1 પછી દૂતે મને જીવનના પાણીની નદી બતાવી, જે સ્ફટિક જેવી સ્વચ્છ હતી, ઈશ્વરના તથા હલવાનના રાજ્યાસનમાંથી વહેતી હતી. 2 તે નદી નગરનાં રસ્તાની મધ્યમાં હતી. નદીની બન્ને બાજુએ જીવનનું વૃક્ષ હતું. તેની પર બાર પ્રકારના ફળ લાગતાં હતાં, દર મહિને તેને નવાં ફળ આવતાં હતાં, અને વૃક્ષનાં પાંદડાં સવઁ પ્રજાઓને નિરોગી કરે છે. 3 હવે પછી કંઈ પણ પ્રકારનો શાપ થનાર નથી. શહેરમાં ઈશ્વરનું તથા હલવાનનું રાજ્યાસન થશે, અને તેમના સેવકો તેમની સેવા કરશે. 4 તેઓ તેમનું મુખ જોશે, અને તેઓનાં કપાળ પર તેમનું નામ હશે. 5 ત્યાં કદી રાત પડશે નહિ. ત્યાં દીવાના અજવાળાની કે સૂર્યના પ્રકાશની જરૂર નથી કેમકે પ્રભુ ઈશ્વર તેઓ પર પ્રકાશ પાડશે. અને તેઓ સદાસર્વકાળ રાજ કરશે.
6 દૂતે મને કહ્યું, "એ વચનો વિશ્વાસયોગ્ય તથા સત્ય છે. પ્રબોધકોને પ્રેરણા આપનાર પ્રભુ ઈશ્વરે પોતાનો દૂત મોકલ્યો છે, થડીવારમાં જે થવાનું છે તે પોતાના સેવકોને બતાવે."
7 "જુઓ, હું થોડીવારમાં આવું છું! જેઓ આ પુસ્તકમાં લખેલાં ભવિષ્યવચનોનું પાલન કરે છે, તેઓને ધન્ય છે."
8 હું, યોહાન, આ સઘળું જોનાર અને સાંભળનાર છું. અને જયારે મેં સાંભળ્યું અને જોયું ત્યારે જે દૂતે મને વાતો બતાવી તેની આરાધના કરવા હું તેને પગે પડ્યો. 9 પણ તેણે મને કહ્યું, "એમ ના કરીશ! હું પણ તારી જેમ તથા તારા ભાઈઓ એટલે પ્રબોધકોની જેમ અને આ પુસ્તકમાં લખેલાં વચનો પાળનાર લોકોની જેમ સાથી સેવક જ છું. ઈશ્વરની આરાધના કર."
10 પછી તેણે મને કહ્યું, "આ પુસ્તકના ભવિષ્યવચનો ને મુદ્રાથી બંધ ન કર, કેમકે સમય પાસે છે. 11 જે ખોટું કરે છે, તે હજુ વધારે ખોટું કયાઁ કરે; મલિન વ્યક્તિ વધારે મલિન થતો જાય; જે સાચો છે તે વધારે સાચો થતો જાય; અને પવિત્ર વ્યક્તિ વધારે પવિત્ર થતો જાય."
12 "જુઓ! હું જલ્દી આવું છું! અને દરેક વ્યકતિને તેમની કરણીઓ પ્રમાણે બદલો ભરી આપવાનો મારી પાસે છે. 13 હું આલ્ફા તથા ઓમેગા છું, આરંભ તથા અંત છું અને પ્રથમ તથા છેલ્લો છું.
14 "જેઓ પોતાનાં વસ્ત્ર ધુએ છે તેઓને ધન્ય છે, તેઓને જીવનનાં વૃક્ષ પર અધિકાર છે અને તેઓ નગરનાં દરવાજામાંથી પ્રવેશે છે. 15 કૂતરાઓ, જાદુગરો, મેલી વિદ્યાનાં ઉપાસકો, વ્યભિચારીઓ, ખૂનીઓ, મૂર્તિપૂજકો તથા અસત્ય ચાહનારા અને આચરનારા એ સર્વ બહાર છે.
16 "મેં ઈસુએ, મારા દૂતને મોકલ્યો છે કે તે મંડળીઓને માટે આ સાક્ષી તમને આપે. હું દાવિદનું મૂળ તથા તેનો વંશજ છું, અને પ્રભાતનો પ્રકાશિત તારો છું."
17 આત્મા તથા કન્યા કહે છે, "આવ." જે કોઈ તે સાંભળે છે તે કહે છે કે, "આવ." જે તરસ્યો હોય તે આવે; અને જે ચાહે તે જીવનના પાણીનું દાન મફત લે.
18 આ પુસ્તકનાં ભવિષ્યવચનો જે કોઈ સાંભળે છે: જે કોઈ તેમાં વધારો કરશે તો ઈશ્વર તેના પર આ પુસ્તકમાં લખેલાં અનઁથો વધારશે. 19 અને જો કોઈ આ ભવિષ્યવચનનાં પુસ્તકમાંથી કાંઈ પણ કાઢી નાંખશે, તો ઈશ્વર તેનો ભાગ જીવનનાં વૃક્ષમાંથી અને પવિત્ર નગરમાંથી, એટલે આ પુસ્તકમાં જે જે લખેલું છે તેમાંથી કાઢી નાખશે.
20 જે આ વાતોની સાક્ષી આપે છે તે કહે છે કે, "હા, હું થોડીવારમાં આવું છું."
આમીન. "આવો, પ્રભુ ઈસુ!"
21 પ્રભુ ઈસુની કૃપા ઇશ્વરના લોકોની સાથે હો. આમીન.