1 પછી મેં સ્વર્ગમાંથી એક દૂતને નીચે ઊતરતો જોયો, તેના હાથમાં ઊંડાણની ચાવી અને તેના હાથમાં એક મોટી સાંકળ હતી. 2 તેણે પેલા અજગરને, એટલે ઘરડા સર્પને, જે શેતાન છે, તેને પકડ્યો અને એક હજાર વર્ષ સુધી તેને બાંધી દીધો. 3 અને તેણે તેને ઊંડાણમાં નાખી દીધો, પછી તેને બંધ કરીને તેના પર મુદ્રા લગાવી, જેથી એક હજાર વર્ષ પૂરાં થાય ત્યાં સુધી તે પ્રજાઓને ભમાવે નહિ, તે પછી થોડીવાર માટે તેને છોડવો પડશે.
4 પછી મેં રાજ્યાસનો જોયાં અને જેઓને ન્યાય કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો તેઓને તે પર બેઠેલા જોયા. અને મેં ઈસુની સાક્ષીને લીધે તથા ઈશ્વરના વચનને લીધે જેમનો શિરચ્છેદ થયો હતો તેઓના આત્માઓને જોયા. તેઓએ પશુની કે તેની મૂર્તિની પૂજા કરી ન હતી અને પોતાના કપાળ પર કે હાથ પર તેની છાપ લીધી ન હતી. તેઓ સજીવન થયા અને એક હજાર વર્ષ સુધી મસીહ સાથે રાજ કયુઁ. 5 આ પ્રથમ પુનરુત્થાન છે. (બાકીનાં મૂએલાઓને એક હજાર વર્ષ સુધી સજીવન કરાયાં નહિ.) 6 પ્રથમ પુનરુત્થાનમાં જેને ભાગ છે તે ધન્ય અને પવિત્ર છે. તેઓના પર બીજા મરણનો અધિકાર નથી, પણ તેઓ ઈશ્વરના તથા મસીહના યાજકો બનશે અને તેમની સાથે એક હજાર વર્ષ સુધી રાજ કરશે.
7 જયારે હજાર વર્ષ પૂરાં થશે, ત્યારે શેતાનને તેના કેદમાંથી છોડવામાં આવશે 8 પછી તે પૃથ્વીનાં ચાર ખૂણામાં રહેતી પ્રજાને ગોગ તથા માગોગને ભમાવીને યુધ્ધને માટે તેઓને એકઠાં કરવાને બહાર આવશે. તેઓની સંખ્યા સમુદ્ર કિનારાની રેતી જેટલી છે. 9 તેઓએ પૃથ્વીની આખી સપાટી પાર કરીને ઈશ્વરના લોકની છાવણીની આસપાસ, તથા પ્રિય શહેરની ચારે બાજુએ ઘેરો ઘાલ્યો, પરંતુ સ્વર્ગમાંથી અગ્નિ ઊત્યોઁ અને તેઓનો નાશ કયોઁ. 10 પછી તેઓને ભરમાવનાર શેતાનને, ગંધકથી સળગતી અગ્નિની ખાઈમાં નાંખવામાં આવ્યો, જયાં પશુ તથા તેના જુઠા પ્રબોધકને નાંખવામાં આવ્યા છે. ત્યાં તેઓ સદાને માટે રાતદિવસ વેદનામાં સબડશે.
11 પછી મેં એક શ્વેત રાજ્યાસન જોયું અને તેના પર એક જણને બેઠેલો જોયો. તેમની હાજરીથી પૃથ્વી તથા આકાશ નાસી ગયાં, અને તેમના માટે કોઈ સ્થાન હતું નહિ. 12 પછી મેં મૂએલાને, નાનાં તથા મોટાં સર્વને રાજ્યાસનની આગળ ઊભેલાં જોયા, અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યા. બીજું પુસ્તક ઊઘાડવામાં આવ્યું, જે જીવનનું પુસ્તક છે. તે પુસ્તકોમાં લખ્યાં પ્રમાણે મૂએલાઓનો તેમની કરણીઓ પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો. 13 સમુદ્રે પોતાનામાં જે મૂએલા હતાં તેઓને પાછા આપ્યા, અને મરણે અને હાદેસે પોતાનામાં જેઓ મૂએલાં હતાં તેઓને પાછા આપ્યા, અને દરેક વ્યક્તિનો ન્યાય તેઓની કરણીઓ પ્રમાણે કરવામાં આવ્યો. 14 પછી મરણ તથા હાદેસને અગ્નિની ખાઈમાં નાંખવામાં આવ્યા. અગ્નિની ખાઈ તે જ બીજું મરણ છે. 15 જે કોઈનું નામ જીવનનાં પુસ્તકમાં નોંધાયેલું મળી આવ્યું નહિ તેઓને અગ્નિની ખાઈમાં નાંખવામાં આવ્યા.