1 હવે બેખમીર રોટલીનું પવઁ જે, પાસ્ખાપવઁ કહેવાય છે, તે પાસે આવતું હતું. 2 અને મુખ્ય યાજકો તથા નિયમશાસ્ત્રના પંડિતો ઈસુથી છુટકારો મેળવવા કંઇ રસ્તો શોધી રહ્યા હતા, કારણ કે તેઓ લોકોથી ડરતા હતા. 3 પછી યહૂદા જે ઇશ્કરિયોત કહેવાતો હતો જે બારમાંનો એક હતો, તેનામાં શેતાન પેઠો. 4 અને યહુદા મુખ્ય યાજકો તથા મંદિરનાં રક્ષકોનાં સરદારો પાસે ગયો અને ઈસુને કેવી રીતે પકડાવી દેવા મંત્રણા કરી. 5 તેઓ ખુશ થયા અને તેને પૈસા આપવાં સહમત થયા, 6 અને ટોળું હાજર ન હોય ત્યારે તેમને તેઓના હાથમાં સોંપી દેવાનો લાગ તે શોધવાં લાગ્યા.
7 હવે બેખમીર રોટલીનો દિવસ આવી પહોંચ્યો, કે જયારે પાસ્ખાપવઁના ઘેટાનું નું બલિદાન કરવાનું હતું. 8 ઈસુએ પિતર અને યોહાનને કહીને મોકલ્યા કે, "જઈને પાસ્ખાભોજનની તૈયારી કરે."
9 તેઓએ પૂછયું, "એ માટે, અમે ક્યાં તૈયારી કરીએ?"
10 તેમણે જવાબ આપ્યો, "શહેરમાં દાખલ થતાં જ, તમને પાણીનો ઘડો લઈને જતો એક માણસ મળશે. તે જે ઘરમાં જાય ત્યાં તેની પાછળ જજો. 11 અને તે ઘરનાં માલિકને કહેજો. કે ‘ગુરુજી પૂછે છે કે, હું મારે ઊતરવાનો ઓરડો ક્યાં છે, જયાં હું મારા શિષ્યો સાથે પાસ્ખા ખાઉં?’ 12 ત્યારે તે તમને ઉપલે માળે તૈયાર કરેલો એક મોટો ઓરડો બતાવશે; ત્યાં તૈયારી કરો."
13 તેઓ જઈને જે પ્રમાણે ઈસુએ તેઓને કહ્યું હતું તે જ પ્રમાણે મળ્યું. તેથી તેઓએ પાસ્ખાપવઁની તૈયારી કરી.
14 જયારે સમય આવ્યો, ત્યારે ઈસુ અને તેમના પ્રેષિતો મેજ પર બેઠાં હતા. 15 અને તેમણે તેઓને કહ્યું, "મારા સહન કરવા પહેલાં તમારી સાથે આ પાસ્ખાભોજન લેવાની મારી ઘણી ઈચ્છા હતી. 16 કેમકે હું તમને કહું છું કે ઈશ્વરના રાજ્યમાં તે પુરું નહિ થાય ત્યાં સુધી હું તે ફરી ખાવાનો નથી."
17 પ્યાલો લીધા પછી, તેમણે આભાર માનીને કહ્યું, "આ લો અને માહોમાંહે વહેંચો. 18 હું તમને કહું છું કે, ઈશ્વરનું રાજ્ય ન આવે, ત્યાં સુધી હું ફરીથી દ્રાક્ષારસ પીનાર નથી."
19 અને તેમણે રોટલી લીધી, અને આભાર માનીને તે ભાંગી અને તેઓને આપીને કહ્યું, "આ મારું શરીર છે, જે તમારાં માટે આપવામાં આવેલું છે. મારી યાદગીરીમાં આ કરો."
20 તે જ રીતે જમી રહ્યા પછી તેમણે પ્યાલો લઇને કહ્યું, "આ પ્યાલો, મારા રકતમાંનો નવો કરાર છે, જે તમારે સારું વહેવડાવેલું છે. 21 પણ જે મને પરસ્વાધીન કરનાર છે તેનો હાથ મારી સાથે મેજ પર છે. 22 માણસનો દીકરો યોજના પ્રમાણે જાય છે. પણ જે માણસ તેમને પરસ્વાધીન કરાવે છે તેને અફસોસ!" 23 તેઓ અંદરોઅંદર પૂછવાં લાગ્યા કે, આપણામાંનો કોણ આ કરવાનો હશે.
24 પછી તેઓમાં માંહોમાંહે વિવાદ ઊભો થયો કે આપણામાં સૌથી મોટું કોણ છે. 25 ઈસુએ તેઓને કહ્યું, "વિદેશીઓનાં રાજાઓ તેઓ પર ધણીપણું કરે છે, અને જેઓ તેમના પર અધિકાર ચલાવે છે તેઓ પરોપકારી કહેવાય છે. 26 પણ તમે એવા ન થાવ, તેનાં કરતાં તમારાંમાં જે મોટો હોય, તેણે સૌથી નાનાં જેવા થવું, અને જે શાસન કરે છે, તેણે સેવા કરનારના જેવા થવું 27 મોટો કોણ છે, જે ટેબલ પર છે તે કે જે સેવા કરનાર છે તે? જે ટેબલ પર છે તે નહિ? પણ હું તમારામાં સેવા કરનારના જેવો છું. 28 મારી કસોટીનાં સમયમાં સાથે ઊભા રહેનાર તમે જ છો, 29 અને જેમ મારા પિતાએ મને આપ્યું છે તેમ હું પણ તમને રાજય આપું છું, 30 જેથી મારા રાજ્યમાં તમે મારી સાથે ખાશો ને પીશો, અને ઇઝરાયેલનાં બાર કુળોનો ન્યાય કરવા રાજ્યાસન પર બિરાજશો.
31 "સિમોન, સિમોન! શેતાન તમને બધાને ઘઉંની પેઠે ચાળવા માગ્યા. 32 પણ મેં, તારે માટે પ્રાર્થના કરી છે કે તું તારા વિશ્વાસમાંથી ડગી ન જાય, અને જયારે તું પાછો ફરે, ત્યારે તારા ભાઈઓને તું વિશ્વાસમાં સ્થિર કરજે."
33 પણ તેણે ઉત્તર આપ્યો, "પ્રભુ, હું તમારી સાથે જેલમાં જવા અને મરવા પણ તૈયાર છું!"
34 ઈસુએ જવાબ આપ્યો, "પિતર, હું તને કહું છું કે, આજે સવારે મરઘો બોલે તે પહેલાં, હું તેમને ઓળખતો નથી, એમ કહીને તું ત્રણ વાર મારો નકાર કરીશ."
35 પછી ઈસુએ તેઓને પૂછયું, "જયારે, મેં તમને થેલી, ઝોણ્ણી તથા ચંપલ વિના મોકલ્યા ત્યારે શું તમને કશાંની ખોટ પડી?"
તેઓએ જવાબ આપ્યો, "કશાંની નહિ."
36 તેમણે તેઓને કહ્યું, "પણ હાલ જો તમારી પાસે થેલી હોય, તે રાખો. અને ઝોણ્ણી પણ, અને જો તમારી પાસે તરવાર ન હોય, તો તમારાંં કપડાં વેચીને તે ખરીદી લો. 37 કારણ કે લખેલું છે કે, ‘અપરાધીઓની સાથે તેઓ ગણાયા,’ અને હું કહું છું કે મારામાં તે પુરું થવું જોઈએ, હા, મારા વિશે જે લખેલું છે તે પુરું થવા જઈ રહ્યું છે."
38 શિષ્યોએ કહ્યું, "જુઓ, પ્રભુ, અહીં બે તરવાર છે."
તેમણે જવાબ આપ્યો, "તે પૂરતી છે."
39 ઈસુ હંમેશની જેમ જૈતુન પહાડ પર ગયા, અને તેમના શિષ્યો પણ તેમની પાછળ ગયા. 40 તે જગ્યાએ પહોચ્યા પછી તેમણે તેમને કહ્યું, "પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન આવી પડો." 41 પછી પથ્થર ફેંકી શકાય એટલા અંતરે તે તેઓથી દૂર ગયા અને તેમણે ઘૂંટણે પડીને પ્રાર્થના કરી: 42 "હે પિતા, તમારી ઇચ્છા હોય તો આ પ્યાલો મારાંથી દૂર કરો; તોપણ, મારી ઇચ્છા નહિ પણ તમારી પૂર્ણ થાઓ." 43 આકાશમાંથી એક દૂત તેમને દેખાયો અને તેમને બળ આપ્યું. 44 અતિ ભારે કષ્ટ સાથે તેમણે વધારે આગ્રહથી પ્રાર્થના કરી. અને તેમનો પસીનો રકતના ટીંપાની જેમ જમીન પર પડતો હતો.
45 પ્રાથઁના કરીને તેઓ ઊઠીને શિષ્યોની પાસે પાછા ગયા, તેમણે તેઓને દુઃખને લીધે ઊંઘતા જોયા. 46 તેમણે તેઓને પૂછયું, "તમે કેમ ઊંઘો છો? ઊઠો! ને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો."
47 જયારે હજુ ઈસુ બોલતા હતા, એટલામાં ટોળું આવ્યું, એક માણસ જે યહૂદા કહેવાય છે કે જે બારમાનો એક, તેઓની આગળ ચાલતો હતો. તે ઈસુને ચુંબન કરવા સારું તેમની પાસે આવ્યો. 48 પણ ઈસુએ તેને પૂછયું, "યહૂદા! શું તું માણસના દીકરાને ચુંબન કરી પરસ્વાધીન કરાવે છે?"
49 જયારે ઈસુની પાછળ ચાલનારાઓએ જે કાંઈ બનવાનું હતું તે જોઈને બોલ્યા, "પ્રભુ, શું અમે અમારી તરવાર ચલાવીએ?" 50 અને તેઓમાંના એકે પ્રમુખ યાજકના નોકરનો જમણો કાન કાપી નાંખ્યો.
51 પણ ઈસુએ જવાબ આપ્યો, "આટલું બસ છે." અને માણસના કાનને સ્પર્શ કરીને તેને સાજો કયોઁ.
52 તેમના માટે આવેલા મુખ્ય યાજકો, મંદિરનાં રક્ષક અધિકારીઓ તથા વડીલોને ઈસુએ કહ્યું, "શું હું બડવાની આગેવાની કરી રહયો છું, કે તમે તલવારો અને ભાલાઓ લઇને આવ્યા છો? 53 હું દરરોજ મંદિરનાં આંગણાંમાં તમારી સાથે હતો, ત્યારે તમે મારા પર હાથ ન નાખ્યો! પરંતુ હાલ આ તમારો સમય છે, જયારે અંધકાર રાજ કરે છે."
54 પછી તેઓએ તેમને પકડી લીધા ને તેમને પ્રમુખ યાજકના નિવાસસ્થાને લઈ ગયા. પિતર થોડે દૂર રહીને પાછળ ગયો. 55 અને જયારે તેઓ આંગણાની વચ્યે તાપણું સળગાવીને તેઓ સાથે બેઠાં હતા, અને ત્યારે પિતર તેઓની સાથે બેઠો. 56 તાપણાના અજવાળામાં એક દાસીએ તેને બેઠેલો જોયો, તેની સામે નજીકથી જોઈને કહ્યું, "આ માણસ તેની સાથે હતો!"
57 પણ તેણે નકાર કરીને કહ્યું, "બાઈ, હું તેમને ઓળખતો નથી!"
58 થોડીવાર પછી બીજા કોઇએ તેને જોઈને કહ્યું, "તું પણ તેઓમાંનો એક છે!"
પિતરે જવાબ આપ્યો, "ના, ભાઈ! હું નથી."
59 એકાદ કલાક પછી બીજા એકે ખાતરીપૂવઁક કહ્યું, "ખરેખર આ માણસ તેની સાથે હતો, કેમકે તે ગાલીલનો છે."
60 પણ પિતરે જવાબ આપ્યો અને કહ્યું, "ભાઈ, તમે કોના વિશે વાત કરો છો તે હું જાણતો નથી!" તે બોલતો હતો એટલામાં જ મરઘો બોલ્યો. 61 ઈસુએ પાછળ ફરીને પિતરની સામું જોયું. ત્યારે પિતરને પ્રભુએ તેને કહેલા શબ્દો યાદ આવ્યા: "આજે મરઘો બોલે તે પહેલાં, તું ત્રણ વાર મારો નકાર કરીશ." 62 અને તે બહાર જઈને ખૂબ રડયો.
63 જે માણસો ઈસુની ચોકી કરતા હતા તેમણે તેમની મશ્કરી કરી અને તેમને માયાઁ. 64 તેમણે તેમની આંખે પાટો બાંધીને પૂછયું, "પ્રબોધ કરો, તમને કોણે માર્યુ?" 65 અને તેઓએ ઘણી બધી અપમાનજનક બાબતો કહી.
66 વહેલી પરોઢે લોકોના વડીલોની સભા, મુખ્ય યાજકો અને નિયમશાસ્ત્રના પંડિતો બન્નેની સાથે ભેગી થઇ, અને ઈસુને તેઓની આગળ લાવવામાં આવ્યા. 67 તેઓએ કહ્યું.
"જો તું મસીહ છે, તો અમને જણાવ." ઈસુએ જવાબ આપ્યો, "જો હું તમને કહું તો તમે મારો વિશ્વાસ કરવાનાં નથી 68 વળી જો હું તમને પૂછું તો તમે જવાબ આપવાના નથી; 69 પણ હવે પછી માણસનો દીકરો ઈશ્વરનાં પરાક્રમને જમણે હાથે બિરાજશે."
70 તેઓ બધાએ પૂછયું કે, "તો શું તું ઈશ્વરપુત્ર છે?"
તેમણે જવાબ આપ્યો, "તમે કહો છો, હું તે છું!"
71 ત્યારે તેઓએ કહ્યું, "આપણે પોતે તેના મોં થી સાંભળ્યું છે, હવે આપણે બીજી કોઇ સાક્ષીની શી જરુર છે."