Publicidade

Lucas 10

ઈસુ સિતેર શિષ્યોને બહાર મોકલે છે

1 આ પછી પ્રભુએ બીજા સિતેર શિષ્યોને પસંદ કર્યા, ને પોતે જે શહેરોમાં અને જગ્યામાં જવાનાં હતા ત્યાં તેઓને બબ્બેની જોડીમાં તેમની આગળ મોકલ્યા. 2 તેમણે તેઓને કહ્યું, "ફસલ પુષ્કળ છે પણ મજૂરો થોડાં છે, ફસલનાં ધણીને પ્રાર્થના કરો કે જેથી તે પોતાની ફસલને સારુ મજૂરો ખેતરમાં મોકલી આપે." 3 જાઓ! હું તમને વરુઓ મધ્યે ઘેટાંનાં બચ્ચાં જેવાં મોકલું છું. 4 નાણાં, થેલી કે ચંપલ લેશો નહિ. રસ્તે જતાં કોઇને સલામ કરતા નહિ.

5 "જયારે તમે ઘરમાં પ્રવેશો, પહેલાં કહો કે, ‘આ ઘરનાંને શાંતિ થાઓ.’ 6 જો કોઇ ત્યાં શાંતિ પામવા યોગ્ય છે, તો તમારી શાંતી તેમના પર રહેશે; જો નહિ હોય તો તે તમારી પાસે પાછી આવશે. 7 ત્યાં રહો, અને તેઓ જે આપે તે ખાઓ અને પીઓ, કેમકે મજૂર મહેનતાણાને માટે યોગ્ય છે. ઘરે ઘરે ફરશો નહિ.

8 "જયારે તમે શહેરમાં જાવ અને તમને આવકારે, ત્યારે તમારી આગળ જે મૂકવામાં આવે તે ખાઓ. 9 જેઓ ત્યાં માંદા છે તેઓને સાજાં કરો, અને તેમને કહો કે, ‘ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવ્યું છે.’ 10 પણ જયારે તમે કોઇ શહેરમાં જાવ અને તમને ન આવકારે તો તેના રસ્તામાં જઈને કહો કે, 11 ‘અમે અમારા પગેથી તમારાં નગરની ધૂળ પણ તમારી ચેતવણી માટે ખંખેરી નાંખીએ છીએ. પણ આ ચોકકસ છે: ઈશ્વરનું રાજ્ય નજીક આવ્યું છે.’ 12 હું તમને કહું છું કે, ન્યાયના દિવસે તે શહેર કરતાં સદોમનાં હાલ સહેલ હશે.

13 "ઓ ખોરાજીન! તને અફસોસ, હે બેથસૈદા તને અફસોસ! કારણ કે જે ચમત્કારો મેં તમારામાં કર્યા તે જો તૂર અને સિદોનમાં થયા હોત તો, તેમણે ટાટ તથા રાખમાં બેસીને ક્યાંરનોય પસ્તાવો કર્યા હોત! 14 ન્યાયકાળે તમારાં કરતાં તૂર અને સિદોનના હાલ સહેલ થશે. 15 અને ઓ, કપરનાહૂમ, શું તું આકાશમાં ઉચું કરાશે? ના, તું હાદેસ સુધી નીચું જશે,

16 "જે કોઇ તમને સાંભળે છે તે મને સાંભળે છે; જે કોઇ તમારો નકાર કરે છે; તેઓ મારા મોકલનારનો નકાર કરે છે."

17 બોતેર શિષ્યો આનંદ કરતાં કરતાં પાછા આવ્યા અને કહ્યું, "પ્રભુ! તમારાં નામમાં અશુધ્ધ આત્માઓ પણ અમારે તાબે થઈ ગયા!"

18 તેમણે જવાબ આપ્યો, "મેં શેતાનને આકાશમાંથી વીજળીની પેઠે નીચે પડતાં જોયો. 19 મેં તમને શત્રુની તમામ સત્તા પર, સર્પો અને વીંછીઓ પર પગ મૂકવાનો અને તેમને છૂંદી નાંખવાનો અધિકાર પણ મેં તમને આપ્યો છે તમને કશાંથી ઈજા થશે નહિ. 20 છતાં પણ, આત્માઓ તમને તાબે થાય છે એ માટે હરખાઓ નહિ, પણ સ્વર્ગમાં તમારાં નામ નોંધવામાં આવ્યા છે તે માટે હરખાઓ."

21 એ સમયે ઈસુએ, પવિત્ર આત્માથી ઉલ્લાસિત થઈને, કહ્યું, "ઓ પિતા, સ્વર્ગ અને પૃથ્વીનાં પ્રભુ, હું તમારી સ્તુતિ કરું છું કેમકે જ્ઞાનીઓથી અને શીખેલાઓથી તમે એ વાતો ગુપ્ત રાખીને, નાના બાળકોને પ્રગટ કરી છે. હા પિતા, તમને એ પ્રમાણે કરવાનું પસંદ પડ્યું."

22 "મારા પિતાએ સર્વસ્વ મને સોંપ્યું છે. પિતા સિવાય પુત્રને કોઈ ઓળખતું નથી, અને પિતાને પુત્ર સિવાય કોઈ ઓળખતું નથી, અને જેને દીકરો પ્રગટ કરવા ચાહે છે, તેઓ."

23 પછી તેમણે શિષ્યો તરફ ફરીને એકાંતમાં કહ્યું, "તમે જે જુઓ છો તે જેઓની આંખો જુએ તેઓને ધન્ય છે. 24 કેમકે હું તમને કહું છું કે તમે જે જુઓ છો, તે જોવાને ઘણાં પ્રબોધકો અને રાજાઓ ઈચ્છતાં હતા, અને જે સાંભળો છો તે તેઓ સાંભળવા ઈચ્છતાં હતા પણ સાંભળવાં પામ્યા નહિ."

ભલા સમરૂનીનું દ્રષ્ટાંત

25 એક પ્રસંગે નિયમશાસ્ત્રના એક પંડિતે ઊભા થઇને ઈસુની પરીક્ષા કરતાં તેણે પૂછયું. "ગુરુજી, અનંતજીવન મેળવવાં માટે મારે શું કરવું જોઈએ?"

26 તેમણે જવાબ આપ્યો, "નિયમશાસ્ત્રમાં શું લખેલું છે? તું કેવી રીતે વાંચે છે?"

27 તેમણે જવાબ આપ્યો, " ‘તારે પ્રભુ તારા ઈશ્વર પર તારા પૂરાં હૃદયથી, પૂરાં જીવથી, પૂરી શકિતથી તથા પૂરાં મનથી પ્રેમ રાખવો અને જેવો પોતા પર તેવો તારા પડોશી પર પ્રેમ કર.’ "

28 ઈસુએ જવાબ આપ્યો, "તેં સાચો જવાબ આપ્યો. તું આ કર અને તું જીવશે."

29 પણ તે પોતાને ન્યાયી ઠરાવવા ઈચ્છતો હતો, તેથી તેણે ઈસુને પૂછયું, "મારો પાડોશી કોણ?"

30 ઈસુએ જવાબ આપતાં કહ્યું. "એક માણસ યરુશાલેમથી યરીખો જતો હતો, જયારે લુંટારાઓએ તેના પર હુમલો કયોઁ, તેઓએ તેનાં વસ્ત્રો ઉતારી લીધા, તેને માર્યો અને તેને અધમૂઓ કરીને નાસી ગયા. 31 સંજોગોવશાત એક યાજક ત્યાં થઈને જતો હતો. જયારે તેણે પેલા માણસને જોઇને બીજી બાજુએ થઇને ચાલ્યો ગયો. 32 એક લેવી પણ તે જગ્યાએ આવ્યો અને તેને જોઇને બીજી બાજુએ ચાલ્યો ગયો. 33 પણ એક સમરૂની ત્યાં થઈને નીકળ્યો, જયાં તે માણસ હતો ત્યાં આવ્યો, જયારે તેને જોઇને તેને તેના પર દયા આવી. 34 તે તેની પાસે ગયો તેના ઘા પર તેલ અને દ્રાક્ષારસ રેડીને પાટા બાંધ્યા. પછી તે તેને પોતાના ગધેડાં પર બેસાડીને ધર્મશાળામાં લઈ ગયો અને તેની સારવાર કરી. 35 બીજે દિવસે ધર્મશાળાનાં વ્યવસ્થાપકને બે દીનાર આપતાં કહ્યું, ‘તેની સારવાર કરજો, અને તેમ કરતાં જો વધારે ખર્ચ થશે તો પાછા ફરતાં હું તે જરૂર ભરપાઈ કરી આપીશ.’

36 "હવે લૂંટારાનાં હાથમાં પડેલા માણસનો પાડોશી એ ત્રણમાંથી કોણ? તું શું ધારે છે."

37 નિયમશાસ્ત્રના પંડિતે જવાબ આપ્યો, "જેણે, તેના તરફ દયા દર્શાવી તે જ."

ઈસુએ તેને કહ્યું, "તો તું જઈને એ પ્રમાણે કર."

માર્થા અને મરિયમના ઘરે

38 ઈસુ અને તેમના શિષ્યો તેમના માગેઁ જતા હતા, તેઓ એક ગામમાં આવી પહોંચ્યા, ત્યાં માર્થા નામની એક સ્ત્રીએ પોતાનું ઘર તેમના માટે ઉઘાડું રાખ્યું હતું. 39 તેને મરિયમ નામે એક બહેન હતી, ઈસુના ચરણો આગળ બેસીને તેઓ જે કહેતા તે સાંભળતી હતી. 40 પણ તમામ તૈયારીઓ કરવાની હોવાથી માર્થા ગભરાય ગઇ હતી, તેણે તેમની પાસે આવીને પૂછયું, "પ્રભુ, મારી બહેન મને કામ કરવાને એકલી મૂકી છે તેની શું તમને ચિંતા નથી તેને કહો કે તે મને મદદ કરે."

41 પ્રભુએ જવાબ આપ્યો, "માર્થા, માર્થા, તું ઘણી બાબતોની ચિંતા કરીને ગભરાય છે 42 પણ થોડી બાબતો જરૂરી છે, એક જ બાબત અને મરિયમે જે સારું તે પસંદ કયુઁ છે, જે તેની પાસેથી લઈ લેવામાં આવશે નહિ."

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-15_21-32-39-