1 આ દરમિયાન હજારોનું ટોળું એકત્ર થયું, તેથી તેઓ એકબીજા પર પડાપડી કરવા લાગ્યા, ત્યારે ઈસુ પહેલાં પોતાના શિષ્યોને કહેવા લાગ્યા કે, "ફરોશીઓના ખમીરથી સાવધ રહો, એ તો ઢોંગ છે. 2 ગુપ્ત નથી કે જે પ્રગટ કરવામાં ન આવે, અથવા છુપાયેલું નથી જે જાહેર કરવામાં આવશે નહિ. 3 અંધકારમાં તમે જે કંઈ કહ્યું હશે, તે અજવાળામાં સંભળાશે, અને તમે બંધ બારણે કાનમાં જે કહ્યું હશે, તે છાપરાં પરથી પોકારાશે.
4 "મારા મિત્રો હું તમને કહું છું કે જેઓ શરીરને મારી નાંખે અને તે પછી બીજું કંઇ કરી ન શકે તેઓથી બીશો નહિ. 5 પણ તમારે કોનાથી ડરવું તે હું તમને બતાવીશ: મારી નાંખ્યા પછી તમારા શરીરને નરકમાં ફેંકી દેવાનો જેને અધિકાર છે, તેનાથી બીહો, હા હું તમને કહું છું તેનાથી બીહો. 6 શું પાંચ ચકલીઓ બે પૈસે વેચાતી નથી? છતાં એમાંની એક પણ ઈશ્વરથી ભૂલાયેલી નથી. 7 ખરેખર, તમારાં માથાનાં દરેક વાળ પણ ગણેલાં છે, બીશો નહિ, ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો.
8 "હું તમને કહું છું કે બીજાની આગળ જે કોઇ મને જાહેરમાં કબૂલ કરશે, તો તેને ઈશ્વરનાં દૂતોની આગળ માણસનો દીકરો કબૂલ કરશે, 9 પરંતુ જે કોઇ બીજાની આગળ મારો નકાર કરશે, તેનો નકાર ઈશ્વરના દૂતોની આગળ કરવામાં આવશે. 10 જે કોઈ માણસના દીકરાની વિરુધ્ધ બોલશે, તો તેને માફ કરવામાં આવશે, પણ જે કોઇ પવિત્ર આત્મા વિરુધ્ધ કરેલું નિંદાનું પાપ કદી માફ કરવામાં આવશે નહિ,
11 "જયારે તમને સભાસ્થાનોમાં, આગેવાનો તથા અધિકારીઓની આગળ લઇ જવામાં આવે, ત્યારે તમે પોતાનો બચાવ કેવી રીતે કરશો અથવા તમે શું બોલશો તેની ચિંતા કરશો નહિ. 12 કારણ કે તમારે શું બોલવું તે પવિત્ર આત્મા તમને તે જ સમયે શીખવશે."
13 ટોળામાંથી એક જણે તેમને કહ્યું, "ગુરુજી, મારા ભાઈને કહો કે વારસો મારી સાથે વહેંચે."
14 ઈસુએ જવાબ આપ્યો, "ભાઈ! મને તમારી વચ્યે ન્યાયાઘીશ અથવા મધ્યસ્થી કોણે ઠરાવ્યો?" 15 પછી તેમણે તેઓને કહ્યું, "સાવધાન રહો, અને ઘ્યાન રાખો કે સવઁ પ્રકારના લોભથી દુર રહો, જીવન તેની પુષ્કળ મિલ્કત માં રહેલું નથી."
16 તેમણે તેઓને આ દ્રષ્ટાંત કહ્યું: "એક ધનવાન માણસની જમીનમાંથી પુષ્કળ પાક નીપજયો. 17 ‘તેણે મનમાં વિચાર કયોઁ કે હું શું કરું? મારો પાક સંગ્રહ કરવા માટે મારી પાસે જગ્યા નથી.’
18 "પછી તેણે કહ્યું કે, ‘હું આમ કરીશ કે: હું મારા કોઠાર તોડી પાડીને મોટાં કોઠાર બંધાવીશ, અને ત્યાં હું મારું બધું અનાજ ભરી રાખીશ. 19 અને હું મારી જાતને કહીશ, "ઘણાં વર્ષો સુધી ચાલે એટલું અનાજ સંઘરી રાખેલ છે. હવે આરામ કર; ખા, પી અને મજા કર." ’
20 "પણ ઈશ્વરે તેને કહ્યું, ‘અરે મૂર્ખ! આજે રાત્રે જ તારો જીવ માંગી લેવામાં આવશે; પછી જે તે પોતા માટે તૈયાર કયુઁ છે તે, કોનું થશે?’
21 "જે કોઇ પોતાને સારું વસ્તુઓનો સંગ્રહ કરે છે પણ ઈશ્વર પ્રત્યે ધનવાન નથી તે તેઓ જ છે."
22 પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, "તેથી, હું તમને કહું છું કે તમારા જીવન વિષે ચિંતા ન કરો, તમે શું ખાશો; અથવા તમારા શરીરને માટે કે તમે શું પહેરશો. 23 કેમકે ખોરાક કરતાં જીવન અને વસ્ત્રો કરતાં શરીર વધારે છે. 24 કાગડાઓનો વિચાર કરો: તેઓ વાવતાં કે લણતા નથી, વળી તેમની પાસે વખાર કે કોઠારો નથી; તોપણ ઈશ્વર તેમને ખવડાવે છે. અને તમે તો પક્ષીઓ કરતાં કેટલાં અધિક મૂલ્યવાન છો. 25 ચિંતા કરવાથી તમારાંમાંથી કોણ તમારા જીવનમાં એક કલાકનો ઉમેરો કરી શકે છે? 26 આટલી નાની બાબત પણ તમે નથી કરી શકતા, તો પછી બાકીનાં વિશે ચિંતા શા માટે કરો છો?
27 "જંગલી ફૂલોનો વિચાર કરો કે તેવો કેવાં વધે છે. તેઓ શ્રમ કરતાં નથી કે કાંતતા નથી. તોપણ હું તમને કહું છું કે સોલોમોન પણ તેના સઘળા મહિમામાં તેઓમાંના એકના જેઓ પહેરેલો ન હતો. 28 ખેતરનું ઘાસ જે આજે છે ને કાલે અગ્નિમાં ફેંકાય છે, ઈશ્વર તેમને એવું પહેરાવે છે, તો ઓ અલ્પવિશ્વાસીઓ તમને કેટલું વિશેષ પહેરાવશે, 29 અને તમે શું ખાશો કે શું પીશો તે પર તમારું મન ન લગાડો; તેના વિશે ચિંતા ન કરો. 30 કેમકે જગતના વિદેશીઓ આ બધી બાબતો પાછળ દોડે છે. અને તમારા પિતા જાણે છે કે તમને તેની જરૂર છે. 31 પણ તેનું રાજ્ય શોધો અને આ સઘળાં વાનાં તમને આપવામાં આવશે.
32 "ઓ નાની ટોળી, બીશ નહિ, કારણ કે તમને રાજ્ય આપવાની તમારા પિતાની ખુશી છે. 33 તમારી મિલ્કત વેચીને ગરીબોને આપો, જીણઁ નહિ થાય એવી થેલીઓ, એટલે આકાશમાં અખૂટ દ્વવ્ય પોતાને સારું મેળવો કે જે નિષ્ફળ નહિ જાય, જયાં કોઈ ચોર આવતો નથી અને કોઇ કીડા તેનો નાશ કરતા નથી. 34 કેમકે જયાં તમારું દ્રવ્ય છે, ત્યાં તમારું ચિત હશે."
35 "સેવા માટે તૈયાર રહો અને તમારાં દીવા સળગતાં રાખો. 36 લગ્ન સમારંભમાંથી પાછા ફરતાં માલિકની રાહ જોતાં નોકરોની જેમ, જેથી તેઓ આવીને દરવાજો ખટખટાવે કે તરત જ તેના માટે દરવાજો ખોલે. 37 એ નોકરો માટે સારું છે કે જેમનો માલીક આવીને તેમને જાગતાં જોશે તેઓને ધન્ય છે, હું તમને સાચે જ કહું છું કે તે સેવા કરવા તૈયાર રહેશે, અને તેઓને ટેબલ પર બેસાડશે ને આવીને તેમની રાહ જોશે. 38 તે નોકરોને માટે સારું થશે કે તે તેમનો માલીક તેઓને તૈયાર જોશે, પછી ભલે તે મઘ્ય રાત્રે અથવા સવારના સમયે આવે, નવ વાગે આવે, કે મધરાતે આવે. 39 પણ આ સમજો: જો ચોરના આવવાનો સમય જો ધરધણી જાણતો હોત તો, ઘરમાં ચોરી થવા ન દેત. 40 તેથી તમે પણ તૈયાર રહો, કેમકે માણસનો દીકરો તમે ધારતાં નહિ હોય એ સમયે આવશે."
41 પિતરે પૂછયું, "પ્રભુ, તમે એ દ્રષ્ટાંત અમને કહો છો કે બધાને?"
42 પ્રભુએ જવાબ આપ્યો, "વિશ્વાસુ અને બુધ્ધિમાન કારભારી કોણ છે, કે જેને તેના માલિક તેમના નોકરોને યોગ્ય સમયે ખોરાક આપવાં માટે તેમના પર ઠરાવ્યો છે? 43 જયારે માલિક પાછો આવે ત્યારે નોકરને એમ કરતા જોશે તો, તેને માટે સારું છે. 44 હું તમને સાચે જ કહું છું કે, તે તેને પોતાની બધી મિલ્કતનો કારભારી ઠરાવશે. 45 પણ ધારોકે જો તે નોકર પોતાના મનમાં કહે કે મારા માલિકને આવતા વાર લાગે છે, અને તે બીજા નોકરોને મારવા લાગે, સ્ત્રી અને પુરુષ બંનેને, ખાવાંને પીવા લાગે અને છાકટો થવા માંડશે. 46 તો નોકરનો માલિક એવા દિવસે આવશે જયારે તે ધારતો નહિ હોય, અને તે ઘડી તે જાણતો નહિ હોય. તે તેના ટુકડા કરશે અને અવિશ્વાસીઓ સાથે સ્થાન સોંપશે.
47 "જે નોકર પોતાના માલીકની ઇચ્છા જાણ્યાં છતાં પોતે તૈયાર થયો નહિ હોય અને તેમની ઇચ્છા પ્રમાણે કયુઁ નહિ હોય તો તે ધણો માર ખાશે. 48 પણ જેણે અજાણતા ફટકા યોગ્ય કામ કયુઁ હશે તે થોડોજ માર ખાશે, દરેક વ્યક્તિ પાસેથી જેને ઘણું આપેલું છે તેની પાસે ધણું માંગવામાં આવશે, અને જેને ધણું બધુ સોંપવામાં આવેલું છે તેની પાસેથી ઘણું બધું માંગવામાં આવશે.
49 "હું પૃથ્વી પર આગ નાખવાં આવ્યો છું, અને જો આગ લાગી ચુકી હોય તો હું બીજું શું ચાહું! 50 પણ મારે એક બાપ્તિસ્મા પામવાનું છે, અને એ પૂરું થાય ત્યાં સુધી હું કેવો સંકોચમાં આવેલો છું 51 શું તમે એમ ધારો છો કે હું પૃથ્વી પર શાંતિ કરાવવા આવ્યો છું? ના! પણ ભાગલાં પાડવા. 52 હવેથી એક કુટુંબમાં પાંચ એકબીજાની વિરુદ્ધ, ત્રણ બે ની વિરુદ્ધ, અને બે ત્રણની વિરુદ્ધ વિભાજિત થશે. 53 તેઓ વિભાજીત થશે પિતા અને પુત્રની વિરુદ્ધ, અને પુત્ર પિતાની વિરુદ્ધ, મા દિકરીની વિરુદ્ધ, અને દિકરી માં ની વિરુદ્ધ, સાસુ વહુની વિરુદ્ધ, અને વહુ સાસુની વિરુદ્ધ થશે."
54 તેમણે ટોળાને કહ્યું, "જયારે પશ્ચિમથી વાદળ ચઢતા જુવો તરત તમે કહો છો કે હવે ‘વરસાદ પડશે’ અને એમ થાય છે. 55 અને જયારે દક્ષિણનો પવન ફૂંકાય છે, ત્યારે તમે કહો છો, કે ‘લૂ વાશે,’ અને એમ થાય છે. 56 ઓ ઢોંગીઓ! પૃથ્વીનું તથા આકાશનું રૂપ તમે પારખી જાણો છો, તો પછી તમે આ સમય કેમ પારખી નથી જાણતા?
57 "જે સાચું છે તેનો તમે જાતેજ ન્યાય કેમ કરતા નથી? 58 જયારે તમે તમારા વિરોધી સાથે મેજીસ્ટ્રેટ પાસે જાવ છો, ત્યારે રસ્તામાં સમાઘાન કરવાનો સખત પ્રયાસ કરો, રખેને તમારો વિરોધી તમને ન્યાયાઘીશ પાસે ખેચી જાય અને ન્યાયાઘીશ તમને અધિકારીને સોંપે અને અધિકારી તમને જેલમાં ધકેલીદે. 59 હું તમને કહું છું કે, જયાં સુધી તમે પૂરેપૂરો દંડ ચૂકવશો નહિ ત્યાં સુધી તમે છુટકારો પામશો નહિ."