1 પછી મેં "નવું આકાશ તથા નવી પૃથ્વી જોયાં," કારણ કે પ્રથમનાં આકાશ તથા પ્રથમની પૃથ્વી જતાં રહ્યાં હતાં, અને હવે સમુદ્ર રહ્યો ન હતો. 2 અને મેં પવિત્ર નગર, નવા યરુશાલેમને ઈશ્વરની પાસેથી સ્વર્ગમાંથી નીચે આવતું જોયું, જેમ કન્યા પોતાના વરને સારું શણગારવામાં આવેલી હોય તેમ તે તૈયાર કરેલું હતું. 3 રાજ્યાસન પરથી મેં એક મોટો પોકાર સાંભળ્યો, "જુઓ, ઈશ્વરનું નિવાસસ્થાન હવે લોકોની મધ્યે છે. તે તેઓની સાથે રહેશે, તેઓ તેમના લોક થશે, અને ઈશ્વર પોતે તેઓની સાથે રહેશે અને તેમનો ઈશ્વર થશે. 4 તે તેઓની આંખોનાં દરેક આંસુ લૂંછી નાંખશે. હવે પછી મરણ, દુઃખ, વિલાપ કે વેદના થશે નહિ. કેમકે તે બધું જુનું સદાને માટે જતું રહ્યું છે."
5 રાજ્યાસન પર જે બિરાજમાન હતા તેમણે કહ્યું, "જુઓ, હું સઘળું નવું બનાવું છું!" પછી તેમણે મને કહ્યું, "તું આ લખી લે, કેમકે આ વચનો વિશ્વાસયોગ્ય તથા સત્ય છે."
6 તેમણે મને કહ્યું: "સંપૂર્ણ થયું છે! હું આલ્ફા તથા ઓમેગા, પ્રથમ તથા છેલ્લો છું. હું તરસ્યાને જીવનના પાણીનાં ઝરામાંથી વિના મૂલ્યે આપીશ. 7 જે જીતે છે તે આ સવઁનો વારસો પામશે, અને હું તેમનો ઈશ્વર થઈશ અને તેઓ મારા બાળકો થશે. 8 પરંતુ બીકણો, અવિશ્વાસીઓ, ભ્રષ્ટ, ખૂનીઓ, વ્યભિચારીઓ, જાદુક્રિયા કરનારાં, મૂર્તિપૂજકો તથા સર્વ જૂઠાઓને અગ્નિ તથા ગંધકથી બળતી ખાઈમાં ફેંકવામાં આવશે. એ જ બીજું મરણ છે."
9 પછી જે સાત દૂતોની પાસે છેલ્લા સાત અનથોઁથી ભરેલાં સાત પ્યાલા હતાં, અને મને આવીને કહ્યું, "આવ, હું તને કન્યા એટલે હલવાનની પત્ની બતાવીશ." 10 અને તે મને આત્મામાં એક ઊંચા પર્વતના શિખર પર લઈ ગયો, અને મને પવિત્ર નગર યરુશાલેમને ઈશ્વર પાસેથી આકાશમાંથી ઊતરતું જોયું. 11 તે ઈશ્વરના ગૌરવથી ચમકતું હતું, અને તેનું તે જ યાસપિસ જેવા અમૂલ્ય રત્ન જેવું, સ્ફટિક જેવું ઝળહળતું હતું. 12 તેનો કોટ વિશાળ અને ઊંચો હતો, અને બાર દૂતો તેના બાર દરવાજે હતા. તે દરવાજા પર ઇઝરાયેલનાં બાર કુળનાં નામ લખવામાં આવ્યા હતાં. 13 તેની પૂર્વ તરફ ત્રણ દરવાજા, ઉત્તર તરફ ત્રણ, પશ્ચિમ તરફ ત્રણ અને દક્ષિણ તરફ ત્રણ દરવાજા હતા. 14 શહેરને કોટનાં પાયામાં બાર પથ્થરો હતા, અને તે પર હલવાનના બાર પ્રેષિતોનાં નામ લખાયેલાં હતાં.
15 જે દૂત મારી સાથે બોલતો હતો, તેની પાસે તે નગરનું, તેના દરવાજાનું તથા તેના કોટનું માપ લેવા સારું સોનાનો માપદંડ હતો. 16 નગર ચોખડું છે, એટલે જેટલી તેની લંબાઈ, તેટલી તેની પહોળાઈ છે. તેણે માપદંડથી નગરનું માપ લિધું અને તેની લંબાઈ તથા પહોળાઈ તથા ઊંચાઈ એકસરખી બે હજાર ચારસો કિલોમીટરની હતી. 17 પછી તેણે તેના કોટનું માપ લીધું, તે માણસના માપ પ્રમાણે, એટલે દૂતના માપ પ્રમાણે ગણતાં એકસો ચુમ્માળીસ હાથ થયું. 18 તેનો કોટ યાસપિસનો હતો, અને તે નગર કાચના જેવું શુધ્ધ સોનાનું હતું. 19 તે શહેરનાં કોટના પાયા પથ્થરનાં બાર સ્તરમાં અમૂલ્ય રત્નોથી સજાયેલાં હતા. પહેલો યાસપિસ, બીજો નીલમ, ત્રીજો માણેક, ચોથો લીલમ, 20 પાંચમો અકીક, છઠ્ઠો લાલ, સાતમો તૃણમણિ, આઠમો પિરોજ, નવમો પોખરાજ, દસમો લસણિયો, અગિયારમો શનિ, બારમો યાકૂત. 21 બારેય દરવાજા બાર મોતીનાં હતા. દરેક દરવાજો એક એક મોતીનો હતો; નગરનો રસ્તો પારદર્શક કાચ જેવા શુધ્ધ સોનાનો બનેલો હતો.
22 નગરમાં કોઈ જગ્યાએ મેં મંદિર ન જોયું, કેમકે સર્વશકિતમાન પ્રભુ ઈશ્વર તથા હલવાન એ જ તેનું મંદિર છે. 23 વળી ત્યાં પ્રકાશ માટે સૂર્ય કે ચંદ્રની જરૂર નથી, કારણ કે ઈશ્વરનો મહિમા તેને પ્રકાશીત કરે છે તથા હલવાન તેનો દીવો છે. 24 તેના પ્રકાશથી પ્રજાઓને પ્રકાશિત કરાશે, અને જગતના રાજાઓ પોતાનું ગૌરવ તેમાં લાવશે. 25 તેના દરવાજા કદી બંધ થતાં નથી, કેમકે ત્યાં રાત થશે નહિ! 26 પ્રજાઓનું ગૌરવ તથા તેમની કીઁતિ ત્યાં લાવવામાં આવશે. 27 કોઈ પણ પ્રકારની અશુધ્ધતા ત્યાં પ્રવેશ કરી શકશે નહિ, અને જે કોઈ ધિક્કારપાત્ર કૃત્યો કરે છે, તથા અસત્ય આચરે છે, તે તેમાં કદી પ્રવેશ કરશે જ નહિ; પણ જેઓનાં નામ હલવાનના જીવનના પુસ્તકમાં લખેલાં છે તેઓ જ પ્રવેશ કરશે.