1 ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર થઈને યર્દન પાછા ફર્યા અને આત્માથી પ્રેરાઇને અરણ્યમાં ગયા, 2 જયાં ચાળીસ દિવસ સુધી શેતાનથી તેમનું પરીક્ષણ થયું. આ દિવસો દરમિયાન તેમણે કંઈ જ ખાધું નહોતું, અને તે દિવસોને અંતે તેઓ ભૂખ્યા થયા.
3 શેતાને તેમને કહ્યું, "જો તમે ઈશ્વરપુત્ર છો, તો આ પથ્થરોને કહો કે તે રોટલી થઈ જાય."
4 ઈસુએ જવાબ આપ્યો, "લખેલું છે કે: ‘માણસ કેવળ રોટલી ઉપર જ જીવતો નથી.’ "
5 શેતાન તેમને એક ઊંચે સ્થળે લઈ ગયો અને એક ક્ષણમાં જગતનાં સર્વ રાજ્યો તેમને બતાવ્યાં 6 અને તેણે તેમને કહ્યું, "હું તમને સર્વ સત્તા તથા જાહોજલાલી તમને આપીશ, કેમકે આ સઘળું મને આપવામાં આવ્યું છે, અને હું ચાહું તેને તે આપી શકું છું. 7 જો તમે મારી આરાધના કરો તો આ સર્વ તમારું થશે."
8 ઈસુએ જવાબ આપ્યો, "લખેલું છે કે: તારે માત્ર પ્રભુ તારા ઈશ્વરની જ આરાધના કરવી અને એકલા તેમની જ સેવા કરવી."
9 પછી શેતાન તેમને યરુશાલેમનાં મંદિરનાં સવોઁચ્ચ સ્થાન પર ઊભા રાખીને કહ્યું, "જો તમે ઈશ્વરપુત્ર હોય તો અહીંથી પોતાને નીચે પાડો, 10 કારણ કે લખેલું છે:
" ‘તેઓ પોતાના દૂતોને તમારા સંબંઘી હુકમ કરશે;
તમારું રક્ષણ કરવા;
11 તેઓ પોતાના હાથ પર તમને ધરી લેશે;
રખેને તમારો પગ પથ્થર પર અફળાય.’ "
12 ઈસુએ જવાબ આપ્યો, "એમ કહેલું છે કે: ઈશ્વર તારા પ્રભુનું પરીક્ષણ કરવું નહી."
13 જયારે શેતાન આ સવઁ પરીક્ષણો પૂરાં કર્યા પછી, તે તેમને કંઇક મુદત સુધી મુકી દીધા.
14 ઈસુ પવિત્ર આત્માના પરાક્રમમાં ગાલીલ પાછા આવ્યા, અને તેમના વિશેનાં સમાચાર આખા પ્રદેશમાં ફેલાઈ ગયા. 15 તેઓ તેઓને સભાસ્થાનોમાં ઉપદેશ આપતાં હતા સર્વ લોકો તેમની પ્રશંસા કરતા હતા.
16 તેઓ નાઝરેથમાં ગયા જયાં તેઓ ઉછયાઁ હતાં, પોતાની રીત પ્રમાણે વિશ્રામવારે સભાસ્થાનમાં ગયા અને વાંચવા માટે ઊભા થયા. 17 યશાયા પ્રબોધકનું પુસ્તક તેમના હાથમાં આપવામાં આવ્યું. તે ઉઘાડીને તેમણે જયાં તે લખેલું છે તે જગ્યા શોધી:
18 "પ્રભુનો આત્મા મારા પર છે,
કેમકે દરિદ્રીઓને સુસમાચાર પ્રગટ કરવા માટે
તેમણે મારો અભિષેક કર્યા છે.
તેમણે મને બંદીવાનોને સ્વતંત્રતા જાહેર કરવા,
અંધજનોને દ્રષ્ટિ આપવાં,
પિડિતોને મુક્ત કરવા
19 પ્રભુની કૃપાનું વર્ષ પ્રગટ કરવા માટે."
20 પછી તેમણે પુસ્તક બંધ કર્યું અને સેવકને પાછું આપીને તે બેસી ગયા. સભાસ્થાનમાંના પ્રત્યેકની દ્રષ્ટિ તેમના તરફ મંડાઈ રહી હતી. 21 તેઓ તેમને કહેવા લાગ્યા, "આ શાસ્ત્રવચનો આજે તમારા સાંભળતા પૂરાં થયા છે."
22 સર્વ તેમની પ્રસંશા કરી અને કૃપાયુકત વચનો કે જે તેમના હોઠોથી નિકળ્યાં તેથી આશ્ચર્ય પામીને તેઓ પૂછવાં લાગ્યા, "શું આ યોસેફનો દીકરો નથી?"
23 ઈસુએ તેઓને કહ્યું, "આ કહેવત તમે મને જરૂરથી કહેશો કે ‘વૈદ! પોતાને સાજો કર! અને તમે મને કહેશો કપરનાહૂમમાં તમે જે કયુઁ તે અમે સાંભળ્યું તે કામો અહીં તમારા વતનમાં કરો.’ "
24 હું તમને સાચે જ કહું છું કે, "કોઈ પ્રબોધક પોતાના વતનમાં માન્ય થતો નથી. 25 એલિયાના સમયમાં ઇઝરાયેલમાં ઘણી વિધવાઓ હતી, જયારે સાડા ત્રણ વર્ષ સુધી આકાશ બંધ હતું, અને આખા દેશમાં ભારે દુકાળ હતો; 26 તેમ છતાં એલિયાને તેઓમાંના કોઇને ત્યાં નહિ, પણ, સિદોનના સારફાથની એક વિધવાને ત્યાં મોકલવામાં આવ્યો હતો. 27 વળી એલીશા પ્રબોધકનાં સમયમાં ઇઝરાયેલમાં ઘણાં કોઢીયાઓ હતા, પણ અરામી નામાન સિવાય તેઓમાંનો કોઇ શુઘ્ઘ થયો નહિ."
28 આ સાંભળી સભાસ્થાનમાંના બધા લોકો ક્રોધે ભરાયા. 29 તેઓએ ઉઠીને, તેમને શહેર બહાર કાઢી મુકયાં, અને ઈસુને ટોળાએ જે પહાડ પર શહેર બાંધવામાં આવ્યું હતું તેની ટોચ પર તેઓ તેમને લઈ ગયા, જેથી તેમને ધક્કો મારીને નીચે પાડી નાખે. 30 પણ તેઓ ટોળાની વચમાં થઈને ચાલ્યા ગયા.
31 પછી તે ગાલીલના કપરનાહૂમ શહેરમાં પાછા ગયા, અને તેમણે વિશ્રામવારે લોકોને ઉપદેશ આપ્યો. 32 તેઓ તેમના ઉપદેશથી આશ્ચર્યચકિત થઈ ગયા કેમકે તેમના વચનમાં અધિકાર હતો.
33 સભાસ્થાનમાં અશુધ્ધ આત્મા વળગેલો એક માણસ હતો, તેમને જોઈને મોટે ઘાંટે બૂમ પાડી, 34 "ઓ નાઝરેથના ઈસુ! અહીંથી ચાલ્યા જાવ. તમારે અમારી પાસે શું જોઈએ છે? તમે અમારો નાશ કરવા આવ્યા છો? હું જાણું છું કે તમે કોણ છો; તમે ઈશ્વરના પવિત્ર છો!"
35 ઈસુએ ધમકાવતાં કહ્યું, "ચૂપ રહે! તેનામાંથી બહાર નીકળી જા!" બધા લોકોની આગળ અશુધ્ધ આત્માએ પેલા માણસને જમીન પર પાડીને કંઈ પણ ઈજા કર્યા વિના તેનામાંથી બહાર નીકળી ગયો.
36 બધા લોકો આશ્ચર્યચકિત થઇ એકબીજાને પૂછવાં લાગ્યા, "આ શબ્દો શું છે કે! અધિકારથી અને પરાક્રમથી તેઓ અશુધ્ધ આત્માઓને હુકમ કરે છે અને તેઓ બહાર આવ્યા!" 37 અને તેમના વિશેનાં સમાચાર આસપાસના પ્રદેશમાં ફેલાઈ ગયા.
38 સભાસ્થાનમાંથી નીકળીને ઈસુ સિમોનના ઘરે ગયા. હવે સિમોનની સાસુ સખત તાવથી પીડાતી હતી, અને તેઓએ ઈસુને તેને મદદ કરવા કહ્યું. 39 તેઓએ તેમની આગળ નમીને તાવને ધમકાવ્યો અને તાવ ઊતરી ગયો. તે તરત ઊભી થઈ અને તેમની સેવા કરવા લાગી.
40 સાંજ પડી, ત્યારે લોકો વિવિધ પ્રકારના રોગથી પીડાતાં માણસોને ઈસુની પાસે લાવ્યાં, અને તેઓએ તેઓમાંના દરેક પર હાથ મૂકીને તેઓને સાજાં કર્યાં. 41 વળી, ઘણા લોકોમાંથી અશુધ્ધ આત્માઓ બૂમો પાડતા બહાર નિકળ્યાં, "તમે ઈશ્વરપુત્ર છો!" પરંતુ તેમણે તેઓને ધમકાવ્યાં અને બોલવાની મના કરી કારણ કે તેઓ જાણતા હતા કે તેઓ મસીહ છે.
42 વહેલી સવારે ઈસુ એકાંત સ્થળે ગયા. લોકો તેમને શોધતા શોધતા તેઓ જયાં હતા ત્યાં આવ્યા. તેઓએ તેમને અટકાવવા માટે પ્રયત્ન કયોઁ. 43 પણ તેમણે કહ્યું, "મારે અન્ય શહેરોમાં પણ ઈશ્વરના રાજ્યનાં સુસમાચાર પ્રગટ કરવા જોઈએ, કારણ કે એટલા માટે જ મને મોકલવામાં આવ્યો છે." 44 અને તેમણે યહૂદિયાનાં સભાસ્થાનોમાં ઉપદેશ કરવાનું ચાલુ રાખ્યું.