Publicidade

Apocalipse 7

1,44,000 મુદ્રાંકિત

1 પછી મેં પૃથ્વીનાં ચાર ખૂણે ચાર દૂતો ઊભેલા જોયા, તેઓએ પૃથ્વીનાં ચાર વાયુને અટકાવી રાખ્યાં હતા જેથી પૃથ્વી પર, સમુદ્ર પર અને કોઈ પણ વૃક્ષ પર કોઈ પવન વાય નહિ. 2 વળી મેં પૂર્વ દિશાએથી બીજા એક દૂતને જીવંત ઈશ્વરની મુદ્રા લઈને આવતો જોયો. જે ચાર દૂતોને પૃથ્વી તથા સમુદ્રને નુકશાન કરવાની સત્તા આપવામાં આવી હતી તેઓને તેણે મોટે અવાજે કહ્યું: 3 "ઈશ્વરના સેવકોના કપાળ પર મુદ્રા ન કરી રહીએ, ત્યાં સુધી પૃથ્વી, સમુદ્ર કે વૃક્ષને નુકશાન કરશો નહિ." 4 પછી મુદ્રિત થયેલાંની સંખ્યા મેં સાંભળી. ઇઝરાયેલના સવઁ કુળોમાંથી એક લાખ ચુમ્માળીસ હજારને મુદ્રાંકિત કરવામાં આવ્યા હતા.

5 યહૂદાના કુળમાંના બાર હજાર મુદ્રાકિત થયા,

રૂબેનના કુળમાંના બાર હજાર

ગાદનાં કુળમાંના બાર હજાર

6 આશેરના કુળમાંના બાર હજાર

નફતાલીનાં કુળમાંના બાર હજાર

મનાશ્શાના કુળમાંના બાર હજાર

7 શિમયોનનાં કુળમાંના બાર હજાર

લેવીનાં કુળમાંના બાર હજાર

ઇસ્સાખારના કુળમાંના બાર હજાર

8 ઝબૂલોનના કુળમાંના બાર હજાર

યોસેફના કુળમાંના બાર હજાર

બિન્યામીનના કુળમાંના બાર હજાર.

સફેદ ઝભ્ભો પહેરેલાઓનો સમૂહ

9 આ પછી મેં જોયું, તેમાં સર્વ દેશોનાં, કુળનાં, જાતિનાં, લોકનાં તથા ભાષાનાં કોઈથી ગણી ન શકાય એટલો મોટો એક સમૂહ, રાજ્યાસનની તથા હલવાનની સમક્ષ શ્વેત ઝભ્ભા પહેરેલા હતાં અને હાથમાં ખજૂરીની ડાળીઓ લઈને તેઓ ઊભા હતા. 10 તેઓ મોટે અવાજે પોકારતાં હતા:

"જે રાજ્યાસન પર બિરાજેલાં છે,

તેમને તથા હલવાનના

તારણને માટે સ્તુતિ થાઓ."

11 હવે રાજ્યાસન, વડીલો તથા ચાર પ્રાણીઓની આસપાસ સર્વ દૂતો ઊભા રહેલા હતા. તેઓએ રાજ્યાસન આગળ દંડવત પ્રણામ કરી પોતાનાં મુખ નમાવીને ઈશ્વરની આરાધના કરીને, 12 કહ્યું:

"આમીન!

ઈશ્વરને ધન્યવાદ, મહિમા,

અને જ્ઞાન અને આભારસ્તુતિ, માન,

અને પરાક્રમ અને સામર્થ્ય,

સદાસર્વકાળ હો.

આમીન!"

13 પછી વડીલોમાંથી એકે મને પૂછયું, "શ્વેત વસ્ત્રો ધારણ કરેલાં, તેઓ કોણ છે, અને તેઓ ક્યાંંથી આવે છે?"

14 મેં જવાબ આપ્યો, "સાહેબ, તમે જાણો છો."

અને તેણે કહ્યું, "તેઓ મહાવિપતિમાંથી પસાર થઈને આવેલા છે; તેઓએ પોતાનાં વસ્ત્ર હલવાનના રકતમાં ધોઈને શ્વેત કર્યા છે. 15 તેથી,

"તેઓ ઈશ્વરના રાજ્યાસન આગળ છે,

જેઓ રાતદિવસ તેમના મંદિરમાં તેમની સેવા કરે છે

અને જે રાજ્યાસન પર બેઠેલા છે

તેઓને પોતાની છાયામાં સલામત રાખશે.

16 ‘તેઓને ફરી કદી ભૂખ લાગશે નહિ,

તેઓને ફરી કદી તરસ લાગશે નહિ.’

કોઈ પણ પ્રકારનો તાપ અથવા

સૂર્યની ઝાળ તેઓના પર પડશે નહિ.

17 કેમકે રાજ્યાસનની મધ્યે જે હલવાન છે

તે તેઓનો પાળક થશે;

‘તે તેઓને જીવનનાં પાણીનાં ઝરાઓ પાસે દોરી જશે.’

‘અને ઈશ્વર તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂંછી નાંખશે.’ "

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-15_21-32-39-