1 એક સાબ્બાથવારે ઈસુ એક ફરોશી આગેવાનને ઘરે જમવા ગયા, તેઓ તેમના પર તાકી રહયાં હતા. 2 ત્યાં તેમની આગળ જલંદર રોગવાળો એક માણસ હતો. 3 ઈસુએ ફરોશીઓને તથા નિયમના પંડિતોને પૂછયું, "સાબ્બાથવારે કોઈ માણસને તેના રોગમાંથી સાજો કરવો એ યોગ્ય છે કે નહિ?" 4 પણ તેઓ ચૂપ રહયાં. માટે પેલા રોગી માણસનો હાથ પકડીને સાજો કરી તેને ઘરે મોકલ્યો.
5 પછી તેમણે તેમને પૂછયું, "જો તમારે કોઇને સાબ્બાથવારે બાળક અથવા બળદ કૂવામાં પડી જાય તો શું તમે તેને તરત બહાર નહિ કાઢો?" 6 અને તેઓ કશું કહી શકયાં નહિ.
7 જયારે તેમણે જોયું કે ટેબલ પર મહેમાનો મુખ્ય આસને બેસવાનું પસંદ કરતા હતા, તેમણે તેમને આ દ્રષ્ટાંત કહ્યું: 8 "જયારે કોઇ તમને લગ્નજમણમાં નોતરે તો, મુખ્ય આસન પસંદ ન કરો, રખેને તમારાં કરતાં વધુ માનવંત વ્યકિત તેણે નોતરેલો હોય, 9 તેથી જો, એ યજમાન જેણે તમને બંનેને નોતર્યા હોય તે આવીને તમને કહે, ‘તમારી બેઠક આ વ્યકિતને આપ,’ ત્યારે શરમિંદા બનીને તારે નીચેનાં આસન પર બેસવું પડશે. 10 પણ જયારે તને નોતરવામાં આવે, ત્યારે સૌથી નીચેની જગ્યા લે, જેથી તમારો યજમાન આવે ને તે તને કહે, ‘મિત્ર, ઉઠ ને સારી જગ્યાએ બેસ,’ ત્યારે તારી સાથે જમવા બેઠેલા અન્ય મહેમાનોની હાજરીમાં તને માન મળશે. 11 કેમકે જે પોતાને ઊંચો કરે છે તેને નમ્ર કરવામાં આવશે, અને જે પોતાને નમ્ર કરશે તેને ઊંચો કરવામાં આવશે."
12 પછી ઈસુએ તેમના યજમાનને કહ્યું, "જયારે તમે રાતનું કે દિવસનું ભોજન સમારંભ યોજો, ત્યારે તમારાં મિત્રો, ભાઈઓ, બહેનો, તમારાં અથવા સગાઓ કે ધનવાન પાડોશીઓને આમંત્રણ ના આપો. જો તમે એવું કરશો; તો તેઓ પણ એના બદલારૂપે તમને આમંત્રણ આપશે. અને તને બદલો મળશે. 13 પણ જયારે તમે મિજબાની આપો ત્યારે તમે ગરીબોને, અપંગોને, લંગડાઓને ને અંધજનોને આમંત્રણ આપો. 14 અને તું ધન્ય થશે. જો કે તેઓ તેનો બદલો વાળી શકશે નહિ, પણ તમને ન્યાયીઓનાં પુનરુત્થાન સમયે બદલો આપવામાં આવશે."
15 આ સાંભળીને ઈસુની સાથે જમવા બેઠેલાઓમાંથી એકે કહ્યું, "જેઓ ઈશ્વરના રાજ્યમાં મિજબાની ખાશે તેને ધન્ય છે."
16 ઈસુએ જવાબ આપ્યો, "એક માણસે મોટો ભોજન સમારંભ ગોઠવ્યો ને ઘણાં મહેમાનોને આમંત્રણ આપ્યું. 17 જમવાનાં સમયે તેણે પોતાના નોકરને મોકલીને આમંત્રિત મહેમાનોને ખબર આપી કે આવો, ‘જમવાનું તૈયાર છે.’
18 "પણ બધા જ બહાનાં બતાવવા માંડયાં, પહેલાએ કહ્યું, ‘મેં હમણાં જ એક ખેતર ખરીદ્યું છે, અને મારે તેને જોવા જવુ પડશે. મહેરબાની કરી મને માફ કરો. મારાંથી આવી શકાશે નહિ.’
19 "બીજાએ કહ્યું, ‘મેં હમણાં જ પાંચ જોડ બળદ વેચાતા લીધા છે અને તેમને પારખવાં માટે હું જાઉં છું. મહેરબાની કરી મને માફ કરો.’
20 "વળી બીજા એકે કહ્યું, ‘મે હમણાં જ લગ્ન કયાઁ છે. તેથી મારાથી આવી શકાશે નહિ.’
21 "નોકર પાછો આવ્યો અને માલિકને બધી વાત કરી. ત્યારે માલિક ગુસ્સે થઈ ગયો, અને તેણે તેના નોકરને કહ્યું, ‘જલ્દી બહાર જા અને ગામનાં રસ્તાઓ પર તથા શહેરની ગલીઓમાં જા, અને ભિખારીઓ, અપંગો, લંગડાઓ તથા અંધજનોને બોલાવી લાવ.’
22 "નોકરે કહ્યું તારા હુકુમ પ્રમાણે કરવામાં આવ્યું છે પણ છતાં હજી ત્યાં જગા ખાલી છે.
23 "તેથી માલિકે તેના નોકરને કહ્યું, ‘બહાર જાઓ ને જઈને સડકો ને શેરીઓ પર જે મળે તેઓને આગ્રહ કરીને તેડી લાવ કે મારું ઘર ભરાઈ જાય. 24 હું તમને કહું છું જેઓને મેં નોતયાઁ હતાં, તેઓમાંથી કોઈ પણ હવે મારી મિજબાનીનો સ્વાદ માણી શકશે નહિ.’ "
25 મોટું ટોળું ઈસુની સાથે જઈ રહ્યું હતું, અને પાછા ફરીને તેમણે તેઓને કહ્યું, 26 "જે કોઈ મારી પાછળ આવવાં ચાહે પણ પોતાનાં માતા અને પિતા, પત્ની, અને બાળકો, ભાઈઓને, બહેનોને કે હા પોતાના જીવ નો પણ દ્વેષ નહિ કરે, તે મારો શિષ્ય થઈ શકતો નથી. 27 વળી, જે કોઈ પોતાનો ક્રૂસ ઊંચકીને મારી પાછળ ચાલતો નથી, તે મારો શિષ્ય થઈ શકતો નથી.
28 "તમારાંમાંનો કોઈ બૂરજ બાંધવા ચાહે છે તો તે પહેલાં બેસીને અંદાજીત ખરચ લગાવશે કે તેની પાસે પૂરુ કરવા પૂરતાં નાણાં છે કે નહિ? 29 કેમકે જો તું પાયો નાંખે ને પૂરો કરી શકે નહિ, તો જે જોશે તે મજાક ઉડાવશે. 30 કહેશે, ‘આ માણસે બાંધવાનું શરૂ કર્યું પણ તે પૂરું કરી શકયો નહિ!’
31 "અથવા, ધારોકે એક રાજા બિજા રાજાની વિરુદ્ધ યુધ્ધ કરવા જઈ રહયો છે. તો તે પહેલાં બેસીને વિચાર કરશે કે, જે વીસ હજાર લઇને મારી સામે આવે છે, તેની સામે દશ હજારથી સામનો કરી શકાશે કે નહિ? 32 જો તે સક્ષમ ન હોય, તો તે હજી દૂર હશે એટલામાં જ તે પોતાના એલચીઓને મોકલીને સમાધાન માટે વાટાઘાટો કરશે. 33 એ જ પ્રમાણે તમારાંમાંનો જે કોઈ તમારી પાસે જે કંઈ છે તે સર્વનો ત્યાગ નહિ કરે તે મારો શિષ્ય થઈ શકતો નથી.
34 "મીઠું સારું છે, પણ જો તે તેની ખારાશ ગુમાવે, તો તેને ફરીથી કેવી રીતે ખારું કરી શકાય? 35 તે જમીન માટે કે ખેતરના ઢગલા માટે ઉપયોગી નથી; તે તો બહાર ફેંકાશે.
"જેને સાંભળવાને કાન હોય તે સાંભળે."