાં પ્રભુના લોકોને મળવા ગયો. 33 ત્યાં તેને એનિયાસ નામે એક માણસ મળ્યો, જે લકવાં ગ્રસ્ત હતો અને તે આઠ વર્ષથી પથારીવશ હતો. 34 પિતરે તેને કહ્યું, "એનિયાસ, ઈસુ મસીહ તને સાજો કરે છે. ઊઠ અને તારું બિછાનું વ્યવસ્થિત કર." 35 ત્યારે લુદા અને શારોનના બધા રહેવાસીઓ એ જોઈને પ્રભુ તરફ વળ્યા.

36 હવે જોપ્પામાં એક શિષ્યા રહેતી હતી. તેનું નામ તાબીથા એટલે દોરકસ હતું. તે હંમેશાં ભલાઈનાં કામો કરતી અને ગરીબોને મદદ કરતી હતી. 37 આ સમયે તે બિમાર પડી અને મૃત્યુ પામી. લોકોએ તેને નવડાવીને ઉપરની મેડી પર સુવાડી. 38 લુદા જોપ્પાની નજીક હતુ તેથી જયારે શિષ્યોએ સાંભળ્યું કે પિતર લુદામાં છે, ત્યારે તેઓએ બે માણસો તેની પાસે મોકલ્યા, "અને વિનંતી કરી કે મહેરબાની કરીને અહીં આવો."

39 પિતર તેઓની સાથે ગયો, અને જયારે તે પહોંચ્યો ત્યારે તેઓ તેને ઉપરની મેડી પર લઈ ગયા. બધી વિધવાઓ રુદન કરતી તેની આસપાસ ઊભી હતી. દોરકસ તેઓની સાથે હતી ત્યારે તેણે જે ઝભ્ભા તથા બીજા વસ્ત્રો બનાવ્યાં હતાં તે તેને બતાવવા લાગી.

40 પિતરે સર્વને તે ઓરડામાંથી બહાર કાઢયાં અને ઘુંટણે પડીને પ્રાર્થના કરી. પછી મૃતદેહ તરફ ફરીને તેણે કહ્યું, "તાબીથા! ઊઠ!" ત્યારે તેણે આંખો ખોલી અને પિતરને જોઈને તે બેઠી થઈ. 41 પિતરે તેને હાથ આપીને ઉઠાડી, પછી તેણે વિશ્વાસીઓને, ખાસ કરીને વિધવાઓને બોલાવીને તેમને જીવતી દેખાડી. 42 આખા જોપ્પામાં આ વાતની ખબર પડી, અને ઘણાં લોકોએ પ્રભુ પર વિશ્વાસ કર્યા. 43 પછી જોપ્પામાં સિમોન નામે એક ચમારને ઘરે પિતર ઘણાં દિવસો સુધી રહ્યો.

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-15_21-32-39-